Abtak Media Google News

રાજકોટનાં એસટી બસ પોર્ટની બહાર ઉભા રહેતા અમુક રિક્ષાચાલકોની દાદાગીરી અંગે અવારનવાર ફરિયાદો ઉઠે છે. જેને સમર્થન આપતી એક ઘટનામાં ગઇકાલે રાત્રે એક રિક્ષાચાલકે જીઇબી પોલીસ મથકનાં એએસઆઈ કિશોરભાઈ ભાણજીભાઈ ગુજરાતી (ઉ.વ.58, રહે. લક્ષ્મીવાડી શેરી નં. 20) સાથે ઝઘડો કરી તેની આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. એ ડિવિઝન પોલીસે ગુનો નોંઓધી આરોપી રિક્ષાચાલક સમીર ઇસ્માઇલ ચાનીયા (રહે. દૂધસાગર રોડ, હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર)ની ધરપકડ કરી હતી.

Advertisement

ભાડું નથી બાંધવું તેમ કહી પોલીસમેનને ઇજા પહોંચાડી

દૂધસાગર રોડ પર જીઇબી એટલે કે પીજીવીસીએલનું પોલીસ મથક છે. જે ગુજરાત ઉર્જા વીજળી નિગમ લીમીટેડનાં પોલીસ મથક તરીકે ઓળખાય છે. જ્યાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં એએસઆઈ કિશોરભાઈ, પત્ની શોભનાબેન સાથે અમદાવાદ રહેતા પુત્રને મળળા ગયા હતાં.

રાત્રે એસટી બસમાં પરત આવ્યા હતાં. તે પહેલા ભાણેજને કોલ કરી દેતાં તે તેમને લેવા રવાના થઇ ગયો હતો. કિશોરભાઈ પોતાની સાથે બે થેલા ઉપાડી પત્ની સાથે બસ પોર્ટની પાછળ પહોચ્યા હતાં ત્યાં પેસેન્જરો માટે દોડધામ કરતા રહેતાં રિક્ષાચાલકોમાંથી એક સમીર તેમની પાસે આવ્યો હતો.

જેને કિશોરભાઇએ રિક્ષા બાંધવી નથી તેમ સ્પષ્ટ કહી દીધું હોવા છતાં ગાળાગાળી કર્યા બાદ આવેશમા આવી કિશોરભાઈ ઉપર રિક્ષામાંથી કૂદકો મારતા તે બંને થેલા સાથે રોડ પર પટકાઇ ગયા હતાં. ત્યારબાદ તેને ગડદાપાટુનો માર માર્યો હતો.એવામાં કિશોરભાઇનો ભાણેજ અને આસપાસનાં લોકો ભેગા થઇ જતાં મામલો શાંત પડયો હતો. જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી. કિશોરભાઇ પટકાઇ જતાં જમણી આંખ ઉપર ટાંકા લેવા પડયા હતા.જ્યારે જમણા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર થઇ ગયું હતું. એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સમીરની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.