Abtak Media Google News

માતાની છગછાયા ગુમાવેલા બાળકોના બેન્ક ખાતામાં દર મહિને ચાર હજાર જમા કરાશે

કોરોનાનાં નીરાધાર બનેલા રાજ્યના 33 જિલ્લાના 776 બાળકોનો રૂપાણી સરકાર આધાર બની છે. કોરોના મહામારીથી માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર બનવાની સંવેદનશીલતા  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દર્શાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની એન.ડી.એ સરકારના સાત વર્ષ પૂર્ણ થવા અવસરે ર9મી મે એ જાહેર થયેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો માત્ર 38 દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરવાની આગવી સંવેદના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રગટ કરી  છે. કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના 776 બાળકોને પ્રતિ બાળક દર મહિને રૂ. 4000ની સહાય યોજના અન્વયે 31 લાખ 4 હજાર રૂપિયા એટ વન કલીક મુખ્યમંત્રી એ આ બાળકોના બેંન્ક ખાતામાં જમા કરાવ્યા હતા.

અમદાવાદ જિલ્લામાં-4ર, અમરેલી-19, અરવલ્લી-ર6, આણંદ-39, કચ્છ-31, ખેડા-36, ગાંધીનગર-6, ગીર સોમનાથ-16, છોટાઉદેપૂર-6, જામનગર-ર4, જૂનાગઢ-ર8, ડાંગના-11, તાપીના-17, દાહોદના-રર, દેવભૂમિ દ્વારિકાના-13, નર્મદાના-1ર, નવસારીના-30, પંચમહાલ-30, પાટણ-રર, પોરબંદર-11, બનાસકાંઠા-ર1, બોટાદ-13, ભરૂચ-19, ભાવનગર-4ર, મહિસાગર-9 તેમજ મહેસાણા-રર, મોરબી-1ર, રાજકોટ-પ8, વડોદરા-3ર, વલસાડ-ર6, સાબરકાંઠા-36, સુરત-ર9 અને સુરેન્દ્રનગરના-16 મળી કુલ 33 જિલ્લાના 776 નિરાધાર બાળકોને સમગ્રતયા 31 લાખ 4 હજારની સહાય મુખ્યમંત્રીએ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પ્રતિક રૂપે પાંચ બાળકોને કીટ પણ આ અવસરે અર્પણ કરી હતી. વિજયભાઈ રૂપાણી એ આ બાળકો સાથે આવેલા તેમના પાલક વાલી સાથે પણ સંવેદના સભર સંવાદ કરી બાળકોના દિવંગત માતા પિતા વિશે પૃચ્છા કરી હતી.

રાજ્યના 33 જિલ્લા મથકોએથી જે-તે જિલ્લાના નિરાધાર-અનાથ બાળકો વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ 0 થી 18 વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દરમહિને 4000ની સહાય રાજ્ય સરકાર આપશે.

જે બાળકને 18 વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર1 વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને 6 હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર4 વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ 6 હજાર રૂપિયા સહાય મળશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનું ગાંધીનગરથી લોન્ચિંગ કરાવતાં  કહ્યું કે નિરાધાર બનેલા બાળકો નો આધાર આ સરકાર બની છે. બાળક ભાવિ નાગરિક છે અને એના ભવિષ્ય નો વિચાર કરીને રાજ્ય સરકાર  આ યોજનાથી નિરાધાર બાળક ની પાલક બની  છે.

વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે જ્યાં સુધી કોરોના મહામારી રહેશે ત્યાં સુધી આવા બાળકો જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા હશે કે માતા પિતા નું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકો ને આ સહાય આપવામાં આવશે.  તેમણે કેન્દ્રની  પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે દેશમાં કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી આધાર વિહોણા બનેલા બાળકો માટે ઙખ ઈફયિત ફંડમાંથી સહાય આપવાની સંવેદનાસ્પર્શી જાહેરાતને દિન દુ:ખીયાના આંસુ લૂછવાની સંકલ્પ બદ્ધતા ગણાવી હતી. રાજ્ય સરકારે પણ નિરાધાર બાળકોનું ભાવિ રોળાઇ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી દર મહિને 4000ની સહાયથી બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આદર્યો છે તેમ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે આ સરકાર ગરીબ વંચિત પીડિત લોકોને સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને બધી જ કલ્યાણ યોજનાઓ બનાવી તેનો અમલ કરી રહી છે અને કરતી રહેશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આવા નિરાધાર બનેલા 776 બાળકોના દિવંગત માતા-પિતાને ભાવસભર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. મુખ્યમંત્રીએ યોજના જાહેર થયાના માત્ર એક જ મહિનામાં તેનો અમલ કરીને જિલ્લાઓમાંથી આવા નિરાધાર બાળકો શોધી તેની ખરાઈ સહિત ની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આ સહાય ચૂકવવા સુધીની ઝડપી કામગીરી માટે વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી આ ઈશ્વરીય કાર્ય તેમણે કર્યું છે તેને બિરદાવ્યું હતું. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર, મુખ્યમંત્રીના  મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કમિશનર દિલીપ રાણા નિયામક નાચીયા અને અધિકારીઓ આ વેળાએ ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.