Abtak Media Google News

જિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ

એક ટીવી કાર્યક્રમમાં ચમકયાં બાદ સોશિયલ મીડિયામાં તેની સ્થિતિ વાયરલ થતાં સમગ્ર દેશમાં તે લાઈમ લાઈટમાં આવ્યા:  એના ગીતો થકી આ કવિને સમગ્ર દેશમાંથી સાંત્વના, સંવેદના અને સધિયારો મળ્યો હતો

શબ્દોથી સંતોષ લઈ જીવનનો આનંદ લૂટતા ગીતકારને મનોજકુમારે તેની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ર્ચીમ’માં પ્રથમ તક આપી હતી: તેમના દરેક ગીતો  જીવનનો મર્મ સમજાવતા હતા: 1982માં પ્રેમરોગમાં ‘મહોબ્બત હૈ કયા ચીજ’ જેવા રોમેન્ટિક ગતો લખનાર કવિ વ્હીલચેર પર બેસીને જુસ્સાથી ગીતો રજૂ કરતા  સોશિયલ  મીડિયામાં  બહુજ  વાયરલ થતા સૌના દિલમાં વસી ગયા હતા

બોલીવુડના કલાકારોના સિતારો ચમકતો હોય ત્યારે   બધાજ  તેની સાથે હોય છે. પણ જેવું કામ મળતું બંધ થાય કે બધા સંબંધો તોડી નાંખે છે જુના કલાકારોની ઘણી વાતો આપણે જોઈ છે. મહેમુદ, ભારતભૂષણ જેવા અનેક નામી કલાકારો તેના અંતિમ કાળમાં ઘણી કપરી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા. અત્યારનાં  કલાકારો જેની કરોડોની કમાણી ત્યારે નહતી તેથી પણ તે સમયાંતરે મુશકેલીમાં  મુકાયા હતા. કલાકારો ગીતકારો સંગીતકારો સહાયકો જેવા વિવિધ બોલીવુડના નામાંકિત  લોકોનાં અંતિમ સમયઘણો ખરાબ  રહ્યો હતો.

આજના ટીવી શોમાં ઘણીવાર  જુના કલાકારો આવે છે. ત્યારે તેમના વિશેની વાતો સાંભળીને હૃદય   દ્રવી ઉઠે છે. આવી જ વાત ગીતકાર સંતોષ આનંદ ટીવી શોના માધ્યમ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દેશે સાંત્વના  સંવેદના અને સધિયારો આપ્યો હતો.  ઉત્તર પ્રદેશના બુલંદશહર પાસેના સિકંદરા બાદ ખાતે જન્મેલા આ સંવેદનશીલ હિંદી  કવિ આજથી પાંચ દાયકા પહેલા દિલ્હીના પુસ્તકાલયમાં કામ કરતાં સાથે વિવિધ  કવિ સંમેલનમાં કવિતા રજૂ કરતા એ જમાનામાં હરિવંશરાય બચ્ચન અને નિરજ પછી સંતોષ આનંદનું નામ હતુ. આવાજ મુશાયરામાં ફિલ્મ સ્ટાર મનોજ કુમારે તેમને સાંભળીને પ્રભાવિત  થઈને  1970માં પોતાની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ર્ચિમ’ ફિલ્મમાં તક આપી હતી.

આ ફિલ્મમાં પૂરવા સુહાની આઈ રે પૂરવા ગીત ખૂબજ લોકપ્રિય  થયું હોવા છતાં કોઈએ તેમને ફિલ્મોના ગીત લખવા કામ ન આપ્યું બાદમાં મનોજકુમારે ફરી પોતાની ફિલ્મ શોરમા ગીતકાર તરીકે લેતા ઈક પ્યારકા નગ્મા હે જેવા હિટ ગીતો આપ્યા હતા. ફરી કયાંક કામ ન મળતા મનોજકુમારે  રોટી કપડા ઔર મકાન ફિલ્મમાં તક  આપીને ‘મેંના ભૂલૂંગા, ઔર નહી, બસ ઔર નહીં જેવા સુપર ડુપર ગીતો આપ્યા બાદ સંતોષ આનંદે સાત વર્ષના વિરામ બાદ છેલ્લે 1981માં મનોજકુમાની ફિલ્મ ‘ક્રાંતિ’ ફરી ગીતો લખ્યા જેમાં  જીંદગી કી ના તૂટે લડી જેવા હિટ ફિલ્મી ગીતો લખ્યા હતા.  તેમણે મનોજકુમારની ફિલ્મોમાં સૌથી વધુ ગીતો લખ્યા હતા.

તેરા સાથ હે તો મુજે કયા કમી હૈ, જીતેન્દ્રની ફિલ્મ પ્યાસા સાવન માટે બે ગીત તથા  1982માં ગ્રેટ શો મેન રાજકપૂરની ફિલ્મ પ્રેમ રોગ માટે યે ગલીયા યે ચોબારે, મહોબ્બત હૈ કયા ચીજ જેવા હિટ ગીતો  લખીને ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો  હતો. આ  ફિલ્મો સિવાય સંતોષ સંગીત જેવી ફિલ્મો સાથે કુલ   26 ફિલ્મોમાં  109થી વધુ ગીતો લખ્યા હતા. અંતિમ પડાવની ગીતકારની  દયનીય હાલત ટીવી શોમાં જોતા નેહા કકકડે  તથા અન્યોએ થોડી આર્થિક મદદ કરીને  આ ગીતકારને સધિયારો   આપ્યો હતો.  જોકે સોશિયલ  મીડિયામાં વીડીયો  વાયરલ થતાં સમગ્ર દેશમાંથી સાથ સહકાર સાથે લાગણીનો ધોધ  વહયો હતો. આજે પણ તેમની સ્થિતિમાં તે વ્હીલચેર પર બેસીને  જુસ્સાથી પોતાના ગીતો રજૂ કરીને સૌના દિલ  જીતી લીધા હતા.

સંતોષ આનંદના ગીતો અર્થસભર-સ્મરણીય હોવાથી આજે પણ લોકો મોબાઈલમાં રીંગટોન  રાખે છે. તેમના ગીતો યુવા વર્ગમાં બહુજ લોકપ્રિય થયા છે. અત્યારે જીવનની ઢળતી સંધ્યાએ આ ગીતકાર જુવાનજોધ પુત્ર-પુત્રવધુ ગુમાવીને એકલા પોતાની પુત્રી-પૌત્રી સાથે એક સાવ નાનકડા ફલેટમાં દયનીય હાલતમાં જીવન પસાર કરે છે. તેમનોજ જન્મ 5 માર્ચ 1939માં થયો હતો.  તેમણે  1970 થી  1982 સુધી વિવિધ ફિલ્મોના ગીતો લખ્યા હતા. તેમણે  1974માં અને  1982માંબેવાર ફિલ્મફેર એવોર્ડ મળ્યોહતો. એ ફિલ્મો  પ્રેમરોગ અને રોટી કપડા ઔર મકાન હતી છેલ્લે તેમણે જુનુન 1992 તથા તહલકા  1992માં ગીતો લખ્યા હતા. તેમના ગીતો લત્તાજી, મુકેશ અને મહેન્દ્રકપૂર જેવા  ખ્યાતનામ ગાયકો એ ગાયા છે.   2016માં  તેમને યશભારતીનો એવોર્ડ મળ્યો હતો.

જીંદગી કી ના તૂટે લડી, પ્યાર કર લે ઘડી દો ઘડી જેવા   હિટ ગીતોના ગીતકાર સંતોષ આનંદ આર્થિક મુશ્કેલી સાથે શરીરથી પણ લાચાર થઈ ગયા છે. તેમની પાસે કંઈ કામ નથી. આજે તેમની ઉપર ઘણું દેણુ થઈ ગયું છે. હિંમત હારી  ચૂકેલા પણ તેના શબ્દોના  સંતોષથી કપરા સમયમાં પણ આનંદ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.  ઈન્ડિયન આઈડોલ 12માં તે લક્ષ્મીકાંત પ્યારેલાલ જોડીના પ્યારેલાલ સાથે શોમાં   વ્હીલચેરમાં લકવાની અસહ્ય સ્થિતિમાં હાજર રહીને  પુરા જોશ સાથે  તેમના ગીતો રજૂ કરીને પોતાની જીવનકથની સાથે એ શબ્દોને જોડીને રજૂ કરતા  બધાની આંખો ભીની થઈ ગઈ હતી. શોના જજ  વિશાલે પણ તેના ગીતો રજૂ કરવાની ખાત્રી આપી હતી.

“ઘર ફૂંક દિયા હમને અબ રાખ ઉઠાની હૈ,
 જીંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ.’

70ના દશકામાં પોતાની મર્મસ્પર્શી કલમથી શ્રેષ્ઠ ગનીતો લખનાર ગીતકાર સંતોષ આનંદ પુત્ર અને પુત્રવધુની  આપઘાતની ઘટના બાદ સાવ ભાંગી પડયા છે. તેમને આજે કો, પરિચયની જરૂર નથી પણ આજનો જમાનો તેને યાદ કરતો નથી તે  આ ગીતકારની ફરિયાદ છે. તેમની આવડત એટલી પાવરફુલ હતી કે લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે ફોન પર  જ વાત કરીને ગીત બનાવી લેતા હતા. કવિ સંમેલનમાં તેમને સાંભળવા બહુ જ  ભીડ ઉમટી પડતી હતી. જીવનની ઘણી મુશ્કેલી વચ્ચે આ ગીતકાર જીવી રહ્યા છે. છતા હિંમતહાર્યા નથી. વ્હીલ ચેર પર કાંપતા શરીરે ભલે સાથ ન આપ્યો પણ તેમણે લખેલા ગીતોના સહારે-આત્મવિશ્ર્વાસે તેમના જીવન જીવવાનું કારણ  બન્યું છે.

“જો બીત ગયા અબ વહ દૌર ન આયેગા,
ઈસ દીલમેં સિવા તેરે  કોઈ,
ઔર ન આયેગા…
અને તેની પ્રેમિકા માટે લખ્યું….
ઈક પ્યાર કા નગમા હે….
જીંદગી ઔર કુછભી નહીં, તેરી મેરી કહાની હૈ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.