Abtak Media Google News

કોરોના ચોમાસામાં વધારે ફેલાતો હોવાની વાતોને તબીબી વિજ્ઞાનનું સમર્થન નહીં; પરંતુ, બેદરકારી રાખવાથી પાણીજન્ય રોગો થવાથી રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો થવાતી કોરોનાનો ચેપ લાગવાની સંભાવના વધારે હોવાનો ફીઝીશીયનોનો મત

વિશ્ર્વના મોટાભાગના દેશોમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનું સંક્રમણ હવે ભારતમાં ઝડપભેર થઈ રહ્યું છે. હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુ વચ્ચે કોરોનાના કેસોની સંખ્યા તીવ્ર ગતીએ વધવા લાગતા લોકોમાં ભયનો માહોલ છવાય જવા પામ્યો છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમ્યાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકોને શરદી, ઉધરસ, તાવ વગેરે રોગોનું પ્રમાણ વધતુ હોય છે.જેથી આ ઋતુજન્ય રોગો કોરોનાના પ્રાથમિક લક્ષણોને મળતા આવતા હોય લોકોના મનમાં રહેલો ડર વધી જાય છે. હાલમાં કોરોનાના વધતા કેસોની સંખ્યાના કારણે ડોકટરો પણ આવા દર્દીઓને કોરોનાના શંકાસ્પદ દર્દી માનીને સારવાર કરતા હોય છે. પરંતુ, તમામ નિષ્ણાંત ફીઝીશીયનોનું માનવું છે કે ચોમાસાના કારણે કોરોનાના વધારે ફેલાય છે તેવી વાતોમાં તથ્ય નથી.

Vlcsnap 2020 07 07 13H49M22S88

જોકે, ચોમાસાની ઋતુમાં શરદી, ઉધરસ તાવ, ઉપરાંત પાણીજન્ય રોગો મેલેરીયા, ડેંગ્યુ ઝાડા વગેરે ફેલાવવાની સંભાવના વધી જાય છે. જેથી, આવા રોગોનો ભોગ બનેલા દર્દીઓની રોગ પ્રતિકારક શકિત ઘટી જતી હોય છે. જેથી જે લોકોની રોગ પ્રતિકારક શકિત ઘટી જાય છે. તેઓ કોરોના પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવે તો બીજા લોકો કરતા ઝડપથી કોરોનાનો શિકાર બની શકે છે. જેથી ચોમાસા દરમ્યાન લોકોએ કોરોનાની સાથે પાણીજન્ય રોગોનો શિકાર ન બની જાય તેની કાળજી રાખવી જરૂરી છે. જે માટે લોકોએ ઉકાળેલુ પાણી પીવું જોઈએ વરસાદમાં બિન જરૂરી રીતે પલળવું ન જોઈએ, વાતાવરણમાં ભેજના કારણે કે પલળવાથી શરદી ઉધરસ થાય તો તુરંત ડોકટરને દેખાડીને તેની સારવાર કરાવવી જોઈએ તેમ આ ફીઝીશીયનોએ તેમની સલાહમાં ઉમેર્યું હતુ.

ચોમાસા દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સ નહી જાળવે કે કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવશે તો સ્થિતિ વકરશે: ડો. દીગ્વિજયસિંહ જાડેજા

Vlcsnap 2020 07 07 13H49M08S210

શહેરની જાણીતી ગોકુલ હોસ્પિટલના ફિઝિશિયન ડો. દીગ્વિજયસિંહ જાડેજા એ અબતક મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે આપણાં દેશમાં કોરોના સાથે પહેલું ચોમાસુ છે તો ચોમાસા ગયા પછી જ ખબર પડે કે ચોમાસા ના લીધે કોરોના માં શુ ફેરફાર થયો છે? જો ચોમાસા દરમિયાન લોકો સોશ્યિલ ડિસ્ટન્સ નહી જાળવે કે કોરોના દર્દીના સંપર્કમાં આવશે તો કોરોના ઝડપથી ફેલાઈ શકે છે લોકડાઉનમાં જેમ લોકો ઘરની બહાર નથી નીકળતા તેવી જ રીતે ચોમાસા માં લોકો કામ સિવાય બહાર ન નીકળે અને એક બીજાના ઘરે આવજાવ ના કરે તો કદાચ કોરોના ને રોકી શકાય.ચોમાસામાં ડેન્ગ્યુ,મેલેરિયા જેવી પાણીજન્ય  બીમારીઓ થાય છે જેના લીધે તાવ આવતો હોય છે ત્યારે તેને કોરોના છે કે બીજી બીમારી છે તે વિશેનું નિદાન કરવું અઘરૂ બને છે સાથે સાથે આવી બીમારીઓના લીધે શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે જેના લીધે કોરોનાના સંપર્કમાં આવવાની સંભાવના વધે છે. ચોમાસા દરમિયાન જો વરસાદમાં નીકળવાનું થાય તો માસ્ક બને તેટલું ભીનું ન થાય તેની સંભાળ રાખવી જોઈએ.

મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીથી રોગપ્રતિકારક શક્તિને ઘટતી હોય કાળજી રાખવી જરૂરી: ડો.આકાશ દોશી

Vlcsnap 2020 07 07 13H49M43S52

શહેરના એકમાત્ર ઇન્ફેક્શન સ્પેશયાલિસ્ટ ડો.આકાશ દોશી એ અબતક મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેથી શરદી,ઉધરસ અને તાવ જેવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે કોરોનાના કેસમાં પણ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો જો લોકો કોરોના માટે સરકારના નિયમોનું પાલન નહિ કરે, માસ્કનો ઉપયોગ તથા સોશ્યિલ ડિસ્ટન્સ નહીં જાળવે તો

કોરોનાના કેસ માં હજુ વધારો જોવા મળશે. જ્યારે ચોમાસામાં થતા મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં પણ છેલ્લા ઘણા સમયથી વધારો જોવા મળ્યો છે તેવી બીમારી આપણા

શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે તો લોકોને કાળજી રાખવી જોઈએ. સરકારના નિયમોનું પાલન કરી ડરવાની જગ્યાએ ચેતીને ચાલવું જોઈએ અને સારો ખોરાક લઈ ને શરીર માં રહેલ ઇમ્યુનિટી સિસ્ટમને વધારવી જોઈએ.

ચોમાસામાં પાણીજન્ય રોગો ન થાય તે માટે મનપા તંત્ર સજજ: ઉદીત અગ્રવાલ

Vlcsnap 2020 07 08 12H08M10S17

મ્યુનીસીપલ કમિશ્નર ઉદીત અગ્રવાલએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે આ સીઝનમાં શરદી, ઉધરસ જેવા રોગો થતા હોય છે. પરંતુ તેનાથી કોરોના થાય તેવું નથી. કોરોના એક એવી બિમારી છે કે જે વ્યકિતને કોઈ બીમારી હોય તો તેમાં તે દર્દીની સ્થિતિ વધારે બગડતી જાય છે. જે વધારે ખતરનાક છે. મહાનગરપાલીકા દ્વારા મચ્છરનો ઉપદ્રવ ના થાય તે માટે ૩૦૦ નવા વોલીયન્ટીયર ની નિમણુંક થઈ છે. જે રોજે અલગ અલગ ઘરોમાં ચેકીંગ કરે છે. અને જેના ઘરમાં મચ્છર દેખાશે તેને દંડ કરવામાં આવશે. મેલેરીયાના મચ્છર સ્વચ્છ પાણીમાં થતા હોય છે. તો આ મચ્છરો ના થાય તે માટે દરેક વ્યકિતએ કાળજી રાખવી જોઈએ અને ઘરમાં પાણીનો સંગ્રહ ન થવા દેવો જોઈએ.

કોરોના અને ચોમાસાના ઋતૃજન્ય રોગોના લક્ષણો એકસરખા હોવાથી ખોટો ડર ફેલાય છે: ડો.અમિત હપાણી

Vlcsnap 2020 07 07 13H48M52S40

શહેર અગ્રણી ફિઝિશયન ડો.અમિત હપાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું કે હાલ માં ચાલી રહેલી કોરોનાની મહામારીના ચિન્હો અને ચોમાસા માં થતી શરદી ઉધરસ અને તાવના ચિન્હો લોકોમાં લગભગ સરખા જોવા મળે છે  જેથી લોકો માં ડર જોવા મળી રહ્યો છે કે તેમને કોરોના છે પણ કોરોના થાય તો તે વ્યક્તિમાં તાવનું પ્રમાણ વધારે જોવા મળે છે સાથે નબળાઈ પણ જોવા મળે છે.જે લોકો કોરોના થયેલા વ્યક્તિના સંપર્કમાં આવે છે તેને જ કોરોના થતો હોય છે.જો કોરોનાના ચિન્હો દેખાય તો તરત જ સરકારે આપેલી હેલ્પલાઈન નંબર પર ફોન કરવો જોઈએ.બીમારીથી દુર રહેવા સ્વચ્છતા જાળવવી જોઈએ સાથે સાથે ઉકાળેલુ પાણી પીવું જોઈએ અને બહાર વેચાતી વસ્તુ ન ખાવી જોઈએ જેથી ચોમાસા માં થતી ડાયેરિયા જેવી બીમારીઓ થી દુર રહી શકાય કારણકે આવી બીમારી આપણા શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ ને ઘટાડે છે.ખાસ તો કોરોના મહામારી થી બચવા ઓછા માં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું જોઈએ અને માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ  સેનેટાઇઝર થી હાથ ધોવા જોઈએ અને જો બીમાર હોય તો ઘરમાં જ રહેવું જોઈએ જેથી આપણી આસપાસના લોકોને સંક્રમિત થતા રોકી શકાય.

વર્ષા ઋતુમાં થતા રોગોને ગંભીરતાથી લેવા અતીજરૂરી: ડો. કીરીટ દેવાણી

Vlcsnap 2020 07 08 12H09M07S85

મારા મત પ્રમાણે આ ઋતુ કોઇપણ વાયરલ કે બેકટેરીયાને ગ્રોથ થવા માટેની સારામાં સારી ઋતું છે. તો આ સમયમાં કોરોના વાયરસવધી શકે છે અને આપણે થોડા દિવસથી જોઇએ છીએ કે, વાયરસનો ડબલ ફેલાવો થાય છે. અત્યારે કોરોના વધવાની પુરેપુરી શકયતા છે. લોકોમાં ડર પણ છે. અમુક અંશે આ કોન્સીયસનેશ સારી છે. પરંતુ ઓવર કોન્સયસન્સ સારી નથી. કોઇપણ શરદી, તાવને ઉઘરસને હલકાઇમાં ન લ્યો જો તેમાં શંકા દેખાય  તો જ આગળનું સ્ટેપ લેવું. અત્યારના સંજોગોમાં તો શરદી, ઉઘરસને હલકાઇમાં ન લેવું ડોકટર પાસે તો જવું જ ઘરગથ્થુ ઇલાજ પર નિભંર ન રહેવું. કોરોના વાયરસ ઇન્ફેકટેડ કરવાની તેમજને સ્પેડ થવાની શકયતા ખુબજ વધારે છે. કોઇ

વ્યકિતને કોરોના થાય તો તે બીજી ત્રણ વ્યકિતને કોરોનાગ્રસ્ત કરે છે. કોરોનાથી બચવા માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવું જે આ બે વસ્તુ કરવાથી કોરોના ફેલાતો રોકી શકાશે. આ બે વસ્તુનું ઘ્યાન રાખશો તો ૮૦ ટકા કોરોનાથી બચી શકશે.

કોરોના પર ચોમાસાની અસર કેવી થશે તે સંશોધક બાદ ખબર પડશે: ડો. જયેશ ડોબરીયા

Vlcsnap 2020 07 07 13H52M46S79

શહેરની જાણીતી સીર્નજી હોસ્પિટલના જાણીતા ફીઝીશીયન ડો. જયેશ ડોબરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, હાલ બધાના મનમાં એજ વિચાર આવે છે કે વરસાદ આવવાથી કોરોનાના કેસોમાં વધારો થશે કે ધટાડો જયારે ઉનાળાની ઋતુ આવી ત્યારે બધાને એમ હતું કે કોરોના જતો રહેશે. પરંતુ તેવું થયું નહીં. કોઇપણ વાયરસ પર વાતાવરણની કેવી અસરો થાય છે તેની ખબર સંશોધનો થાય પછી જ ખબર પડતી હોય છે. અત્યારે કોરોના વાયરલ બધા માટે નવો છે. ભારતએ ટ્રોપીકલ દેશ છે. જયાં વર્ષમાં ઋતુ ઋતુઓ આવતી હોય છે. અને ઋતુ પ્રમાણે રોગો પણ અલગ અલગ હોય છે. ડેન્ગ્યુના કેસો વરસાદ પછી વધવા લાગે છે. પરંતુ જોરદાર વરસાદ પડે તો મચ્છરને વધવાની સંખ્યા એવા લાળવા વધુ પાણીમાં ઘોવાઇ જાય છે. કોરોના વિશે વિચારીએ તો લોકો રોડ પર થુંકે તો તેનાથી કોરોના ફેલાવવાની શકયતા રહેતી હોય છે. હવે વરસાદ થશે તો રોડ પર થુંકેલું ધોવાઇ જશે અને બીજુ લોકોના ટોળા ભેગા થશે નહીં. ઘરમાં બેસી રહેશે. તો એના કારણે કોરોનાના સંક્રમણ ઘટવાની શકયતા ઘટી જશે. ચોમાસાની ઋતુમાં ઘણા રોગો થતાં હોય છે. જેમાંની ઘણા રોગોમાં કોરોના જેવા લક્ષણો દેખાતા હોય છે. પરંતુ એ કોઇ ચેપી રોગ નથી જયારે કોરોના ચેપી રોગ છે. જે લોકોને તાવ રહેતો હોય શરદી, ઉઘરસ હોય અને ડેન્ગ્યુનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હોય તો તેવા લોકોએ કોરોનાનો રિપોર્ટ અચુક કરાવવો. દર વર્ષે વરસાદ આવે છે અને જે રીતે ત્યારે કાળજી રાખીએ છીએ તે કાળજી રાખવી જોઇએ.

ચોમાસામાં કોરોનાનો ફેલાવો વધવાની સંભાવના વધુ હોય કાળજી રાખવી જરૂરી: ડો. રાજેશ જૈન

Vlcsnap 2020 07 08 12H09M28S24

શહેરના સિનીયર ફીઝીશયલ ડો. રાજેશ જૈનએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ચોમાસામાં ચેપી રોગોનો ઉપદ્રવ વધારે થતો હોય છે આ ચોમાસામાં મેલેરીયા અને ડેન્ગ્યુની સાથે કોરોનાનો ઉમેરો થયો છે. વાયરસને ફેલાવા માટે ચોમાસુ સરળતા પુરી પાડે ચોમાસામાં કોરોનાનો ફેલાવો વધશે એ ચોકકસ છે. સામાન્ય તાવ કે શરદી હશે તો પણ લોકોને શંકા કોરોનાની જ થશે. સ્વાઇન ફલુ પણ એક પ્રકારનો કોરોના વાયરસ છે. કોરોનામાં ૯૦ ટકા દર્દી પોતાની રોગપ્રતિકારક શકિતથી જ સાજા થાય છે. હળવા લક્ષણો હોય તો બિન જરૂરી ટેસ્ટ ન કરવા જોઇએ ડોકટરની સલાહ લઇને જ ટેસ્ટ કરવો જોઇએ. કોરોના લક્ષણો ૪ થી ૭ દિવસમાં ગંભીર સ્વરુપ ધારણ કરે છે. ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલીક ડોકટરનો સંપર્ક કરવો પલ્સ ઓકસીમીટર  ૯૨ ટકાથી ઓછું ઓકસીઝનનું લેવલ હોય અને સમયસર ફેફસાનું સીટી સ્કેન અને રીપોર્ટ કરી લેવામાં આવે તો દર્દીને સમયસર બચાવી શકાય, તમામ ડોકટરો આ તબકકે બિમારીની સારવાર કરવા સજજ હોય છે. પલ્સ ઓકસીમીટરમાં ૯૫ થી વધુ ઓકસીઝન હોય તો રીપોર્ટની જરૂર નથી. જરૂર વગર ડરવું નહી સાચા સમયે સાચા પગલા ભરવા જરૂરી છે. ચોમાસા દરમ્યાન લીંબુ, સંતરા જેનાથી વિટામીન સી અને જેવા ફુટો, લીલોતરી શાકભાજી, કઠોળ પ્રોટીન તથા એન્ટી ઓકસીડનટ મળે તેવા ખોરાક ખાવા જોઇએ ઉપરાંત વિટામીન-ડી મળે એવા ખોરાક લેવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે. રોગ પ્રતિકારક શકિતથી રોગ સામે લડીને બચી શકાય અનલોક-૧માં લોકો ખુબ જ બેદરકાર થયા છે.

રાજકોટની હાલત અમદાવાદ અને મુંબઇ જેવી થવા જઇ રહી છે. જેથી બહાર નીકળો તો બધા વ્યકિતને કોરોના છે એમ ગણીને અંતર જાળવો, માસ્ક સતત પહેરો, હાથ સતત ધોવા, દરેક જગ્યાએ હાથ સેનિટાઇઝર કરીને દાખલ થાવ, ચહેરા પર જરૂર વગર સ્પર્શ ન કરો લોકડાઉનએ ટીચીંગ પીરીયડ હતો. આ દરમ્યાન શીખેલી વસ્તુઓના કરવાનો છે. સ્વૈચ્છીક રીતે લોકડાઉનનો અમલ કરો ટુંક સમયમાં વેકસીન આવવાની પુરેપુરી શકયતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.