Abtak Media Google News

એક સાથે 500 મહેમાનોને ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ: આરોગ્ય તંત્ર સફાળું બેઠું થયું

ભાવનગરના સિંહોર ગામે જુદા-જુદા ચાર સ્થળોએ યોજાયેલા લગ્ન પ્રસંગમાં છાસ પીધા બાદ ૫૦૦ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ હતી. આ તમામ પ્રસંગમાં એક જગ્યાએથી છાસ આવી હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના સિંહોરમાં ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સિંહોર અને ભાવનગરની હોસ્પિટલો ઝાડા-ઉલ્ટીના દર્દીઓથી ઉભરાઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા તમામ દર્દીઓ ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું હતું.
જે અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સિંહોરમાં જુદા-જુદા ચાર સ્થળોએ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવેલા મહેમાનોએ જમણવારમાં છાસ પીધા બાદ એકાએક તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રસંગમાં જમણવારમાં છાસ પીધા બાદ ૫૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરી અસર થતા સિંહોર અને ભાવનગરની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય તંત્ર સફાળું બેઠું થયું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં જાણવા મળ્યા મુજબ તમામ લગ્ન પ્રસંગોમાં એક જ સ્થળ પરથી છાસ આવી હોવાનું જાણવા મળ્યું હતું. છાસ પીધા બાદ ૫૦૦થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થયા હોવાનું સામે આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.