Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આઈકોનિક બિલ્ડીંગ સ્ટ્રક્ચર નિર્માણ અંગેના જાહેરનામાને આખરી મંજૂરી આપી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજુરી આપી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તારીખ 18 ઓગસ્ટ 2020 ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા.

મુખ્યમંત્રીએ આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે, ગગનચૂંબી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાયનલ મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરોમાં આભને આંબતા હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ સ્ટ્રકચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.

ટોલ બિલ્ડીંગ-ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિધ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન અને સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે.એટલું જ નહિ દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઇરાઇઝડ આઇકોનીક સ્ટ્રકચર બાંધી શકશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોના મહામારીના સંક્રમણની વિકટ સ્થિતી તથા તાઉતે જેવા વિનાશકારી વાવાઝોડાની પરિસ્થિતીના સફળતાપૂર્વક મુકાબલા માટે સમગ્ર તંત્રનું માર્ગદર્શન કરતા રહ્યાં છે.તેમણે આ આપદાઓ વચ્ચે પણ રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતા સાકાર કરતા સતત નિર્ણાયક અભિગમથી નગર સુખાકારીના નવા સિમાચિન્હો પ્રસ્થાપિત કર્યા છે. મુખ્યમંત્રીએ ટોલ-હાઇરાઇઝડ ઇમારતોના નિર્માણ અંગેના આખરી જાહેરનામાને મંજૂરી આપીને પ્રજાહિત નિર્ણયોની શૃંખલામાં એક નવી સિદ્ધિ ઉમેરી છે.

એટલું જ નહિ, વિજયભાઇ રૂપાણીએ આયોજનબદ્ધ શહેરી વિકાસને આગળ ધપાવતા   વધુ ત્રણ ફાયનલ ટી.પી સ્કીમ અને બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ પર મંજૂરીની મહોર લગાવી છે. મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમમાં ભાવનગર શહેરની ટી.પી.સ્કીમ નં 30(ચિત્રા) તથા શામળાજી મંદિર પરિસર તથા આસપાસના વિકાસ માટે જરૂરી ફેરફારો સાથેની ટી.પી.સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની ફાઈનલ ટી.પી.સ્કીમ નં 51 (પૂર્વ ખોખરા-મહેમદાબાદ), મેમનગર નં-1 (સેકન્ડ વેરીડ) તથા ગાંધીનગરની ફાઈનલ ટી.પી.સ્કીમ નં. 9/બી (વાસણા-હડમતીયા-સરગાસણ-વાવોલ)નો સમાવેશ થાય છે.

મહાનગરોના મુખ્ય વિસ્તારોમાં મોટી ઇમારતો બની શકે તેવા પ્લોટ ભાગ્યે જ ઉપલબ્ધ!!

સરકારે મહાનગરોમાં ગગનચૂંબી ઇમારતો બનાવવાનો રસ્તો ક્લિયર કરી દીધો છે. પણ તેમાં અનેક વિધ પ્રશ્નો પણ નડતરરૂપ છે. ગગનચૂંબી ઇમારતો બનાવી શકાય તેવા પ્લોટ મહાનગરોના મુખ્ય વિસ્તારોમાં ભાગ્યે જ ઉપલબ્ધ છે. શહેરની બહારના વિસ્તારમાં વિશાળકાય ઇમારત બની શકે તેવા પ્લોટ મળી રહે તેમ છે. પણ આવી વિશાળકાય ઇમારત શહેરના બહારના ભાગમાં ખડકીને તેનો ફાયદો શુ ? ઉપરાંત શહેરમાં કદાચ જો એવો મોટો પ્લોટ મળી જાય કે તેમાં ગગનચૂંબી ઇમારત બનાવી શકાય પણ ત્યાં પણ રોડની સમસ્યા ઉદ્દભવીત થઈ શકે છે. આમ મહાનગરોમાં ગગનચૂંબી ઇમારતોના નિર્માણના દ્વાર ભલે ખુલી ગયા હોય પણ તે હાલની સ્થિતિ જોતા લોઢાના ચણા ચાવવા જેટલું કપરું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.