Abtak Media Google News

પુખ્તવયના વ્યક્તિને રૂા.100 અને બાળકદીઠ રૂા.60 પ્રતિદિન ચૂકવાશે: મહત્તમ પાંચ દિવસ કેશડોલ્સ અપાશે

બિપરજોય વાવાઝોડાના કારણે જે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેવા લોકોને આજથી રાજ્ય સરકારના આદેશના પગલે કેશડોલ્સ ચૂકવવાનું શરૂ કરાયું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાથી અસર પામેલા ગામોના અસરગ્રસ્ત લોકોને નિયમાનુસારની કેશડોલ્સ આગામી ત્રણ દિવસમાં ચૂકવી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે. જે અંતર્ગત આજથી કેશડોલ્સ ચૂકવવાનું શરૂ કરાયું છે.

રાજ્યના મહેસુલ વિભાગે કેશડોલ્સની ચૂકવણી રોકડમાં કરવા અંગે કરેલા ઠરાવમાં જણાવાયું છે કે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના જે લોકોનું અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તેવા લોકોમાં પુખ્તવયની વ્યક્તિને રૂપિયા 100 પ્રતિદિન અને બાળકદીઠ રૂપિયા 60 પ્રતિદિનની સહાય મહત્તમ પાંચ દિવસ માટે ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાવાઝોડાની આફતની ન્યુનત્તમ અસરો થઈ છે તે માટે તંત્રવાહકો, એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., કેન્દ્રિય એજન્સીઓ તથા રાજ્ય સરકારના કર્મયોગીઓની દિનરાતની મહેનત અને સમયસરના આગોતરા આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં જિલ્લાવાર પ્રાથમિક નુકસાનીના અંદાજો મેળવ્યા હતા અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાહત-સ્થાનોમાં આશ્રય લઈ રહેલા લોકોને કેશડોલ્સ અને અન્ય સહાય સમયસર ચૂકવાઈ જાય તેના પર ધ્યાન આપવું જરૂરી છે. એટલું જ નહીં, કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલા અંશત: નુકસાન કે સંપૂર્ણ નાશ પામવાના કિસ્સામાં પણ સર્વે ત્વરાએ હાથ ધરવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ સંદર્ભની વિગતો આપતા બેઠકમાં જણાવ્યું કે અસરગ્રસ્ત 8 જિલ્લાઓમાં કુલ આશરે 719 કાચા-પાકા મકાનોને અંશત: નુકસાન થયું છે કે સંપૂર્ણ નાશ પામ્યા છે, તેવા પ્રાથમિક અહેવાલો મળેલા છે. વીજપોલ કે ટ્રાન્સફોર્મર્સને ક્ષતિ પહોંચી ત્યાં પૂર્વવત કરવા માટે પાણી-પુરવઠા, રહેણાક મકાનો અને કમ્યુનિકેશન સાથે સંકળાયેલા વીજપોલ, ટ્રાન્સફોર્મર્સને અગ્રતા અપાશે.

મુખ્યમંત્રીએ વાવાઝોડાને પરિણામે વૃક્ષો પડી ગયા છે તેની સામે સૌને સાથે મળીને બમણાં વૃક્ષો વાવી વધુ ગ્રીન કવર કરવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમારે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરતા કહ્યું કે, હવે આપણું ફોકસ રિસ્ટોરેશન ઓફ સર્વિસીસનું હોવું જોઈએ. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે ગામો-નગરોમાં જ્યાં પાણી ભરાઈ રહ્યું હોય, ત્યાં સાફ-સફાઈ, રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ, રોગપ્રતિકારક દવાઓની વ્યવસ્થા પણ તાકીદે ગોઠવવી પડશે. તેમણે પરિસ્થિતિ ઝડપભેર પૂર્વવત થાય તે માટે આવશ્યક સેવાઓં ઝડપી રિસ્ટોરેશન થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. જરૂર જણાયે વધુ ટીમો પણ કાર્યરત કરવા તેમણે સૂચવ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે, તેને ધ્યાને લેતાં આ જિલ્લાઓના કલેક્ટરોને પણ આગોતરા આયોજન સાથે સજ્જ રહેવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં આપવામાં આવેલી વિગતો અનુસાર અસરગ્રસ્ત જિલ્લાઓમાં 1536 વીજપોલની મરામત કરી દેવાઈ છે, 4490 ફિડર્સ પુન: કાર્યરત થઈ ગયા છે. વન વિભાગે પડી ગયેલા 1784 વૃક્ષો-આડશો દૂર કર્યા છે. 3700 કિ.મી. લંબાઈના ફમાર્ગોને અસર પહોંચી હતી, તેમાંથી મોટાભાગના પૂર્વવત કરવાની કામગીરી કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.