Abtak Media Google News

કોરોના મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ 10ની પરીક્ષા નહીં યોજવાની તરફેણ કરે છે પણ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે ધોરણ 10ની પરીક્ષા યોજવાની રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની કોર કમિટી, કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા પછી આ રજૂઆત થઈ હતી.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-ગુજરાતના મહામંત્રી ભરત ગાજીપરાએ રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અમારી કોર કમિટી અને કારોબોરી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા મુજબ પરીક્ષા લેવાવી જ જોઈએ. કારણ કે આ પરીક્ષા ન લેવાય તો તમામ વિદ્યાર્થી માસ પ્રમોશનથી ધો. 11માં આવશે અને તમામ માટે કોમર્સ કે સાયન્સના વર્ગની વ્યવસ્થા થઇ શકે નહીં. રિપિટર વિદ્યાર્થીઓમાં પણ માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીનું ધોરણ 12નું આવતા વર્ષનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિમાં ધો.10ની પરીક્ષા કેટલાક વિકલ્પો સાથે લેવાનું અમે સૂચવીએ છીએ.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે માસ પ્રમોશન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરતા કહ્યું છે કે, જો તમામ વિદ્યાર્થીઓને માસ પ્રોમોશન આપવામાં આવશે તો વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહ કે કોમર્સ પ્રવાહ પસંદ કરવું તેની અવઢવ ઉભી થશે. સામે ક્યાં વિદ્યાર્થીને સાયન્સમાં પ્રવેશ અને ક્યાં વિદ્યાર્થીઓને કોમર્સમાં એડમિશન આપવું તે અંગે મૂંઝવણ ઉભી થશે. ઉપરાંત માસ પ્રમોશન આપ્યા બાદ અપાયેલા વિદ્યાર્થીઓનું ધોરણ 12માં નબળું પરિણામ આવે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે કોરોના ગાઈડલાઇન્સ સાથે પરીક્ષાઓ લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સૂચવ્યું છે કે, શાળાકીય ટેસ્ટ કે પરીક્ષાને આધારે એમસીક્યુ ટેસ્ટ લઈ શકાય. બોર્ડની દેખરેખમાં દરેક સ્કૂલમાં જેઈઈ-નીટની જેમ પરીક્ષા લઈ શકાય. ઓનલાઈન માધ્યમથી બોર્ડના નિરીક્ષણ હેઠળ પરીક્ષા લેવા માટે કોઈ ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું પણ વિચારી શકાય. કોવિડની પરિસ્થિતિ થોડીક હળવી થાય પછી જે તે વિસ્તારની સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી મુખ્ય વિષયની પરીક્ષા લઈ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.