Abtak Media Google News

દ્વારકાના બરડિયામાં એક વૃદ્ધ પર પોલીસમાં અરજી કરવાની બાબતે એક શખ્સે હુમલો કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે નગરના દેવીપૂજકવાસમાં રસ્તો બંધ કરવાના પ્રશ્ને પરિવાર પર ચાર શખ્સોએ પથ્થરબાજી કર્યાનું તેમજ ધંધાખારના કારણે ગોળના એક વેપારીને માર પડયાનું પોલીસ દફતરે નોંધાયું છે.

દ્વારકા તાલુકાના બરડિયા ગામમાં રહેતા પાલાભાઈ વિરમભાઈ નાંગેશ નામના પંચોતેર વર્ષના રબારી વૃદ્ધને સોમવારે સાંજે કુરંગા ધોરીમાર્ગ પર બરડિયા ગામના જ વરપા ધીરાભાઈ નાંગેશ નામના શખ્સે રોક્યા હતા. આ શખ્સે તું મારા વિરૃદ્ધ પોલીસમાં ખોટી અરજીઓ કેમ કરે છે તેમ કહી બોલાચાલી શરૃ કર્યા પછી પોતાની પાસે રહેલી છરીનો હાથો ઝીંકી ઢીકાપાટુ વરસાવ્યા હતા.

પોલીસે પાલાભાઈની ફરિયાદ પરથી આઈપીસી ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા દેવીપૂજકવાસમાં રહેતા નાથાભાઈ દેવશીભાઈ વાઘેલાના આવવા-જવાના માર્ગ પર બાજુમાં જ રહેતા ગોવિંદ બાબુભાઈ દેવીપૂજકે બાવળની ઝાડીઓ નાખી દેતા ગઈકાલે નાથાભાઈએ રસ્તો કેમ બંધ કર્યો છે તેમ પૂછયું હતું આથી ઉશ્કેરાયેલા ગોવિંદ અને અચૂડા બાબુભાઈ, ભાવલા બુધાભાઈ, બુધા સીદીભાઈ નામના ચાર શખ્સોએ પથ્થરોના છૂટા ઘા કરી હુમલો કર્યો હતો.

આ વેળાએ નાથાભાઈના પરિવારજનો વચ્ચે પડતા તેમને પણ પથ્થરો મારવામાં આવ્યા હતા. પોલીસે નાથાભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે. જામનગરના ખોડિયાર કોલોનીમાં આવેલા ગણપતનગરમાં વસવાટ કરતા અને ત્યાં જ ગોળનો વ્યવસાય કરતા લખમણભાઈ નકુભાઈ માડમ તથા નગાભાઈ નગારિયા નામના બે વેપારી વચ્ચે અગાઉ ધંધાની બાબતે બોલાચાલી થઈ હતી તે દરમ્યાન ગઈકાલે સવારે લખમણભાઈ નજીકમાં જ આવેલી નગાભાઈની દુકાને ગયા ત્યારે તેમના પર લાકડી વડે નગાભાઈએ હુમલો કરી માર મારી ધમકી આપ્યાનું પોલીસ દફતરે જાહેર થયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.