Abtak Media Google News

પડતર માંગણી મુદ્દે રાજ્યભરના તલાટીઓએ કામનો બહિષ્કાર કર્યો : 1 ઑક્ટોબરથી ધરણા સહિતના કાર્યક્રમોનું એલાન

અબતક, રાજકોટ :  રાજ્યના 9000 જેટલા તલાટી મંત્રીઓએ આજે પડતર માંગણીઓ મુદ્દે ‘પેન ડાઉન’ કરીને વિરોધ નોંધાવ્યો છે. આ સાથે તલાટીઓ દ્વારા 1 ઑક્ટોબરથી ધરણા સહિતના કાર્યક્રમોનું એલાન પણ આપવામાં આવ્યું છે. આજે તલાટીઓ પોતપોતાની કચેરીમાં હાજર છે પરંતુ કામગીરીથી અળગા રહેતા કચેરીમાં કામો ટલ્લે ચડ્યા હતા.

તલાટીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની નોકરી સળંગ ગણવા, ગામદીઠ તલાટી મંત્રીઓની નિમણૂક કરવા, બઢતીના અટવાઈ ગયેલા હુકમો મંજૂર કરવા ઉપરાંત રેવન્યુ તલાટી સમકક્ષ પે-ગ્રેડ આપવા સહિતની માગણી કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં નહીં આવતાં અંતે આજે રાજ્યના 9000 જેટલા તલાટીઓ પોતાની પેનડાઉન કરીને વિરોધ નોંધાવી રહ્યા છે.

પરંતુ જો તેનાથી કોઈ નિરાકરણ નહીં આવતાં 1લી ઑક્ટોબરથી ધરણા, સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપવામાં આવશે અને આ કાર્યક્રમ જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી યથાવત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ આજે સોમવાર હોવાથી ગામડામાં રહેતાં અનેક અરજદારો દાખલા કઢાવવા સહિતની કામગીરી માટે પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ પેનડાઉન હોવાને કારણે ત્યાં હાજર હોવા છતાં તલાટી મંત્રીઓ કામગીરીથી અળગા હોવાને કારણે અરજદારને ધક્કો થવા પામ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્ય તલાટી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓને સાથે અવાર- નવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં રાજ્ય સરકારે તેમની માંગણીઓને સ્વીકારી નથી. જેથી મંડળ દ્વારા વિરોધ કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. આજના પેનડાઉનના કાર્યક્રમમાં રાજકોટના અંદાજે 384 જેટલા તલાટીઓ જોડાયા હતા. તલાટીઓની હડતાળને પગલે ગ્રામ પંચાયતોમાં વહીવટી કામગીરી અટકી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.