Abtak Media Google News

શિક્ષણમંત્રીની હાજરીમાં જ યોજના  ફરી લાગુ લાગુ કરવા મુદ્દે શિક્ષણસંઘે  આંદોલનની ચીમકી ઉચ્ચારી

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા મુદ્દે શિક્ષણસંઘ દ્વારા 23 જાન્યુઆરીથી આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નવાઈની વાત એ હતી કે, આ જાહેરાત ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારના નવા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની હાજરીમાં કરવામાં આવી હતી. વાત એમ છે કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘે રવિવારે સાળંગપુરમાં કારોબારી બેઠક બોલાવી હતી અને તેમાં શિક્ષણમંત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોવાથી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા.

અહીં બધાને સંબોધન કરતી વખતે શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાના કેટલાક પ્રશ્નો રાખ્યા હતા અને તેનું નિરાકરણ લાવવાની માગ કરી હતી. આ દરમિયાન તેમણે તેમ પણ કહ્યું હતું કે, ઓલ ઈન્ડિયા સંગઠન જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે દેશભરમાં કાર્યક્રમ કરવાના છે. મંત્રીની હાજરીમાં જ આ વાતનો ઉલ્લેખ કરતાં થોડી મિનિટ માટે ત્યાં સોપો પડી ગયો હતો.

દિગ્વિજયસિંહ જાડેજાએ જૂની પેન્શન યોજના મુદ્દે 23 જાન્યુઆરીથી આંદોલન શરૂ કરવામાં આવશે તેવો આડકતરો ઈશારો કર્યો હતો. આ સિવાય 2023ની લોકસભાની ચૂંટણી પહેલા સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની હોવાથી તે પ્રમાણે કાર્યક્રમો નક્કી કરાયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શિક્ષકોની માગણી લાંબા સમયથી પડતર પડી રહી છે અને તેથી હવે તેઓ આંદોલતન કરશે તેમ તેણે કહ્યું હતું.

શિક્ષણમંત્રીની હાજરીમાં જ આંદોલન તરફ ઈશારો

અખીલ ભારતીય શિક્ષક સંઘના પ્રમુખ રામપાલ સિંહ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમણે વીજળી, નોકરી અને પેન્શનનું સૂત્ર આપ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, જો ભાજપ આ ત્રણ વસ્તુ આપી શકશે તો તેમને 156 નહીં પરંતુ 182 બેઠક મળશે. ’પેન્શન મુદ્દે અમારી લડાઈ ચાલુ છે અને ચાલુ રહેશે. જો ધારાસભ્યો અને સાસંદને પેન્શન મળતું હોય તો શિક્ષકોને કેમ નહીં?’, તેમ તેમણે કહ્યું હતું. ત્યારબાદ શિક્ષણમંત્રીએ તમામ મુદ્દાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.