Abtak Media Google News

42 એકર જમીનના વિવાદના કારણે પિયર પક્ષના ચાર સભ્ય સામે કીડનેપનો નોંધાતો ગુનો

બનાસકાંઠા અને રાજકોટ પોલીસ દ્વારા સઘન તપાસ

અબતક,રાજકોટ

બનાસકાંઠાના કાંકરેજ નજીક આવેલ થરા રાજ પરિવારના વયો વૃતરાજ માતાનું રાજકોટ નજીક ગઢકા ગામના પિયર પક્ષના ચાર સભ્યોએ ઇનોવા કારમાં જમીન વિવાદના કારણે અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરી ગઢકા ગોળી ગઈ હતી અને અભણના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી ઇનોવા કાર મળી આવતા તેને કબજે કરી બનાસકાંઠા પોલીસને સોંપી દીધી હતી.અને રાજ માતાની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ કાંકરેજના થરા રાજઘરાના પરિવારના 90 વર્ષીય મોટા માતાનું જમીનના વિવાદમાં તેમના પિયરપક્ષ રાજકોટના ગઢકાના ચાર વ્યક્તિએ થરામાંથી અપહરણ કરી અજાણ્યા સ્થળે છુપાવી દેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે બીજી પત્નીના પુત્રએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી રાજકોટ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કમિશનરના આદેશથી યુનિવર્સિટી પોલીસે એક અપહરણકારની ઘરે દરોડો પાડી ઇનોવા કાર જપ્ત કરી હતી. અપહૃત મોટા માતાને ગઢકા છુપાવાયા હોવાની શંકાના આધારે પોલીસની એક ટીમ ગઢકા દોડી ગઇ હતી.કાંકરેજના થરા ખાતે રહેતા રાજઘરાનાના રસિકકુંવરબા (ઉ.વ.90)ના પિયર રાજકોટના ગઢકા ગામે તેમના પિતા લગધીરસિંહના વારસાની 42 એકર જમીન આવેલી છે. આ જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન રસિકકુંવરબા 7 ઓક્ટોબરે થરા તેમના નિવાસ સ્થાને પરિવાર સાથે હતા.

ત્યારે ઇનોવા નં. જીજે. 03 4032માં આવેલા ગઢકાના ગાયત્રીદેવી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રવિરાજસિંહ પરમાર, રાજકોટના હરિરાજસિંહ સોઢા અને લોધિકા તાલુકાના પારડીના રાજભા પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રસિકકુંવરબાનું અપહરણ કર્યું હતું. અને અજ્ઞાત સ્થળે છુપાવી દીધા હતા. આ અંગે બીજી પત્નીના પુત્ર ભગીરથસિંહ મંગળસિંહ વાઘેલાએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

થરા દરબારગઢના મંગળસિંહ વાઘેલાના પ્રથમ લગ્ન ગઢકાના લગધીરસિંહ જાડેજાની દીકરી રસિકકુંવરબા સાથે થયા હતા. જોકે, તેમને સંતાન ન થતાં બીજા લગ્ન કાંકરેજના કસરા ગામે સુરેન્દ્રસિંહ ફતેસિંહ ગોહિલના ઘરે કર્યા હતા. બીજી પત્ની થકી તેમને પાંચ સંતાન છે. જે પૈકી ભગીરથસિંહ વાઘેલાએ મોટા માતાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.