Abtak Media Google News

સંપૂર્ણ જૂની પેન્શન યોજના સહિતની તમામ માંગણીઓનો સ્વીકાર નહી કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે

રાજય સરકારના પાંચ મંત્રીઓની સમિતિ દ્વારા કર્મચારીઓ સાથે બેઠકો કર્યા બાદ 9 લાખ કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. છતાં કર્મચારીઓને આ નિર્ણય મંજુર નથી. યુનિયનો આંદોલન ચાલુ રાખવા મકકમ છે જાુની પેન્શન યોજના સંપૂર્ણ પણે લાગુ કરવા સહિતના 16માં મુદ્દાઓનો સ્વીકાર કરી લેવાની માંગ ઉઠી રહી છે.

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જે રજૂઆતો કરવામાં આવી હતી તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ  અંદાજે 9 લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્ર્નો સકારાત્મક નિરાકરણ સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઈ મેરજા,ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી,ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજીને સુખદ સમાધાન આજે આવ્યું છે જેના પરિણામે આ મહત્વના નિર્ણયો લેવાયા છે.

7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે.

કેન્દ્રના ધોરણે તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં 10 ટકાને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવામાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારીહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, વર્ષ 2009ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ 10, 20, 30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.

કર્મચારીઓને રૂ.300 ને બદલે રૂ.1000 મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.8 લાખ અપાતી હતી તે વધારીને રૂ.14 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે 50 ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્ર્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રીએ ઉમેર્યું કે,કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાને બદલે 13 વર્ષના 156 હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજિત રૂ.6 લાખ જેટલો સંભવત: ફાયદો થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર-2024 સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ 180 દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.

તેમણે કહ્યું કે,વર્ષ 2006 પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તા.18 જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2006 પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.1લી એપ્રિલ 2019ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવશે. તા.27 એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે.

રાજય સરકાર દ્વારા લેવાયેલા આ કર્મચારી હિતલક્ષી નિર્ણયો માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેમણે આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

દરિયમાન ગુજરાત રાજય કર્મચારી મહામંડળના રાજકોટ જિલ્લાના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત રાજકોટ જિલ્લાના કોઇપણ કર્મચારીઓને માન્યના હોય અને અમારે સંપૂર્ણ જુની પેન્શન યોજના જ જોતી હોય મહામંડળનું આંદોલન ચાલુ રાખવા અને તમામ કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખવા અનુરોધ કરાયો છે. મહામંડળના 16માં મુદા તમામ કેડરના ગ્રેડ પે વધારવા સમાન કામ કરતા વેતન તેમજ ફિકસ પે મુદ્દા ને સંપૂર્ણ અવગણેલ છે. અને માત્ર નવી પેન્શન યોજનાનું રુપ બદલી લોલીપોપ આપેલ છે.

કર્મચારીઓમાં ખુબ જ આક્રોશ અને સંંપૂર્ણ એકતાનો માહોલ હોય કર્મચારીઓની લાગણી ઘ્યાને લઇ જયાં સુધી આપણી તમામ માંગોનો બિનશરતી સ્વીકાર ના કરવામાં આવે ત્યાં સુધી આંદોલનના તમામ કાર્યક્રમ ચાલુ રાખવા મહામંડળને કર્મચારીઓ અને રાજકોટ મહામંડળ ટીમે આહ્યાન કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.