Abtak Media Google News

મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈ લેવાયો નિર્ણય: શ્રદ્ધાળુઓ માટે તહેવારોના દિવસોમાં મંદિર પરિસર સંપૂર્ણ બંધ રહેશે

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પણ હવે કોરોના વાઇરસ ભયાનકરૂપ ધારણ કરી ચુક્યો છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ સહિતના તહેવારો આવી રહ્યા છે. તહેવારોના દિવસોમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તહેવારના આ દિવસોમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શ્રી ખોડલધામ મંદિરે તહેવારના દિવસોમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. જો કે હાલ કોરોના વાઇરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠાં ન થાય તે માટે સંપૂર્ણ મંદિર પરિસર જ એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી ખોડલધામ મંદિર પરિસર ૯ ઓગસ્ટ થી ૧૬ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા હિતકારી નિર્ણય લેવાયો છે. ઓગસ્ટ મહિનાના આ સપ્તાહમાં જ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની જાહેર રજાઓ આવી રહી છે. તહેવારની રજાઓમાં લાખો શ્રદ્ધાળુ શ્રી ખોડલધામ મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે. પરંતુ હાલ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી હોવાથી તહેવારના આ દિવસોમાં શ્રી ખોડલધામ મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.૯ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ સુધી કોઈપણ ભક્તોને મંદિર પરિસરમાં પ્રવેશ નહીં અપાય.  ત્યારબાદસરકારની ગાઈડલાઈન મુજબ મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે જેની સૌ ભક્તોએ નોંધ લેવી..લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા અને તહેવારોમાં વધુ સાવચેત રહેવા ખોડલધામ અપીલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.