Abtak Media Google News

લોકશાહીને નેવે મૂકતા રાજપુરૂષો: કોઈ કહેનાર  પુછનાર નથી! સંકુચિત હિતોમાં ગુંગળાતો હિન્દુસ્તાન: કરોડો હિન્દુઓ હાડ્ય હાડ્ય!

૨૧મી સદીમાં પ્રયાણ વખતે દેશની પ્રજાને એવી હોંશ હતી કે આ નવી: સદીમાં દેશમાં પુન: સુવર્ણયુગના મંડાણ થશે અને વિટંબણાઓનાં વાદળ વિખેરાઈ જશે, પરંતુ અત્યારથી આ સદી ‘વસમી સદી’ બનવાની ચાડી ખાય છે, લોકસભાની ચૂંટણી પછી દેશની લોકશાહીના અપહરણની સ્થિતિ પેદા ન થાયત તે સદનસીબી લેખાશે…

લોકસભાની ચૂંટણી હજુ વિધિસર જાહેર, થઈ નહોતી તે પહેલા ચૂંટણી જીતવા માટે અને રાજગાદી પામવા માટે આપણા ગરીબ દેશમાં કરોડો રૂપીયાનો જુલ્મી ધુમાડો કરી લીધો હતો.

હા, રાજનેતાઓએ લોકશાહીને જોખમાવી છે એમ કહ્યા વિના છૂટકો નથી.

એકવીસમી સદીમાં પ્રયાણ કરતી વખતે દેશની પ્રજાને એવી હોંશ હતી કે આ નૂતન સદીમાં આપણા દેશમાં પૂન: સુવર્ણયુગનાં મંડાણ થશે અને પરિવર્તનની આહલાદક લહેર લહેરાશે, વિટંબણાઓનાં વાદળ વિખેરાશે અને સુખનો રોટલો સાંપડવાના દિવસો જોવા મળશે. પરંતુ એકવીસમી સદીના પ્રથમ ૧૩ વર્ષ પછી એવું ચિત્ર ઉપસે છે કે એકવીસમી સદીને વસમી સદી બનાવવાની દોડ આ દેશમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પછી દેશની લોકશાહીનું અપહરણ થવાની ભીતિ જાગે છે. નેતાગીરીમાં ગુંચવાતી ગયેલી લોકશાહીને બંદીવાન બનાવવા તાનાશાહી તત્પર બની હોવાનું અતિ બિહામણુ દ્રશ્ય નજર સામે ખડુ થયા વિના રહેતુ નથી.

સ્વરાજ પૂર્વે તો ઠીક, સ્વરાજ પછી પણ દેશની હવામાં વિઘટનનું ઝેર ફેલાવવાની બિહામણી હરિફાઈ આ દેશમાં શરૂ થઈ છે. એનો ભોગ આખરે તો દેશની આઝાદી અને લોકશાહી જ બનવાના છે.

સત્તા અને ધનની ભૂખે માઝા મૂકી છે.

 સત્તાધીશ થવાની અને ધનવાન બનવાની ઘેલછાએ દેશના રાજ પુરૂષોને આંધળાભીત બનાવ્યા હતા. સંત્તાથી રાજકારણીઓએ લોકશાહીને મૂકી હતી ઓછામાં પૂરૂ તેમણે લોકસભાને બે આબરૂ કરતા તમાસાઓને તથા અરાજક, ધાંધલ ધમાલને માથુ ઉંચકવાની ટેવ પડવા દીધી.

એકવીસમી સદીના આરંભે એમ કહેવાયું હતુ કે એકવીસમી સદીને સજાવી રાખો, અમે આવીએ છીએ, ટોડલે રોટલીને ચિતરાવી રાખો, અમે આવીએ છીએ… અરે ! ધુમાડાની પાછળ મહેલોની લાંબી કતારો, આગળથી ઝૂંપડી હટાવી રાખો અમે આવીએ છીએ, ગ્રહોની આસપાસ ધૂમતા હશે ઉપગ્રહો આ પૂર્વગ્રહોને દફનાવી રાખો અમે આવીએ છીએ. સમરાંગણ ખેડી માનવતા વાવો સૌ હેતે, ને મધુરા ફળ એનાં ઉતરાવી રાખો, અમે આવીએ છીએ…માનવ માનવ વચ્ચે આજેય પડી છે ભેદરેખા, તે ભેદરેખાને ભૂંસાવી રાખો, અમે આવીએ છીએ…

પરંતુ મહેલોની લાંબી કતારો આગળથી ઝુપડીઓ ન હટી તે ન જ હટી પૂર્વગ્રહોને ન દફનાવાયા તે ન જ દફનાવાયા, આંતરીક સમરાંગણો વધ્યાને વધતા જ ગયા, માનવતાના વાવેતર ન થયા તે ન જ થયા… ભીતરની ભેદરેખાઓ ન ભૂંસાઈ, તે ન જ ભૂસાઈ… રાષ્ટ્રીય બિમારીના સાચા ઉપચાર ન થયા તે ન જ થયા.

રામરોટીના ચોથિયા માટે, ચીંથરાના ટુકડા માટે, ચપટીક નિરાંત માટે બુમરાણ મચાવતા ગરીબોની ખખડી ગયેલ જિન્દગીમાં સ્પીડબ્રેકર મૂકવા જેટલીયે દયા કોઈએ ખાધી નથી.

દીકરા દીકરીની આંગળી પકડીને પતાસાંના શકુને હર્ષ ઘેલો પિતા અને પહેલીવાર નિશાળે મૂકવા તથા માસ્તર સાહેબને આજીજીભર ભલામણ કરવા જાય ત્યારે એના ઉજજવળ ભાવિની ખાતરીવાળુ માદળીયુ તે તેના ગળે બાંધતો નથી, પણ મજબૂત શ્રધ્ધા અને ભાવિ સુખની ઉષ્મા આપે છે. એકવીસમી સદીમાં પ્રવેશ વખતેય કોણે આવી લાગણી અનુભવી નહોતી?

દેશના વર્તમાન રાજકારણની ગતિવિધિઓ એવો ખ્યાલ ઉપસાવે છે કે, રાષ્ટ્રીય ચારીત્ર્યને ખોઈ બેસવાનું જોખમ આપણા રાષ્ટ્ર ઉપર લટકતુ થયું છે. અને તે આપણા રાષ્ટ્રને લેશમાત્ર પોસાય તેમ નથી!

હમણા હમણા આપણા દેશના રાજકીય ક્ષેત્રે હીનકક્ષાની તડાફડીના બનાવોનું પ્રમાણ વધતુ રહ્યું છે. અને રાજકીય નેતાઓનાં વ્યકિતગત ચારિત્ર્ય ઉપર અણછાજતા કૂઠરાઘાતો થઈ રહ્યા છે. આપણા દેશ માટે એ અમંગળ એંધાણ બની શકે છે. અને અશાંતિની ઘટનાઓથી ખદબદશે તેવી ચેતવણી રાજકીય અભ્યાસીઓ દ્વારા અપાઈ રહી છે.

રાજકીય કાવાદાવાઓ અને કપટબાજી ચક્રાવાઓ દ્વારા એક બીજાને હરાવવાની અતિ કદ રૂપી ચેષ્ટાઓ થઈ રહી છે.. અઢાર અક્ષૌહિણી સેના સહિત વિશાળ કૌરવસેના તથા તેના સેનાપતિઓ અને એક એકથી ચઢે એવા મહાયોધ્ધાઓ ભયંકર સંહહારક શસ્ત્રો સાથે કુરૂ ક્ષેત્રના રણક્ષેત્રમાં હાર જીત અર્થે સજજ થયા હતા એવો માહોલ અત્યારે આપણા દેશના રાજકીય ક્ષેત્રે પ્રવર્તે છે. અહી યુધ્ધની આચારસંહિતાને અભેરાઈએ ચઢાવવામાં કશોજ બાદ નહી હોવાનો ખ્યાલ પણ ઉપસે છે!

હું ભલે હારી જાઉ, મારે જીતવું નથી, લડવુ નથી… અર્જુન કુરૂ ક્ષેત્રનાં મેદાનમાં લડાઈ પહેલા જ હારી જવા તૈયાર થઈ ગયો ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું હતુ કે ખબરદાર ! આપણને હારી જવાનું નહી પાલવે કારણ કે તુ હારી જા તા‚ હારી જવું એ તને એકલાને નહિ સ્પર્શે તુ એકલોજ નહી હારે, તરી સાથે ઘણા બધા હારી જશે, આખુ કુળ હારી જશે. હસ્તિનાપૂર તો ઠીક, ઈન્દ્રપ્રસ્થ પણ હારી જશે.

કૃષ્ણે અર્જુનને આપેલો બોધ એવું જ કહેતો હતો કે જે આટલુંક પણ હારે છે તે ઘણુ બધુ હારી જાય છે. કેટલીકવાર તો આપણને હારી જવાનો હકક નથી હોતો.

આપણને પરાજીત થવાનો અધિકાર જ નથી હોતો. આપણી હારની સાથે ઘણા બધાને સંબંધ હોય છે.જેમ જુગારમા યુધિષ્ઠીરની હાર સાથે ઘણા બધાને સંબંધ હતો. યુધિષ્ઠિરને એમ હારી જવાનો કોઈ હકક નહોતો. તમે દ્રૌપદીને કેમ હારી જઈ શકો? યુધિષ્ઠિરના હારી જવાનો અર્થ શું એવોન હોતો થતો કે તેઓ જુગારના યુધ્ધમાં ધર્મરાજાને હારી ગયા હતા, અને અર્જુનની તથા ભીમની, તથા સહદેવની નકુલની પત્ની (દ્રૌપદી)ને પણ હારી ગયા ?

યુધિષ્ઠીર જુગારના યુધ્ધમાં પરાજીત થટા તેનો અર્થ શુ એવો ન થાય કે તેઓ હાર્યો જુગારી બમણો રમે એમ રમ્યા અને પોતાની પાસે હતુ તે બધુ જ તેમજ માંડવ કુળનું સર્વસ્વ હારી ગયા. કાંઈ બાકી રહેવા ન દીધું.

શું આટલી હદે અને આબરૂ ના કાંસરા થયા એટલી હદે હારી જવાનો યુધિષ્ઠીરને હકક હતો ખરો?….

આ બધી હાર અને તેની વિપરીત અસરો જ શુ મહાભારત મહાયુધ્ધ સુધી ખેંચી ગયું ન હતુ? ભાઈઓ ભાઈઓ વચ્ચે વૈમનસ્ય ઘૃણા અને ધિકકારની લાગણી જન્માવવામાં નિમિત બન્યું નહતુ? અપાર અક્ષૌહિણી સેનાના લોહી માંસભીના સંહારની ભિતરમાં પણ શું આ જુગાર કારણભૂત બન્યો નહતો?

આ દ્રષ્ટિએ નિહાળતા એવો ખ્યાલ ઉપસે છે કે, આપણા દેશનું રાજકીય ક્ષેત્ર પણ ચૂંટણીને લગતા મહાયુધ્ધને આરે ઉભું છે. અને હાલની સરકારમાં બેઠેલાઓ કલ્પનામાં ન આવે એવો રાજકીય જુગાર રમી રહ્યા છે આને લગતી શતરંજમાં પાસા નાખનારા મહાધૂર્તો- શકુનિઓ પણ લગભગ એવા જ સ્વાંગમાં તેમની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે આ શતરંજની કાંકરીને ગાંડી કરી છે. તેમણે આ શતરંજની કાંકરીને ગાંડી કરી છે. અને નૈતિકતાને નેવે મૂકીને હસ્તીનાપૂર (નવીદિલ્હી)ની રાજગાદી પૂન: હસ્તગત કરવા ભેદભરમનાં ખેલ ખેલી રહ્યા છે. આ પ્રકારનાં કપટયુકત રાજકીય ખેલને કારણે દેશનાં રાષ્ટ્રીય ચારિત્ર્ય ઉપર એની અતિબુરી અસર પહોચી હોવાનો ખતરો સર્જાયો છે. રાજકીય અભ્યાસીઓ આને અમંગળ એંધાણ તરીકે ઓળખાવે છે. અને એનાં પરિણામો આપણા દેશને બિહામણા વિઘટન અને અશાંતિની જવાળાઓમાં ધકેલવાની આગાહી કરે છે.

મહાભારતનું યુધ્ધ ભાઈ-ભાઈ વચ્ચે ખેલાયું સત્તા માટે અને રાજસિંહાસન માટે ખેલાયું એમાં અઢાર અક્ષૌહિણી સેનાનો સંપૂર્ણ સંહાર થયો અગાઉ કયારેય જોવા મળ્યા નહોતા એવા અને આ મહાયુધ્ધ બાદ ફરી કયારેય ન પાકયા અને જોવા નહિ મળેલા મહાયૌધ્ધાઓ અહીં કુરૂ ક્ષેત્રના રણક્ષેત્રમાં ખપી ગયા. હસ્તીનાપૂરની રાજગાદી ઘણે અંશે રંડાપો પામી… રાજ કરે એવા કોઈ ન રહ્યા!…

આપણા દેશનું છેલ્લા કેટલાક વર્ષોનું અને હમણાનું રાજકારણ સામૂહિક વિનાશ તરફ ઘસેડાતું રહ્યું છે.

દુનિયાભરની હિન્દુસ્તાની પ્રજામાં લોકપ્રિયતામાં નંબર-વનની કક્ષાનું ગૌરવ પામેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બેશક સર્વોચ્ચ બહુમાન અને શાબાશીને પાત્ર છે.

પરંતુ અહી વિશેષ નોંધપાત્ર અને અમંગળ એંધાણ સમી બાબત એ છે કે, શ્રી મોદી પછી બીજા અને ત્રીજા નંબર કોઈ રાજપુરૂષ અર્થાત આપણા રાજકીય ક્ષેત્રનાં આગેવાન નેતા ન આવ્યા.

અભિનેતા અને અભિનેત્રી આવ્યા છે. અ બંને પણ અભિનંદન અને શાબાશીના અધિકાર છે.

આપણા દેશને સારા અને સાચા નેતાઓની જરૂર છે, અભિનેતા અભિનેત્રી લોકપ્રિયતાનું રાજકીયકરણ થઈ શકે ખરૂ ? ફેલાયેલા વિઘટનના ઝેરને અમૃતમાં ફેરવી દઈ શકે ખરા? સત્તા અને ધનની ભૂખને તેઓ ‘રાષ્ટ્રધર્મ’ની ભૂખમાં પરિવર્તિત કરી દઈ શકે ખરા?

જો હા, તો શુકન, જો ના તો અપશુકન ! કારણ કે દેશથી સર્વોપરિ કશું જ નથી હોતું… જો દેશ, દેશાભિમાન અને દેશની સંસ્કૃતિ બચે તોકશું જ ન બચે, રાષ્ટ્રધ્વજ સહિત !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.