શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. જેને લઇને શહેરીજનોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સંક્રમણ વધવાની સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે. વહીવટી તંત્ર કોરોનાને ખાળવા તકેદારીના ભાગરૂપે અનેક પગલાઓ લઇ રહ્યુ છે તેમજ લોકોની સુખાકારી માટે નિયમો બનાવી રહ્યુ છે. આ પરિસ્થિતીમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહી તે માટે રાજકોટ ગોલ્ડ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય મુજબ તા.૧૨ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ સોની બજાર બંધ રાખવા નિર્ણય લીધો છે.
એકબાજુ સોના ચાંદીના ભાવો પણ અતિશય ઉંચકાયા હોય અને મંદિનો માહોલ હોયત્યારે આમ પણ સોની બજારમાં મંદિ જોવા મળી રહી છે. આ પરિસ્થિતી વચ્ચે કોરોના સંક્રમણ અટકાવવાના પુરતા પ્રયાસમાં રાજકોટ ગોલ્ડ એસોસિયેશને એક અઠવાડિયું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી અગત્યનો ભાગ ભજવ્યો છે.
બીજી બાજુ સોની સમાજના ઘણા લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. ઉપરાંત કોરોનાથી મૃત્યુ પામ્યા છે ત્યારે કોરોનાથી બચવા તકેદારીના ભાગરૂપે તમામ વેપારીઓએ આ સ્વયંભૂ નિર્ણય કર્યો છે. જેથી ૧૯મી સુધી રાજકોટ સોની બજાર સંપૂર્ણ બંધ પાળશે.