Abtak Media Google News

કરોડોની કિંમતની સરકારી જમીન તત્કાલીન પ્રાંત અને મામલતદારે અનઅધિકૃત રીતે ખાનગી માલીકીની ઠેરવી દીધાના ચકચારી કેસને જિલ્લા કલેકટરે રિવીઝનમાં લઈને આપ્યો મહત્વપૂર્ણ ચૂકાદો

કૌભાંડમાં પણ પેટા કૌભાંડ થયું હતું,  મુંબઈના પ્રોબેટને રાજકોટમાં માન્ય રાખી રાતો રાત રેવન્યુ રેકોર્ડમાં નોંધ પડી’તી

વાવડીની સરકારી જમીન તત્કાલીક પ્રાંત અને મામલતદારે ખાનગી કરી નાખી હોવાના કૌભાંડે ભારે ચકચાર મચાવી હતી.  જેમાં કુલ ૨૭૨૮૦ ચો.વાર જમીન અનઅધિકૃત રીતે આસામીઓને સોંપી દેવામાં આવી હતી. પ્રકરણનાં ચાર કેસ જીલ્લા કલેકટરે રીવીઝનમાં લઇને તેનો મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. જેમાં જિલ્લા કલેકટરે ૨૭૨૮૦ ચો.વાર જમીનને ખાલસા કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે વાવડીની સર્વે નં.૪૯ની જમીન મુળ ગીરસદાર તેજુભા રામસંગે ૧૯૪૮માં કોઠારીયા સ્ટેટના દસ્તાવેજના આધારે વહેચી હતી. જયારે આ જ જમીન પણ ૧૯૪૯ માં સરકારનો હકક હોવાનું રાજય સરકારે ઠેરવ્યું હતું. તત્કાલીન પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની અને તાલુકા મામલતદાર ખાનપરાએ સરકારી જમીનને ખાનગી બનાવી દીધી હતી. અધિકારીઓની મદદથી જમીનના આસામીઓ તેજુભા રામસંગ, નટવર પાનાચંદ ખખ્ખર, મનસુખ પાનાચંદ ખખ્ખર, ગીરાબેન કનૈયાલાલ, પરાગ કનૈયાલાલ, જારસી જવેરચંદ  હીપા, કિર્તી છગન દોશી, સુધા કીર્તિ દોશી, રમેશ વૃજલાલ ભીમાણી, નવીન મગન ભીમાણી, જેન્તી રામજી વાડોલીયા, નીરુભા નાથુભા જાડેજા, નવીન જેઠા મહેતા, સુનીલ ચુની સાંગાણી, દીપ્તી ચુની સાંગાણી, દીનેશ રામજી ધામી, રાજેશ રામજી ધામી, પ્રકાશ બાબુ વોરા, બાબુ શેઠ, રેતુલ ચંદ્રકાન્ત શાહ, નૈમીષ મનુ જોશી, બટુક ભીખા સાવલીયા, સોહિલ રવજીભાઇ, હરજી વડેરીયા, પોપટ ધનજી માલવીયા, સરલા રમણીકભાઇ, નયન પ્રવિણચંદ્ર, જેન્તી જીવરાજ ગજજર, કિશોર જમનાદાસ શેઠ અને રમેશ સુંદરજી વડગામાના  દસ્તાવેજ થવા પામ્યા હતા. કુલ ૨૭૨૮૦ ચો.વારની જમીનમાં ૩ થી ૪ ફેરે દસ્તાવેજ થયા હતા.

અધિકાર ન હોવા છતાં પ્રાંત અધિકારી તેમજ મામલતદારે આ સરકારી જમીન ખાનગી કરી દેવાના પ્રકરણનાં ચાર કેસોને જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ રીવીઝનમાં લીધા હતા. આ કેસમાં જિલ્લા કલેકટરે ચુકાદો આપી દીધો છે જેમાં તેઓએ કરોડોની કિંમતની ૨૭૨૮૦ ચો.વાર જમીન ખાલસા કરવાનો હુકમ કર્યો છે.

વાવડીના જમીન કૌભાંડમાં પેટા કૌભાંડ આચરવામાં આવ્યું  હતું. જેેમાં મુંબઈના પ્રોબેટને રાજકોટમાં અનઅધિકૃત રીતે માન્ય રાખીને રાતોરાત જમીનની નોંધણી કરી નાખવામાં આવી હતી.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ ૧૦ હજાર ચો.મી.ના આસામી ચુનીભાઈ કેશવભાઈ સંઘાણીનું અવસાન થયાના ૪૦ વર્ષથી પણ વધુ સમય બાદ બાબુભાઈ શેઠ નામના વ્યકિતએ પ્રોબેટ રજૂ કર્યું હતુ.

મહત્વની વાત એ છેકે આ પ્રોબેટ મુંબઈ હાઈકોર્ટનું હતુ જોકે ખરેખર મુંબઈનું પ્રોબેટ રાજકોટમાં માન્ય રહેતુ નથી. તેમ છતા અધિકારીએ આ પ્રોબેટને માન્ય રાખ્યું હતુ. આસામીનાં અવસાનનાં ૪૦ વર્ષથી પણ વધુ સમય બાદ વિલના આધારે મુંબઈથી પ્રોબેટ તૈયાર કરાવવાની વાત પણ અનેક શંકાઓ ઉપજાવે છે.

વધુમાં પ્રોબેટ રજૂ થતા વેત રાતોરાત અધિકારીએ રેકર્ડમાં નોંધ પાડી દીધી હતી આ કૌભાંડનું માત્ર એક જ પેટા કૌભાંડ છે તેવું નથી હકિકતમા આ મુખ્ય કૌભાંડની અંદર અનેક પેટા કૌભાંડ સર્જાયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.