Abtak Media Google News

દરેક વિધાનસભાના પ બૂથ પર વીવીપેટ મેળવવાનો સુપ્રીમનો ચૂંટણીપંચને આદેશ

સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને ઈવીએમ અને વીવીપેટને મેળવવાનો વિસ્તાર વધારવાનું કહ્યું છે. કોર્ટ દ્વારા ચૂંટણીપંચને નિર્દેશ અપાયો છે કે, લોકસભા સીટ અંતર્ગત આવનારી તમામ વિધાનસભાના પાંચ બુથ પર ઈવીએમ અને વીવીપેટને મેળવવામાં આવે. આ પહેલા દરેક વિધાનસભાના એક પોલીંગ બુથ પર જ વીવીપેટ સ્લીપને મેળવવામાં આવતા હતા. આ વ્યવસ્થા વિરુધ્ધ ૨૧ વિપક્ષીદળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

વિપક્ષે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ૫૦ ટકા ઈવીએમ અને વીવીપેટ મેળવવાની માંગ કરી હતી. આ મુદ્દે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, વીવીપેટ સ્લીપ ગણવાની હાલની રીત સૌથી ઉપયોગ છે. ત્યારે વીવીપેટને લઈ સુપ્રીમના આદેશથી ૨૦૧૯ લોકસભા ચૂંટણીના પરિણામ મોડી રાત્રે જાહેર થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હાલ વ્યવસ્થા મુજબ વિધાનસભા ચૂંટણીમાં પ્રતિ એક પોલીંગ બુથ પર ઈવીએમ અને વીવીપેટ સ્લીપને મેળવવામાં આવે છે તો સામાન્ય ચૂંટણીમાં લોકસભા ક્ષેત્રે અંતર્ગત આવતી તમામ વિધાનસભા ક્ષેત્રોની પ્રતિ ૧-૧ પોલીંગ બુથ પર વીવીપેટ સ્લીપ મેળવવામાં આવે છે.

ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત શરદ પવાર, શરદ યાદવ, અખીલેશ યાદવ સહિતના અરજદારોએ સુપ્રીમમાં અરજી કરી હતી. ત્યારે વિપક્ષોની અરજીની સામે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિ વિધાનસભા વિસ્તારના બુથોને અનુલક્ષી પાંચ વીવીપેટ મશીન મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે. દેશના વિપક્ષી પક્ષો દ્વારા મત ગણતરીમાં ઈવીએમની પારદર્શકતા માટેની ખાતરી માટે જયારે વીવીપેટની કાપલીઓની ગણતરીની માંગણીની ગુહાર જે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી તેના પગલે કોર્ટ દ્વારા ચૂંટણીપંચને પ્રત્યેક વિધાનસભા મત વિસ્તારમાં ઈવીએમ સાથે વીવીપેટની સંખ્યા પાંચ ગણી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે એક વિધાનસભા મત ક્ષેત્રમાં ઓછામાં ઓછા પાંચ વીવીપેટ મશીન મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશના પગલે એક સંસદીય મત વિસ્તારમાં ઓછામાં ઓછા ૩૫ થી ૪૦ વીવીપેટ મશીનો મોકલવાનું ફરજીયાત બન્યું છે. વીવીપેટની સંખ્યા વધવાથી સામાન્ય ચૂંટણીમાં મતદાન ગણતરીમાં એક રાઉન્ડની ગણતરી માટે પાંચ કલાકનો વધારાનો સમય લાગશે જયારે ૨૩મી મેના દિવસે વિજેતા અને પરાજીત ઉમેદવારોને લગતા પરિણામો મોડી રાત્રે સ્પષ્ટ થશે. ત્યારે વીવીપેટની ગણતરીના કારણે ૨૩મી મેએ બપોરના બદલે મોડી રાત્રે તમામ રાજકીય પક્ષોના પરિણામો સ્પષ્ટ થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

એનડીએના રાજકીય પક્ષોનું ચંદ્રબાબુ નાયડુના અધ્યક્ષતાવાળુ પ્રતિનિધિ મંડળને મત ગણતરીમાં ઓછામાં ઓછા વીવીપેટની ગોઠવણની રજૂઆતમાં સફળતા મળી નથી. સુપ્રીમ કોર્ટમાં આ અંગે થયેલી સુનાવણી દરમિયાન લોકસભાની બેઠકમાં ઓછામાં ઓછા ૫૦ ટકા વીવીપેટની ગોઠવણીથી મત ગણતરીમાં ખૂબ લાંબો સમય જોઈએ તેમ ધારાશાસ્ત્રી એ.એન.સંઘવીએ દલીલ રજૂ કરી હતી.

ચૂંટણીપંચને અહીં પ્રત્યેક વિધાનસભા મત વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ વીવીપેટ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં જાહેર થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઈ, દિપક ગુપ્તા અને સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણી અંગે કોઈ સંદેહ નથી. મતદારોને ઈવીએમની પારદર્શકતા પર પુરેપુરો વિશ્વાસ છે તેમ કોર્ટે સ્પષ્ટ પણે માની રહ્યું છે ત્યારે વ્યવસ્થાના સંતોષ માટે અને સમયસર પરિણામો મળે તે માટે કેટલા પગલા લેવાની આવશ્યકતા રહેતી હોય છે. ઈવીએમ મશીનો સાથે વીવીપેટના જોડાણની સંખ્યા મર્યાદીત ધોરણે વધારવામાં આવે તો પરિણામ સચ્ચોટ જાહેર થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

ન્યાયાધીશોએ પણ જણાવ્યું હતું કે, પારદર્શક ચૂંટણી વ્યવસ્થા અંગે રાજકીય પક્ષોને સંતોષ થાય તે માટે વીવીપેટની સંખ્યા વધારવામાં કોઈ વાંધો નથી. ચૂંટણી ક્ષેત્રે આંતર માળખાકીય વ્યવસ્થા અને કર્મચારીઓની સંખ્યા ધ્યાને લેવી જોઈએ. ચૂંટણીપંચ દ્વારા અનેકવિધ દલીલો કરવામાં આવી હતી જેમાં સાડા તેર લાખ ઈવીએમમાંથી ૪૧૯ વીવીપેટ સ્લીપની ગણતરીની વ્યવસ્થાથી મતદારોમાં સંતોષનું પ્રમાણ ૯૯.૯૯ ટકા રહ્યું હતું.

આજની તારીખે પણ ઈવીએમમાં પડેલા મતો અને વીવીપેટની ગણતરીમાં એક પણ ભુલનો કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ પણ આ અંગે ચિતીત અને ધ્યાન રાખતું હોય છે. ચૂંટણીપંચની દલીલ હતી કે, ૪૧૨૫ ઈવીએમ સાથે વીવીપેટ લગાડવાનું પ્રમાણ જરૂરથી અનેકગણુ વધારે છે. જો ૫૦ ટકા ઈવીએમ પર વીવીપેટ મશીનો લગાડવામાં આવે તો ૬.૯૫ લાખ ઈવીએમની વીવીપેટ સાથેની ગણતરીમાં પરિણામો સવા પાંચ દિવસ મોડા આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.