Abtak Media Google News

સુએઝ વોટરના નિકાલ માટે ઈન્ટરસેપ્ટર લાઈન અને આજી રિવર ફ્રન્ટના આયોજનની સમીક્ષા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આહ્વાન અનુસાર રાજય સરકાર દ્વારા તા.૧ મે એ ગુજરાત સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલ સુજલામ-સુફલામ જળ અભિયાન અનુસંધાને મહાપાલિકા દ્વારા લપરી-રાંદરડા તળાવ ઉંડા ઉતારવા ઉપરાંત રૈયામાં સ્માર્ટ સિટી એરિયામાં સ્થિત રેસકોર્ષ-૨ ખાતે નવા અટલ સરોવરના નિર્માણની સાથોસાથ આજી નદી શુદ્ધિકરણ અને વોંકળા સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવેલી છે. જેમાં આજે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ સંબંધિત અધિકારીઓ અને ક્ધસલ્ટન્ટ એજન્સીના તજજ્ઞોને સાથે રાખી આજી નદીની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલા વિવિધ ડેવલપમેન્ટ વર્કની સમીક્ષા કરી હતી.

આ મુલાકાત અંગે માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, અત્યારે આજી નદીમાં ૩૬ જગ્યાએથી વોકળાનું પાની નદીમાં ઠલવાય છે અને તેના કારણે અહી તહી સુએઝ વોટરને કારણે ગંદકી અને ગાંડી વેલની સમસ્યા ઉદભવતી રહી હતી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ આજી નદીમાં બંને કાંઠા પર આશરે દસ-દસ કિમી (૧૦.૮૫-૧૦.૮૫ કિ.મી)ની ઈન્ટરસેપ્ટર પાઈપલાઈન નાખવાનું નકકી કરેલ છે. આ પાઈપલાઈનનું કાર્ય પૂર્ણ થયેથી શહેરના વોકળાઓનું પાણી આજી નદીમાં ઠલવાતું બંધ થઈ જશે. શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીમાં અમદાવાદ નેશનલ હાઈવેથી શરૂ કરીને માધાપર ચોકડીએથી પસાર થતા ૧૫૦ ફુટ રીંગ રોડ સુધીના એરીયામાં સુએઝ વોટરના કુલ ૩૬ જેટલા આઉટલેટ છે જે ઈન્ટરસેપ્ટર પાઈપલાઈન સાથે જોડાઈ જતા આ પાણી નદીમાં આવતું બંધ થઈ જશે.

Img 20180524 Wa0006મ્યુનિ.કમિશનરે ઉમેર્યું હતું કે, આજી નદી પરના રિવરફ્રન્ટ પ્રોજેકટ આગળ ધપાવવામાં પણ ઈન્ટરસેપ્ટર પાઈપલાઈનનું ખુબ જ મહત્વ રહેલું છે. ગટર અને વોકળાના પાણી ઈન્ટરસેપ્ટર પાઈપલાઈન મારફત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડવામાં આવશે. જયાં શુદ્ધ થનાર પાણી આજી નદીમાં બનનારા ચાર થી પાંચ ચેકડેમમાં ઠાલવવામાં આવશે. આમ આજી નદી બારેય માસ પાણીથી ભરેલી રહે તેવું આયોજન કરાયું છે.

ઈન્ટરસેપ્ટર પાઈપલાઈનમાંથી આવનાર સુએઝ વોટરની ટ્રીટમેન્ટ માટે ત્રણ નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. કમિશનરે આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, એચ.સી.પી.ક્ધસલ્ટન્ટ દ્વારા આજી નદીની હાઈડ્રોલિક ડિઝાઈન બનાવવામાં આવેલ છે અને પૂણે સ્થિત સરકારી એજન્સી સી.ડબલ્યુ.પી.આર.એસ.ના તજજ્ઞો આ ડીઝાઈનના ચેકિંગ માટે કાર્યરત છે.

આ બંને સંસ્થાઓના અધિકારીઓ પણ આજે આજી નદીની મુલાકાત વખતે ત્યાં સ્થળ પર ઉપસ્થિત હતા. સી.ડબલ્યુ.પી.આર.એસ. દ્વારા આગામી ટુંક સમયમાં જ હાઈડ્રોલિક ડિઝાઈન વિશેનો તેનો અહેવાલ સુપરત કરી દેવામાં આવશે. આજી નદીની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લેવામાં આવનાર પગલાઓ વિશે વાત કરતા કમિશનરે કહ્યું હતું કે, આજી નદીમાં કયાંય પણ ખાડાઓમાં પાણી ભરાયેલું ના રહે ત માટે તેને ચેનલાઈઝડ કરી દેવામાં આવી રહ્યું છે. ખાડાઓમાં ભરાયેલ રહેતા પાણીને કારણે જ ગાંડી વેલનો ઉપદ્રવ થાય છે.

વોટર ચેનલનું કાર્ય સંપન્ન થતા જ ગાંડી વેલનો પ્રશ્ર્ન હલ થઈ જશે. આજી નદીમાં કેટલાક લોકો ડેબ્રીસ ઠાલવી નદીમાં ગંદકી અને દબાણ જેવા પ્રશ્ર્નો ખડા કરતા હોય છે. આવી પ્રવૃતિ અટકાવવા આજી નદી સુધી પહોંચતા એપ્રોચ રોડ પર ગર્ડર અને બ્લોકેજીસ મુકવામાં આવશે જેથી ડેબ્રીસ લાવતા વાહનો નદી સુધી પહોંચી જ ના શકે.
દરમ્યાન આજી નદીમાં સ્થિત શ્રી રામનાથ મહાદેવ મંદિરની આસપાસનો વિસ્તાર સંપૂર્ણ સ્વચ્છ રહે તે માટે કાયમી ઉકેલરૂપે કેટલાક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધી આ મંદિરની બાજુમાંથી જ સુએઝ વોટર વહેતું હતું તેનું વહેણ નદીમાં દુર લઈ જવામાં આવી રહ્યું છે અને આ માટે એક ખાસ ચેનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંદિરની આસપાસ હાર્ડ રોક આવેલ હોય બ્લાસ્ટીંગની મદદથી ખોદકામ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ૪ વખત બ્લાસ્ટીંગ કરાયેલ છે અને હજુ બે બ્લાસ્ટ કરવાના બાકી છે અને આ કાર્ય પણ આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જવાથી વોટર ચેનલનું કામ વધુ ઝડપભેર આગળ ધપી શકશે. આ ચેનલનો ૨૭૯ મી.નો એરિયા હાર્ડ રોક ધરાવે છે. જયાં બ્લાસ્ટીંગ કરવામાં આવી રહેલ છે. આ ચેનલ પાંચ મીટર પહોળી અને સરેરાશ ૩.૫ મીટર ઉંડી બનાવવામાં આવી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.