Abtak Media Google News

ધ થિયેટર ઓફ ડાયોનિસસ વિશ્વનું સૌથી જૂનું થિયેટર છે, જે છઠ્ઠી સદીમાં નિર્માણ પામ્યુ હતુ : રંગભૂમિ એ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા વચ્ચેના જોડાણની મહત્વની કડી

ભારત એક સમૃઘ્ધ સંસ્કૃતિ અને વારસાની ભૂમિ છે, જે પેઢી દર પેઢી તેની પરંપરા નિભાવે છે: 1962 થી ઉજવાતા આ દિવસનો હેતુ રંગભૂમિને જીવંત રાખવાનો છે: માણસ તેની સંસાર યાત્રામાં ઘણા પાત્રો ભજવે છે

દેશની વિવિધ કલા, સ્વરૂપો, સંસ્કૃતિ થિયેટરને આગળ વધારવા મહત્વની ભૂમિકા ભજવે છે : આજના ડિજિટલ અને ઓટીટી યુગમાં પણ આપણી આંખોની સામે જીવંત નાટક જોવું એક રોમાંચ છે

આ વર્ષની થીમ ’થિયેટર એન કલ્ચર ઓફ પીસ’ છે, જે આપણા જીવનમાં થિયેટરનું વિશેષ મહત્વ સાથે કલા સ્વરૂપે આપણને નવી દિશા અને અર્થ આપે છે

જીંદગી એક નાટક હે, હમ નાટક મે કામ કરતે હે, પડદા ઉઠતા હી, પરદા ગીરતે હે, હમ સલામ કરતે હે એક ફિલ્મી ગીતના આ શબ્દો જ આજના દિવસ વિશે ઘણું કહી જાય છે. સમગ્ર વિશ્વ એક મંચ અને તમામ પુરૂષો અને સ્ત્રીઓ તેના કલાકાર છે. પૃથ્વી ગ્રહ પર વસતો તમામ માનવી જન્મથી મૃત્યું વચ્ચેની તેની સંસાર યાત્રામાં વિવિધ પાત્રો ભજવે છે. આપણાં દેશની સંસ્કૃતિ અને તેનો વારસો વિશ્વ વિખ્યાત છે ત્યારે આપણે પેઢી દર પેઢી તેના પરંપરા નિભાવીને છીએ. દેશની વિવિધ કલા, સ્વરુપો અને મહાન સંસ્કૃતિ થિયેટર જગતને આગળ વધારવા મહત્વની ભૂમિકા ભજવે છે.

આપણી રંગભૂમિ પ્રાચિન કાળથી ચાલી આવી છે. ત્યારે આજના ડિજિટલ અને ઓટીટી યુગમાં પણ આપણી આંખોની સામે ભજવાતું જીવંત નાટક માણવું એક રોમાંચ છે. સ્ટેજના કલાકારોને ફિલ્મ કલાકારોની જેમ રીટેકની તક મળતી નથી, તેને પ્રેક્ષકો સામે લાઇવ નાટક ભજવવાનું હોય છે. રંગભૂમિને જીવંત રાખવામાં ગુજરાતીઓ સૌથી મોખરે છે. ફિલ્મ કલાકારો કરતાં સ્ટેજના કલાકારોની અભિનય ક્ષમતા વધુ હોય છે. થિયેટર દરેક વ્યકિતના જીવન પર કોઇકને કોઇ રીતે પ્રતિબિંબિત કરે છે. નાટકનું પરફોર્મન્સ વ્યકિતગત હોય કારણ કે જીવંત ભજવાય છે.

આ દિવસની ઉજવણી ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ  દ્વારા ઉજવાય છે. આજે સૌ કોઇ નાટક વિશે શું વિચારે છે, તે તેની વાત કરવા માટે આ દિવસ 1962 થી ઉજવાય છે. વિવિધ કલા પૈકી નાટય કલા પણ એક કલા છે. આજે ગુજરાતી નાટકોની વિશ્વભરમાં બોલબાલા છે અને લોકો મનોરંજન મેળવવા ફિલ્મો કરતા નાટકો વધુ પસંદ કરવા લાગ્યા છે. ત્યારે હજી પણ યુવા વર્ગને નાટકો જોતા કરવાની જરુર છે. કલાકારો એક ચોકકસ સેટીંગ કે સ્ટેજ પર પોતાના વાસ્તવિક અનુભવોને જીવંત કરીને પ્રેક્ષકો સુધી પહોચાડે છે. દર વર્ષે ઉજવણીની થીમમાં આ વર્ષે થિયેટર એન્ડ એ કલ્ચર ઓફ પીસ આપવામાં આવી છે. આ વર્ષની થીમમાં પણ નાટક કલા અને તેની સંસ્કૃતિના માઘ્યમથી શાંતિનો સંદેશ પ્રસરાવવા માંગે છે.

થિયેટર અને શાંતિની સંસ્કૃતિ નો હેતુ વિશ્વની તમામ સંસ્કૃતિને એક કરીને પ્રેક્ષકોને તેના વિશે શિક્ષિત કરીને શાંતિ લાવવામાં થિયેટરની ભૂમિકાને પ્રકાશિત કરે છે. ગ્રીક સંસ્કૃતિથી શરુ થયેલ થિયેટર મનોરંજનના સૌથી લોકપ્રિય સ્વરુપો પૈકી એક છે, તે ઘણી લલીત કલાના સ્વરુપોનું મિશ્રણ છે. રંગભૂમિના મંચ ઉપર કલાકારો પોતાની કલા રજુ કરે છે, ત્યારે તેના હાવભાવ, ગીત-સંગીત, ડાયલોગ કે નૃત્ય જેવી ઘણી વાત પ્રેક્ષકોને સંદેશ આપે છે એ પણ જીવંત, નાટય પરંપરા એક સંસ્કૃતિ છે અને તે વિશ્વભરમાં અસ્તિત્વમાં છે. આજના પરફોમિંગ આર્ટસ અને મીડિયા યુગમાં નાટય જગતને વેગ મળ્યો છે ત્યારે

નવી પેઢીને આ કાર્યમાં સામેલ કરવાથી આપણને સફળતા મળે એમ છે. આજનો અંગ્રેજી માઘ્યમમાં ભણનારો છાત્ર ગુજરાતી નાટકો જોવા આવે તેવું આયોજન થવું જરુરી છે. આજે નાટ્ય નિર્માણ અને તેની મહેનતનું સન્માન કરવાનો દિવસ છે.

પ્રભાવ શાળી વાર્તા, વિચારને પોતાની અભિનય શકિત વડે કોસ્ચ્યુમ ડિઝાઇન વિગેરે સાથે એક નાટય ગૃહમાં નાટક ભજવાય ત્યારે, પ્રેક્ષકોને ઘણી વાતો શીખવા મળી જાય છે. અભિવ્યકિતનું માઘ્યમ એટલે થિયેટર આપણ પ્રાચિન કાળમાં તે સામાજીક સંદેશાઓ જન જન સુધી પહોચાડવામાં મદદ કરતા હતા. નાટક આપણને નવા વિચારોના દ્વાર ખોલે છે. થેય્યામથી ભવાઇ  સુધીની આપણી પ્રાદેશિક લોક કલા છે. તે આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, કેરલ અને કર્ણાટક મા ભજવાતો થેયમ અમૃત સાંસ્કૃતિક વારસાની શ્રેષ્ઠ કૃત્તિ ગણી શકાય છે. મહારાષ્ટ્રની સંસ્કૃતિમાં તમાશા, લોક રંગભૂમિ તરીકે પ્રખ્યાત છે. આપણા ગુજરાતનું લોકપ્રિય નૃત્ય ભવાઇ છે. કેટલાક જુથો આજે પણ તેમાં સક્રિય છે. નાટક, ડ્રામા, નૌટંકી, થિયેટર જેવા વિવિધ નામોથી જાણીતી આ રંગભૂમિ મનોરંજનનું સૌથી જુનું માઘ્યમ છે, સિનેમા હોલ કે ફિલ્મો ન હતી ત્યારે આ નાટકોનું અસ્તિત્વ હતું.

કલા જ લોક મનોરંજન કરતાં હતા. આજે ફિલ્મ જગતના શ્રેષ્ઠ કલાકારો થિયેટરની દુનિયામાંથી આવ્યા છે, કલાકારો બનતા નથી, જન્મે છે. ભગવદ ગૌ મંડળના આધારે 1820 માં ગુજરાતીમાં પ્રથમ નાટક લખાયેલ અને 1851 માં કવિ નર્મદે બુઘ્ધિવર્ધક સંસ્થા શરૂ કરી  એ જ ગાળામાં મુંબઇમાં સેકસ પીયર કલબની સ્થાપના થઇ હતી. જયાં ભાષા જીવે છે, ત્યાં સંસ્કૃતિ પણ જીવે છે. ગુજરાતી રંગ મંચએ ગુજરાતી ભાષા અને સાહિત્ય બચાવવાનો પ્રયાસ છે. આજે મુંબઇના નાટકોની બોલ બાલા  છે પણ પ્રેક્ષકો હોલ સુધી આવતા નથી. આજનો યુવા વર્ગ ઇન્ટરનેટ માઘ્યમથી મોબાઇલમાં નાટકો જોવે છે. આજે મનોરંજન યુગમાં નાટક અને ભવાઇ કલા અંતિમ શ્ર્વાસ લઇ રહી છે ત્યારે દરેક ગુજરાતીએ નાટય જગતને ટેકો આપવો ફરજીયાત છે.

ગુજરાતી નાટય જગતને વિકસાવવામાં મુંબઇના પારસી સમાજનું વિશેષ યોગ દાન છે. 1750 માં મુંબઇમાં મનોરંજન કાર્યક્રમ શરૂ થયા અને 1776 માં અંગ્રેજોએ મુંબઇના ફોર્ટ વિસ્તારમાં પ્રથમ થિયેટર બનાવ્યું હતું. મનુષ્ય જે જીવન જીવે છે તે પણ, એક કલા જ છે, એટલે જ કહેવાય છે જીવન જીવવાની કલાએ શ્રેષ્ઠ કલા છે.  કલાકારને પોતાની અંદર પડેલી વિવિધ કલાને બહાર લાવવાની તક  નાટક પૂરી પાડે છે, તક ઝડપીને બધા સારા કલાકાર બની શકે છે.

1961 માં યુનેસ્કો અને યુનીસેફની વૈશ્ર્વિકસ્તરની મિટીંગમાં 145 દેશોએ ભાગ લીધો  જેમાં ભારત  તરફથી આપણા ગુજરાતના એક માત્ર ગુજરાતી ચં. ચી. મહેતા  હાજર હતા. મીટીંગમાં આ કલાને જીવંત રાખવાના પ્રયાસોની વાતમાં તેમણે કરેલા વૈશ્ર્વિક દિવસ તરીકેની ઉજવણી કરવાના સુચનને દુનિયાનાં તમામ દેશોએ સ્વીકારી 1962 થી આ દિવસ ઉજવવાનું નકકી કર્યુ હતું. જે આપણા ગુજરાતી માટે ગૌરવરૂપ ઘટના ગણી શકાય.

અભિનય એટલે રંગ મંચ ઉપર આપવાની દરરોજ પરીક્ષા

ગની દહીંવાલાની રચના ’ઉભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે’. ની વાત આજના દિવસે અનુરુપ ગણાશે. અભિનય એટલે કલાકારે રંગ મંચ ઉપર આપવાની દરરોજની પરિક્ષા. રંગભૂમિના મુળ વેદ- ઉપનિષદોમાં જોવા મળે છે. આપણે બધા તો રંગમંચની કઠપૂતળીઓ છીએ, આપણી ડોર તો ઇશ્વરના હાથમાં છે. એક સમયે સ્ત્રી પાત્ર પર સુખ, દુખ, પ્રેમ-ક્રોધ, વેર-ઝેર, તારૂ-મારૂ, ગૃહ સંસાર, હાસ્યરસ, સમાજની વાસ્તવિકતા અને માનવીના જીવન સાથે વણાયેલી અનેક બાબતો નાટકો રૂપી ભજવાતી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.