Abtak Media Google News

છેલ્લા 22 વર્ષથી હસમુખભાઈ ડોબરિયા અને તેના પરિવારજનો પક્ષીઓને નિયમીત ભોજન પૂરું પાડે છે

મિત્રતા એટલે શું..?? મિત્રતાને જો ચાર પાંચ લાઈનમાં વર્ણવવા જઈએ તો આ શબ્દને સમજાવવો ખૂબ મુશ્કેલ છે. બે ચાર વાક્યો કે ગઝલ કે શાયરીના આધારે સમજો તો મિત્રતા એ એક ભાવના છે… કરો તો મશ્કરી છે… રમો તો ખેલ છે… લો તો શ્વાસ છે અને રાખો તો વિશ્વાસ છે… અને જો નિભાવો તો જીવન છે. સૌથી છેલ્લી લાઈનમાં આવતો શબ્દ નિભાવો… જો નિભાવો તો મિત્રતા તમારા જીવન જીવવાનો આધાર બની જાય છે. સૌ કોઈને કોઈક બે કોઈક મિત્ર હોય છે પછી એ શેરી મિત્ર હોય, માત્ર નામનો મિત્ર હોય કે પાકામાં પાક્કો/ પાક્કી મિત્ર હોય. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે તો મિત્રતાના સંબંધો હોય જ છે. પણ આજના મિત્રતાના દિવસે અમે તમને મળાવીશું એક એવા સંબંધ, એક એવી મિત્રતા સાથે જે માણસ-માણસ વચ્ચે નહીં પણ માણસ અને પંખી વચ્ચે છે.

Parrots Friendship Day 3

આજે ફ્રેન્ડશિપ ડે છે.  આજના દિવસે વહાલા મિત્રો એક બીજાને શુભેચ્છા આપી રહ્યા છે ત્યારે આજે એક એવા મિત્રની વાત કરવી છે જેની દોસ્તી સૌથી અનોખી છે. જૂનાગઢના કેશોદમાં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એક બીજા વગર ચાલતું જ નથી..!! તો જોઈએ પક્ષીઓ અને હરસુખભાઇની અનોખી દોસ્તીની અનોખી દાસ્તાન..!!

મિત્રતા તો તમે ઘણી જોઈ હશે પરંતુ કેશોદના હરસુખભાઇ ડોબરીયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહિ જોઈ હોય, તમને જાણીને આનંદ થશે કે હરસુખભાઇ ડોબરીયા છેલ્લા 22 વર્ષથી પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇના ઘેર પહોચી જાય છે. હરસુખભાઇ એક ખેડૂત છે અને પોતાના ઘરેજ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે.

Parrots Friendship Day 4

અહી, એક કે બે પક્ષીઓ નહિ પરંતુ ત્રણ હજાર જેટલા પક્ષીઓ આવે છે, પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓનો સમાવેશ છે. કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે. કેશોદના આ હરસુખભાઇ ડોબરીયાનો પરિવાર પણ પક્ષી પ્રેમી  છે, પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષી ચણ માટેની વ્યવસ્થામાં લાગી જાય છે.

હરસુખભાઇ જણાવે છે કે તેઓ પક્ષીઓ માટે પહેલેથીજ બાજરીના ડૂંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે, પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે, 500 રૂપિયાની ચણની ખરીથી શરુ કરેલ આ અભિયાન હેઠળ મોટો ખર્ચ થાય છે. આ વર્ષે એક લાખ રૂપિયાની ચણની ખરીદી કોઈપણ ફંડ ફાળા વગર કરી છે. હરસુખભાઇના પત્ની રમાબેન કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. અને જ્યારથી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યારથી અમારે ખુબજ સારું છે અને ધંધામાં ખુબજ બરકત થઇ રહી છે.

જયારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઇ રહ્યાં છે ત્યારે હરસુખભાઇ પક્ષીઓને જે અનાજના દાણા ખવરાવે છે ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ઘાન્ય નિજ ખરીદી કરે છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ના થાય તેની ખાસ કાળજી રહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.