Abtak Media Google News

31મી ઓક્ટોબર એટલે દેશની લોકશાહી, એકતા અને અખંડિતતાના સર્જક-શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતિ. સરદાર પટેલની શબ્દવંદના કરતા સૌરાષ્ટ્ર- ભાજપ  પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મુગલોના  પહેલા થી માંડીને બ્રિટિશરો સુધીના વિદેશી આક્રમણખોરો- શાસકો-તાનાશાહોના પગ તળે હજારો વર્ષની ગુલામી તેમજ અનેક ક્રૂર યાતનાઓ વેઠનાર ભારતની પ્રજાને અંગ્રેજ સરકાર-દેશી રાજાશાહીથી મુક્ત કરી વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહી તરીકે અખંડ ભારતની ભેટ ધરનાર સરદાર પટેલના દેશની રચનામાં અતુલ્ય યોગદાનની કોંગ્રેસ પાર્ટી અને તેની તમામ સરકારોએ હંમેશા ઉપેક્ષા જ કરી છે.જો જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષે સરદાર સાહેબની ઉપેક્ષા, અવગણના અને અવહેલના ન કરી હોત તો આજે ભારતે યુરોપના દેશોથી પણ ઘણી વધુ પ્રગતિ કરી હોત અને ચીન તિબેટ સહિત  ભારતના પૂર્વ વિસ્તારના મોટા  પ્રદેશ ને પચાવી પડ્યો ના હોત કે  કાશ્મીરના સળગતા પ્રશ્નનું અસ્તિત્વ જ રહ્યું ન હોત.

ભારતને વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહીની ભેટ આપનાર સરદાર પટેલને ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવની શબ્દવંદના

સરદાર પટેલ જવાહરલાલ નહેરુની તેજોદ્વેષ ભરેલી ઈર્ષ્યા અને રાગદ્વેષભરી નીતિઓનો ભોગ બન્યા હતા અને આઝાદી પછી જીવ્યા ત્યાં સુધી તેમને ડગલેને પગલે અપમાન સહન કરવું પડ્યું હતું. સરદાર સાહેબ સાથે તેમના પરિવારજનોને પણ કોંગ્રેસની રાગદ્વેષભરી નીતિઓનો ભોગ બનવુ પડ્યું હતું. સરદાર સાહેબની અંતિમ યાત્રામાં હાજરી આપવાની રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ ને પ.નહેરુએના પાડી દીધી હતી અને પં. નેહરુ ની સૂચનાની ઉપરવટ જઈ સરદાર પટેલના નિકટના સાથીદાર તરીકે અંતિમક્રિયા માં સામેલ થયા હતા. સરદાર સાહેબના પુત્ર ડાહ્યાભાઈ સહિત પરિવારના લોકોની ઈચ્છા હતી કે લોકમાન્ય બાલગંગાધર તિલક ની જેમ તેમના અગ્નિ સંસ્કાર મુંબઈની ચોપાટી પર થાય તે ઈચ્છા પણ પં. જવાહરલાલ નહેરુ ની  કોંગ્રેસે પૂરી થવા દીધી ન હતી.

દેશના ભાગલા પડ્યા ત્યારે સરદાર પટેલે આગવી સૂઝ-બૂઝ અને રાજકીય કૂનેહ વાપરીને 563 રજવાડાંઓનું વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને ભારતને મહાન રાષ્ટ્રનો ઘાટ આપ્યો હતો. જો ગાંધીજીએ પોતાના ભેદભાવભર્યા  હઠાગ્રહ ના બદલે કોંગ્રેસી કમીટીઓ ના બહુમતી મતો ના લોકતાંત્રિક નિર્ણય દ્વારા  ન્યાયોચિત રીતે પં. નહેરુના બદલે સરદાર પટેલને વડાપ્રધાન બનવા દીધા હોત તો આજે દેશનો ઇતિહાસ અને રાષ્ટ્રની સુરત જુદાં જ હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે હવે સરદાર પટેલના અધૂરા કાર્યો સપનાના એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે.

જેમના લોહીના ટીપેટીપામાં રાષ્ટ્રની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સમર્પણ ઘોળાયેલ હતું એવા વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદારને યથોચિત્ત સર્વોત્તમ સન્માન આપવાના સ્તુત્ય નમ્ર પ્રયત્નો કર્યા છે.

દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણીબધી સમસ્યાઓનો ઉકેલ ક્યારનોયે આવી ગયો હોત. આઝાદીના 75  વર્ષ પછી પણ દેશવાસીઓ – લોકો યાદ કરે છે કે ભારત જેવા પરાધીન રાષ્ટ્રની  નવરચના અને બંધારણીય લોકશાહીના નિર્માણમાં સરદાર પટેલનું કેટલું મહાન યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતને સર્વોચ્ચ મહત્વ આપતા સર્વોત્તમ નિર્ણયો રહ્યા હતા.

આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલની કમી કોઈ પૂરી કરી શકે તેમ નથી પણ સરદાર વલ્લભભાઈ પટેલે ચીંધેલ રાષ્ટ્રહિતની સર્વશ્રેષ્ઠ વિચારધારા પર ચાલીને ભાજપ અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય શાસક-નેતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ પ્રયત્નો કરી રહ્યા છે જેના થકી સરદાર વલ્લભભાઈ પટેલને ખરું સન્માન મળે, ન્યાય મળે અને તેમના સપનાઓનું ભારત નિર્માણ થાય. ઈતિહાસમાં ક્યારેય ન હતું એવા અખંડ, અકલ્પનિય અને  એક વિશાળ-મહાકાય ભારતનું તથા ભારતીય લોકતંત્ર-લોકતાંત્રિક વ્યવસ્થાઓ નું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ નિમિત્તે શત શત નમન કરતાં રાજુભાઈ ધ્રુવે રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.