Abtak Media Google News

ભાવનગર જિલ્લાના ઉમરાળા, જેસર, પાલિતાણા અને વલ્લભીપુર જયારે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં હળવા ઝાપટાથી લઈ અડધો ઈંચ વરસાદ

નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા તરફ આગળ વધી રહ્યું છે. રાજયભરમાં હવે શિયાળાના પગરવ થઈ ગયા છે દિવસ પણ વ્હેલો આથમી જાય છે. અપુરતા વરસાદના કારણે રાજયમાં દિવાળી બાદ પાણીની તીવ્ર કટોકટી સર્જાય તેવી દહેશત ઉભી થવા પામી છે ત્યારે ભાદરવા માસમાં મેઘરાજાએ અમુક વિસ્તારોમાં કૃપા વરસાવવાનું શરૂ કરતા લોકોમાં નવી આશા ઉભી થવા પામી છે. ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં અનરાધાર બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. મુરઝાતી મોલાતને પણ નવું જીવનદાન મળ્યું છે.

Advertisement

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૧ જિલ્લાના ૧૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં સૌથી વધુ ૪૬ મીમી અર્થાતે બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈમાં ૨૭ મીમી અને ડાંગ (આહવા)માં ૪ મીમી, તાપી જિલ્લાના ઉદછલમાં ૨૨ મીમી, વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૧૯ મીમી, ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૧૧ મીમી, જેસર, પાલિતાણા અને વલ્લભીપુરમાં બે મીમી, નર્મદા જિલ્લાના ગુરુડેશ્વરમાં ૯ મીમી, રાજકોટ જિલ્લાના વિંછીયામાં ૮ મીમી, સુરત જિલ્લાના પલાસણામાં ૮ મીમી, વડોદરાના સિનોરમાં ૬ મીમી, બોટાદ જિલ્લાના ગઢડામાં ૪ મીમી તથા સુરતના ચોર્યાસીમાં ૩ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હવે સાર્વત્રિક અને ભારે વરસાદ પડે તેવી કોઈ જ શકયતા નથી. લોકલ ફોર્મેશનના કારણે રાજયમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. રાજયમાં ૨૫ ટકાથી વધુ વરસાદની ઘટના કારણે કેટલાક જિલ્લામાં ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતી છે.

પાકને બચાવવા માટે રાજય સરકાર દ્વારા પણ સિંચાઈ માટે જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે. જોકે જળાશયોમાં પણ પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે દિવાળી બાદ રાજયમાં જળકટોકટી સર્જાય તેવી દહેશત છે. જોકે સરદાર સરોવર ડેમમાં રાજયને એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત થઈ જતા સરકારે રાહતનો શ્ર્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.