Abtak Media Google News

અઢી માસમાં આઠ અધિક સેશન્સ જજને સેવામાંથી ફરજીયાત છુટા કરવાના હાઇકોર્ટના નિર્ણયથી જ્યુડીશ્યલીમાં ખળભળાટ: લાંબા સમયની ઇન્કવાયરીના અંતે લેવાયો નિર્ણય

રાજયની જુદી જુદી અદાલતોમાં અધિક સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા છ અધિક સેશન્સ જજને ગત જુલાઇમાં નિવૃતિના સમય પૂર્વે જ ફરજીયાત નિવૃત કરાયા બાદ વધુ બે અધિક સેશન્સ જજ સામેની ઇન્કવાયરીના અંતે સેવામાંથી વહેલા છુટા કરતા હાઇકોર્ટના નિર્ણયથી જયુડીશ્યલીમાં ખળભળાટ મચી ગયો છે.

રાજયની રાધનપુર, મોરબી, ભાવનગર, કચ્છ, આણંદ સહિત આઠ જેટલા અધિક સેશન્સ જજ સામે અલગ અલગ ઇન્કવાયરી ચાલી રહી હતી. સ્ક્રીનીંગ કમિટીના અહેવાલ બાદ હાઇકોર્ટ દ્વારા ગત 8 જુલાઇ અને 4 ઓગસ્ટના રોજ છ અધિક સેશન્સ જજને નિવૃતીના સમય પૂર્વે જ ફરજીયાત નિવૃત કરાયા હતા. અને રાધનપુર અને અમદાવાદના બે અધિક સેશન્સ જ સામેની ઇન્કવાયરી પુરી થતા સ્કીનીંગ કમિટીના નિર્ણય બાદ હાઇકોર્ટ દ્વારા બંનેને નિવૃતિના સમય પૂર્વે જ નિવૃત કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજય ન્યાયિક સેવા નિયમો 2005ના આટિકલ્સ 21 હેઠળ ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રારે જાહેર કરેલી અખબારી યાદીમાં બે અધિક સેશન્સ જજને સમય પૂર્વે સેવા નિવૃત કરાયા છે. જેમાં પાટણ જિલ્લાના રાધનપુરના અધિખ સેશન્સ જજ શૈલેષ પ્રવિણકુમાર ભટ્ટ અને અમદાવાદના ફેમિલી કોર્ટના જજ ખૂમાનસિંહ નટવર મેઘાતનો સમાવેશ થાય છે.

ગુરૂવારે હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રેસ રિલિઝમાં રહેવામાં આવ્યું છે કે, સ્ક્રીનીંગ કમિટીના અભિપ્રાયના આધારે તાકીદની અસરથી બંનેને ન્યાયિક અધિકારીઓને નિવૃત થવા આદેશ આપવામાં આવ્યો છે. આ બને જજને સરકારના નોટિસ પિરિયડ અનુસાર ત્રણ માસનો પગાર અને ભથ્થુ આપવામાં આવશે તેવુ પણ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુરૂવારે જાહેર કરાયેલા નોટિફીકેશન સાથે ચાલુ વર્ષે જુલાઇ માસથી શરૂ કરી હાલ સુધીમાં સમય પૂર્વે નિવૃતીના આદેશ કરાયા હોય તેવા જજનો સંખ્યા આઠ પર પહોચી છે. આ અગાઉ જિલ્લા કક્ષાના છ ન્યાયાધિશોને અકાળે જ નિવૃત થવાના આદેશો આપવ્યા હતા જેમાં ભાવનગરના એડી. ડીસ્ટ્રીક જજ રાજેશકુમાર મોદી, કચ્છ ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ જજ અવિનાશ ગુપ્તા, મોરબીના એડી.ડીસ્ટ્રીક જજ સંગીતાબેન જોષી, તેમજ આણંદના એડી.ડીસ્ટ્રીક જજ અમૃતલાલ ધમાણી સહિતનાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.