Abtak Media Google News

વડાપ્રધાનના જન્મદિને આજે 50,000 લોકોને વેક્સિન આપી સુરક્ષીત કરવાનો કોર્પોરેશનનો લક્ષ્યાંક: બપોર સુધીમાં 17,400 લોકોનું રસીકરણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે આજે રાજ્યભરમાં મહા વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં 10,000થી વધુ બુથ પરથી લોકોને વેક્સિન આપી કોરોના સામે સુરક્ષીત કરવામાં આવી રહ્યાં છે. કોર્પોરેશન દ્વારા ગત મધરાતથી બસ સ્ટેન્ડ, રેસકોર્સ રીંગ રોડ સહિતના સ્થળો પર વેક્સિનેશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. આજે મધરાત સુધી વેક્સિન આપવાની કામગીરી ચાલુ રહેશે. 50,000 લોકોને વેક્સિન આપી સુરક્ષીત કરવાના લક્ષ્યાંક સામે બપોર સુધીમાં 17,400 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિતે કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેમાં મધરાતથી એસ.ટી. બસ પોર્ટ અને રેસકોર્ષ રીંગ રોડ ખાતે મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેક્સિનેશનની કામગીરી આજે મધ્યરાત્રિ સુધી કરવામાં આવશે.

વેકસીન લેવામાં બાકી હોય તે લોકો અચૂક વેક્સિન લઈ લ્યે તેવી અપીલ ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલા આયોજન મુજબ મનપાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, એસ.ટી. બસ સ્ટેન્ડની બાજુમાં, ઢેબરભાઈ રોડ ખાતે તેમજ શહેરના 21 આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે  ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ મોબાઈલ વાહન દ્વારા વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ મહાઅભિયાનમાં બાંધકામ સાઈટ્સ, હોકર્સ ઝોન વગેરે સ્થળોને પણ આવરી લેવામાં આવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.