Abtak Media Google News

આરોગ્ય સચિવ જયંતિ રવિની સ્પષ્ટતા: રસીકરણ પધ્ધતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18-44 વયગ્રુપના લોકોને વેક્સિન માટે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે, પરંતુ ગુજરાતમાં વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરાવવું પડશે. રાજ્ય સરકાર તરફથી હજુ કોઈપણ ફેરફાર કરવામાં આવ્યા નથી. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે ફક્ત એવા સેન્ટરો માટે છે જ્યાં રસીના જથ્થાની સામે રસી લેનાર લોકોની નોંધણી ઓછી થતી હોય ત્યારે રસીનો બગાડ ન થાય તેને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય સોમવારે કર્યો હતો.

આ વિશે આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજિસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત્ છે. સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એ યથાવત રાખેલી છે.

રાજ્યમાં હાલ શહેરમાં 18 થી 44 વયજૂથના લોકોનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ કોરોના વોરિયર્સ અને 45 થી વધુ વયના લોકોનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. હવે 18 થી 44 વયજૂથના લોકોને રસીના ડોઝ દરરોજ 30 હજાર આપવામાં આવતા હતા. આ વયજૂથમાં યુવાનોની સંખ્યા હોવાથી રાજ્ય સરકારે 18 થી 44 વયજૂથના લોકોના રસીકરણને વ્યાપક બનાવવા એક સપ્તાહ સુધી દરરોજ એક લાખ લોકોનું રસીકરણ કરવાનું નક્કી કર્યુ છે. આ માટેનું સુચારું આયોજન થઇ ગયું હોવાનું આરોગ્ય અગ્રસચિવ ર્ડા. જયંતી રવિએ જણાવ્યું હતું. આરોગ્ય અગ્ર સચિવે કહ્યું હતું કે ગુજરાત દેશભરમાં પર મિલિયન વેક્સિનેશનમાં અગ્રેસર રહ્યું છે. હવે 18 થી 44 વયજૂથમાં પણ દેશમાં અગ્રેસર રહેવા માટેની પ્રતિબદ્ધતા જયંતી રવિએ વ્યકત કરી હતી.

રાજ્ય સરકાર પાસે આશરે 10 લાખ ડોઝનો સ્ટોક છે. સિનિયર સિટિઝન કે 45 અને એનાથી વધુ વય ધરાવતા મોટા ભાગના નાગરિકોના પ્રથમ ડોઝનું રસીકરણ પૂરું થઇ ગયું છે તેવા નાગરિકોને બીજો ડોઝ આપવાની કામગીરી યથાવત રહેશે તેમ સૂત્રોનું કહેવું છે.

મુખ્યમંત્રી રૂપાણીના યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી અગાઉ 30 હજાર યુવાના રોજ થતા રસીકરણમાં હવે રોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે. આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાને કોરોના રસીકરણનો લાભ મળતાં કોરોના સામે વધુ ને વધુ યુવાઓને રક્ષણ મળશે.

આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારુ અને સુઆયોજિત રીતે પાર પડે એ માટેનું આયોજન કર્યું છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાત દેશભરમાં પર મિલિયન વેક્સિનેશનમાં અગ્રેસર રહ્યું છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાતે આ અગ્રેસરતા મેળવ્યા બાદ હવે 18 થી 44 વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓની આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

રસીના ડોઝની સામે લેનારોની નોંધણી ઓછી થઇ હોય તો રજીસ્ટ્રેશન વિના રસી આપવા સૂચન!!

કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, 18 થી 44 વર્ષના લોકોને રજીસ્ટ્રેશન વિના જ વેક્સિન આપવામાં આવશે. જો કે આ બાબતમાં રાજ્યના આરોગ્ય સચિવ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ગુજરાત રાજ્યમાં રસીકરણ પદ્ધતિમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉની જેમ જ 18 થી 44 વર્ષના લોકોને કોવિન પોર્ટલ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ રસી આપવામાં આવશે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો તેનું અર્થઘટન કરવામાં આવે તો જે સેન્ટરો પર રસીના ડોઝની સામે લેનાર લોકોની નોંધણી ઓછી થઇ હોય તેવા સેન્ટરોને રજિસ્ટ્રેશન વિના પણ વેકસીન આપવા સૂચન કરવામાં આવ્યું છે. રસીના જથ્થાનો  બગાડ ન થાય તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.