Abtak Media Google News

આપણે બધાએ સમજી વિચારીને જીવતાં રહેવાનું છે અને બીજા અનેક જીવતા રહીને હસતાં-હસાવતાં જીવતાં રહે એમ આપણે જીવવાનું છે: આપણે ત્રણ દિવસ ભગવાને આજ્ઞા આપી હોય તેમ જીવી બતાવ્યા, હજુ ૨૧ દિવસ એજ રીતે જીવી બતાવવાના છે અને એ વાતની પ્રતીતિ કરાવવાની છે કે, આપણે બધા એક જ સર્જન હારનાં છે સર્જન છીએ અને એમની આજ્ઞા પાળવી એ આપણો ધર્મ છે

આપણા એક ગૂજરાતી કવિ એ લખ્યુ છે: ગુજારે જે શિરે તારે, જૂગતનો નાથ તે રહેજે, ગણ્યું જે પ્યારૂ પ્યારાએ, અતિ પ્યારૂં ‘ગણી’ લેજે ! કોરોના વાયરસે સર્જેલા હાહાકારને વખતે આપણા બધા માટે આ બોધ છે!… એક ધકકા ઓર દો… ઓર દો

જાણીતા અંગ્રેજી લેખક એમર્સને લખ્યુ છે કે, વર્ષો એવું ઘણું ઘણું શીખવી જાય છે કે જેની દિવસને તો જાણ પણ નથી હોતી !’

આ વાત ઘણું ઘણું કહી જાય છે. મનુષ્યની જીવનયાત્રામાં સતત કાંઈકને કાંઈક શીખવાનું છે, ને આપણે શીખી લેતા હોઈએ છીએ જેની આપણને જાણ પણ હોતી નથી !

સતત શીખ્યા કરવું અને તે શિક્ષણ વહેચ્યા કરવું એ માનવ માત્રનો ધર્મ છે. સહુ કોઈ જાણે છેકે, આપણે બધા એક જ ઈશ્ર્વરના, એક જ સર્જનહારના સર્જન છીએ. આપણે બધાએ અતીરીતે સમજીવિચારીને જીવતાં રહેવાનું છે કે, આપણે પણ જીવતાં રહીએ અને આપણી જેમ બીજા અનેક પણ જીવતાં રહે અને ઈશ્ર્વરને ગમે એમ હસતા હસાવતા રહે !

કોરોના રાક્ષસ આપણને હસતાં રમતા અને ભગવાનને ગમતા જોઈ ન શકયો એ આપણા બધાની જેમ એક જ ઈશ્ર્વરને એક જ સર્જનહારનું સર્જન નહી હોવાની ગંધ-દુર્ગંધ આપણે એનામાં પારખી આપણે જે ને દાનવ તરીકે ઓળખીએ છીએ એવો એ દાનવ નીકળ્યો.

જેમ સજજનની સાથે દૂર્જન ન રહી શકે, માનવની સાથે દાનવ ન રહી, સૂરની સાથે અસૂર ન રહી શકે નો સુપાત્રની સાથે કુપાત્ર ન રહી શકે એમ એ ન રહી શકયો અને ભૂરાયો થયો. એનાં અપલખણ એણે ઝરકાવ્યા.

આપણા વડાપ્રધાન, આપણો આખો દેશ, આપણી આખી દુનિવા એની સામે થયા અને એને સમૂળગો દેશવટો આપવાનો વ્યૂહ ગોઠવી કાઢ્યો. એ વ્યૂહ મુજબ આપણે પૂરા ત્રણ ભગવાને આજ્ઞા કરી હોય એમ જીવી બતાવ્યા અને હજુ બીજા ૨૧ દિવસ એજ રીતે જીવી બતાવવાના છે, અને એ વાતની પ્રતીતિ કરાવવાની છે. કે આપણે બધા એક જ સર્જનહારનાં સર્જન છીએ અને એમની આજ્ઞા પાળવી એ આપણો ધર્મ છે.

આપણા એક ગુજરાતી કવિએ જાણે આપણા માટે જ લખ્યું છે.

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે

ગણ્યું જે પ્યારૂ પ્યારાએ, અતિ પ્યારૂં ગણી લેજે

કોરોના વાયરસ સર્જેલા હાહાકારને વખતે આપણા બધા માટે આ સુયોગ્ય બોધ છે !

‘એક ધકકા ઓર દો, ઓર દો ’

આ સૂત્ર અપનાવીને અને પૂરેપૂરી હિંમતપૂર્વક એને વળગી રહીને આપણે ગમે તેવા શત્રુનેહંફાવી દઈ શકીએ અને પરાજિત કરી દઈ શકીએ.

આપણી આ લડાઈને વખતે જ આપણા દેશની સામે આર્થિક-નાણાંકીય દબાણના પડકારો ઉભા થયા છે. આપણે વિશ્ર્વની પાંચમી આર્થિક મહાસત્તા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. એવા સમયે જ આપણા વિત્ત મંત્રીએ કોરોનાને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીનો સામનો કરવા જંગી ખર્ચ ધરાવતી આર્થિક ગોઠવણો કરવી પડી છે, જે આપણા દેશનું અર્થતંત્ર કેટલે અંશે ખમી શકે તેમ છે. એ જોવાનું રહેશે.

એવી ટકોર થઈ રહી છે કે આપણે ટ્રમ્પ માટે ખર્ચેલા કરોડો ડોલર હાલને તબકકે રાજદ્વારી કૂનેહમાં ઠોઠ નિયાળીયાની જ ગરજ સારે છે. કારણ કે ખૂદ ટ્રમ્પની સ્થિતિ કોઈ બહુ મોટા ‘શેઠીઆ’ જેવી રહી નથી.

આપણા દેશની હાલત તો મહાભારતના યુધ્ધમાં સાત કોઠાના યુધ્ધ વખતની રણનીતિ જેવી બની છે. ‘રણશૂરાઓ જાગજો’ના રણશીંગા ફૂંકવા પડે એવી ઘડી આવી છે. આર્થિક, રાજદ્વારી તેમજ સામાજીક મોરચે કશું જ બહુ આશાસ્પદ અથવા પૂરેપૂરૂ આશાસ્પદ નથી !

કોરોના સામે હજુ ૨૧ દિવસ સુધી ઝઝુમવાનું છે અને આપણો રાષ્ટ્ર ધર્મ બજાવવાનો છે સંભવ છે કે વડાપ્રધાન શ્રી મોદીએ એક વધુ રાષ્ટ્રને સંબોધન કરવું પડે !

આની સાથે સાથે જ આપણા દેશે કોરોનાની સમસ્યા ઉકેલાયા પછી પણ અમુક ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો રહેશે એ ભૂલવા જેવું નથી.

આગામી મહિનાઓમાં આપણા દેશનું દેણુ સારી પેઠે વધી જશે, મોંઘવારીનો રાક્ષસ પણ ડહોળા કાઢીને દમાચાકડી મચાવશે બેરોજગારીની માત્રા વધ્યા વિના નહિ રહે અને તે બધામાં વધુ વરવું સ્વરૂપ તો શાસક અને વિપક્ષો વચ્ચે સંઘર્ષનાં રાજકારણનું હશે રાજકારણનાં અપરાધીકરણની પરકાષ્ટા કદાચ આપણો દેશ નિહાળશે. પક્ષ પલ્ટાઓમાં કરોડો રૂપિયાનાં આદાનપ્રદાન થશે પ્રધાનપદની બેફામ સોદાબાજી થશે. સોશ્યલ મિડિયા કસોટીમાં મૂકાશે અને લોકશાહી મૂલ્યોનું બેરહમ અવમૂલ્યન થશે.

રાષ્ટ્રની એકતામાં જબરાં ગાબડા પડયા વિના નહિ રહે અને સંસ્કૃતિ સંસ્કાર, સભ્યતા હીન સ્તરે જવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળશે જ. ભ્રષ્ટાચાર અને મતિભ્રષ્ટતા એટલી હદે પહોચશે કે, અમલદારશાહી માથઉ ઉંચકો અને કદાચ સરકારી અમલદારો ઓફીસરો એમના ઉપરીઓનાં કહ્યામાં નહિ રહે !…

આ બધું જોતા આપણા દેશ માટે કોરોનાની સમસ્યા ઉકેલાઈ જાય તે પછી કસોટી અગ્નિ પરીક્ષશઓની ઘડીઓ આવશે જ, અને તે અમંગળ એધાણની ગજર સારશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.