Abtak Media Google News

ઘણી બાબતો જીવનમાં એવી હોય છે કે, જેમાં વ્યકિતને કરવું હોય છે કંઈક અલગ અને સમય, સંજોગ, પરિસ્થિતિને કારણે અલગ કરવું પડે છે

ઇમોશનલ લેબર એટલે કે “મારે શું કરવું છે અને શું કરવું પડશે” વચ્ચે ખોવાતું વ્યક્તિનું અસલ વ્યક્તિત્વ.ઇમોશનલ લેબર વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને  ડો.ધારા આર.દોશી જણાવેછે કે પોતાના અસલ આવેગોને છુપાડી ખોટા ભાવ વ્યક્ત કરવા એટલે ઈમોશનલ લેબર. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની લાગણીઓને સાચા અર્થ માં વ્યક્ત ના કરતા અન્યોની ઈચ્છા મુજબ ભાવ વ્યક્ત કરવા પડે ત્યારે તેને ઈમોશનલ લેબર કહેવામાં આવે છે.

હાલના સમયે ઈમોશનલ લેબર નું પ્રમાણ વધ્યું છે તેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જેમકે સતત ઘરમાં રહેવાનું હોવાથી, બેરોજગારીનું વધતું પ્રમાણ, વધતું સામાજિક અંતર, વધતી જતી અપેક્ષાઓ વગેરે…

ઘરમાં ઇમોશનલ લેબર

 બાળકોને આજે જ્યારે સતત ઘરમાં રહેવાનું થયું છે. ઘરે રહીને જ ઓનલાઇન અભ્યાસ કરવાનો હોય છે. ત્યારે બાળકો જે સમય પોતાના સમવયસ્કો સાથે પસાર કરતા હતા અને પોતાના બાળપણને જીવતા હતા તેની બદલે સતત ઘરમાં રહેવાનું થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક બાળકો પણ ઈમોશનલ લેબર નો ભોગ બન્યા છે. ઘરમાં તેઓને સતત પોતાના વડીલો ના મત મુજબ વર્તન અને પ્રતિક્રિયાઓ કરવી પડતી હોય છે. જેને કારણે તેઓ પોતાના આવેગો કે લાગણીઓ ને વ્યક્ત કરી નથી શકતા અને અન્યોની ઈચ્છા મુજબ વર્તન કરવું પડતું હોય છે.

કિસ્સો

એક 22 વર્ષના યુવાનની સગાઈ થઈ પરંતુ થનાર પત્ની તરફ કોઈ ઝુકાવ કે આકર્ષણનો તદ્દન અભાવ. બન્ને સાથે વાત કરતા જણાયું કે એ બન્ને ને એકબીજા સાથે સગાઈ કરવી જ નહોતી પરંતુ ઘરના લોકોના દબાણથી અને લાગણી માં આવી આ સગાઈ કરી રહ્યા હતા.

કાર્યના સ્થળે ઇમોશનલ લેબર

હાલના સમયે જ્યારે ઘણી જગ્યાએ બેરોજગારી ના પ્રશ્નો જોવા મળે છે અથવા અડધા પગારમાં કાર્ય કરવાની ફરજ ક્યારેક પડતી હોય તેવું જોવા મળે છે. આવા સમયે ઈમોશનલ લેબર ની સમસ્યા પણ વધી છે. દરેક ને પોતાની નોકરી બચાવવા માટે પોતાના ઉપરી કે સિનિયર ની હા માં હા મેળવવી પડે છે. પોતાની નોકરી બચાવવા માટે પોતાના આવેગોને છુપાવી રાખવાની ફરજ પડે છે ઉપરાંત ઘણી વખત ઉપરીને ખુશ રાખવા માટે પરાણે અને ખોટા આવેગો વ્યક્ત કરવા પડે છે. આ સમયે નોકરી ટકાવી રાખવી સહુથી અઘરી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ ક્યાંક ઇમોશનલ લેબરનો ભોગ બને છે.

કિસ્સો

એક બહેન જે એક ફાર્મા કંપની માં નોકરી કરતા જ્યાં સતત તેમના સિનિયરો દ્વારા કામનું દબાણ અને ટાર્ગેટ પૂર્ણ કરવાનું દબાણ રહેતું. જેથી તે સતત તણાવ માં રહેતા. નોકરી કરવી મજબૂરી હતી કારણકે પતિની આવકથી ઘર વ્યવસ્થિત નહોતું ચાલતું આમ જરૂરિયાત હોવાથી તેઓ ઇમોશનલ લેબરનો ભોગ બન્યા.

પરિણામો

 ઈમોશનલ લેબર ના પરિણામે વ્યક્તિ પોતાના આવેગો કે વિચારોને બહાર કાઢી શકતા નથી જેથી તેઓ સતત તણાવ નો અનુભવ કરે છે જેની નિષેધક અસર તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડી શકે છે. આ સિવાય તેના વર્તણૂક માં પણ પરિવર્તન જોવા મળે છે. સ્વભાવ ચીડિયો બને છે અને નાની નાની વાતમાં ગુસ્સે થવાની ટેવ પડે છે.

દરેક વખતે અન્યો શું વિચારશે કે અન્યોને શું લાગશે તેવું વિચારી પોતાના આવેગો અને વિચારો ને દમિત કરી દેવાથી સામેની વ્યક્તિને પણ એ વાત ની આદત પડી જશે કે તમે હંમેશા સમજી જશો કે સંભાળી લેશો. પરંતુ ક્યારેક એવું ન બનતા સબંધોમાં સંઘર્ષ ઊભો થાય છે. આથી ક્યારેક પોતાનો મત કે પક્ષ અન્ય સમક્ષ રાખવો એ જરૂરી છે. ક્યારેક શું અનુભવ થાય છે એ વ્યક્ત કરવો આવશ્યક બને છે. જેથી કોઈ સમસ્યા ન થાય.

કઈ રીતે ઓછું કરી શકીએ

પોતાની વાતને કે લાગણીઓને અન્ય સમક્ષ એ રીતે વ્યક્ત કરવા જોઈએ જેથી સબંધો પણ સચવાય અને સાથે સાથે ઈમોશનલ લેબર જેવી પરિસ્થિતિ પણ ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.