Abtak Media Google News

ખતરનાક સાબિત થયેલી કોરોના વાયરસની બીજી લહેરમાંથી ગુજરાત બહાર નીકળવા તરફ છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. તો સામે રિકવરી રેટ પણ નોંધનીય દરે વધી રહ્યો છે. પરંતુ આ વચ્ચે હજુ કોરોનાની આવનારી ત્રીજી લહેરનું જોખમ વધ્યું છે. જેના પગલે હજુ સાવચેતી રાખવાની ખુબ જરૂર છે. ગુજરાતને આવનારી આ ત્રીજી લહેરથી બચાવવા રાજ્યમાં હાલ વધુ એક અઠવાડિયા માટે મીની લોકડાઉન લંબાવાય તેવી શકયતા છે. જો કે, રાત્રી કર્ફ્યુ યથાવત્ રાખી દિવસ દરમ્યાનના જે કડક નિયમો લાગુ કરાયા છે તેને હળવા કરવામાં આવે તેવી શક્યતા છે. 4 મેના રોજ રાજ્યના 29 ઉપરાંત સાત અન્ય શહેરો એમ કુલ 36 શહેરોમાં જે રાત્રી કર્ફ્યૂ ઉપરાત દિવસ દરમિયાનના પ્રતિબંધો લાગુ કરાયા હતા તેની અવધિ આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. જે મુદ્દે નિર્ણય લેવા આજરોજ સાંજે  મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.

રાજકોટ સહિત 36 શહેરોમાં રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ છે તો દિવસ દરમિયાન પણ જરૂરી વસ્તુઓની સેવાઓ ચાલુ છે. બિનજરૂરી સામાનોની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. તો હવે આ કર્ફ્યૂની મુદ્ત 12 મેએ પૂર્ણ થઈ રહી છે. તેવામાં રાજ્ય સરકાર આજે કોઈ નિર્ણય લઈ શકે છે. રાજ્યમાં કર્ફ્યૂ યથાવત રહી શકે છે જ્યારે દિવસ દરમિયાન જે મીની લોકડાઉન લદાયું છે તે દૂર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં કોરોનાથી થોડી રાહત મળી છે. પરંતુ રાજ્ય સરકાર કર્ફ્યૂમાં ઢીલ આપશે તેમ લાગી રહ્યું નથી. કોરોના સંક્રમણ સંપૂર્ણપણે કાબુમાં કરવા અને ત્રીજી લહેર સામે અડીખમ ઉભું રહેવા માટે કડક નિયમોની જરૂર છે. તેવામાં 12 મેએ પૂર્ણ થઈ રહેલા કર્ફ્યૂ પહેલા સરકાર આજે બેઠક યોજી મહત્વપૂર્ણ નિર્ણય લેનાર છે.

ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી,  વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. જે અંગે આજે નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.