Abtak Media Google News

મહામારીના કપરાકાળ દરમિયાન પણ ભારતમાં ધનકુબેરોની સંખ્યા વર્ષ 2021માં 11 ટકા વધીને 13,637 થઇ છે.

આવી વ્યક્તિઓની સંપત્તિમાં જંગી વધારો એ શેરબજારમાં તેજી અને ડિજિટલ ક્રાંતિને આભારી છે. જેમની સંપત્તિ 3 કરોડ ડોલર (લગભગ રૂ. 226 કરોડ) કે તેથી વધારે હોય તેમને અલ્ટ્રા હાઇ-નેટવર્થ ઇન્ડિવિઝયૂઅલ કહેવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2021માં વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંખ્યાના મામલે ભારત ત્રીજા ક્રમે છે.

અમેરિકા દુનિયામાં સૌથી વધુ 748 અબજોપતિઓ ધરાવતો દેશ છે, ત્યારબાદ 554 અબજપતિઓ સાથે ચીન બીજા ક્રમે અને 145 અબજપતિઓ સાથે ભારત ત્રીજા ક્રમે છે. ધી વેલ્થ રિપોર્ટ 2022 – શિર્ષક ધરાવતા અહેવાલમાં વૈશ્વિક સ્તરે અલ્ટ્રા હાઈ-નેટવર્થ ઇન્ડિવિઝયુઅલની સંખ્યા વર્ષ 2021માં 9.3 ટકા વધીને 6,10,569 થઈ ગઈ છે, જે વર્ષ 2020માં 5,58,828થી હતી. ભારતમાં 3 કરોડ ડોલર કે તેનાથી વધારે સંપત્તિ ધરાવતા એચએનઆઇની વર્ષ 2021માં 11 ટકા વધીને 13,637 છે જે એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ છે.

વર્ષ 2020માં ભારતમાં આ સંખ્યા 12,287 હતી. ભારતમાં શહેર પ્રમાણે વાત કરીયે તો આવા વ્યક્તિઓની સંખ્યા સૌથી વધુ બેંગ્લોરમાં 17.1 ટકા વધીને 352 થઇ છે. તો દિલ્હીમાં 12.4 ટકા વધીને 210 અને મુંબઇમાં 9 ટકા વધીને 1,596 થઇ છે. વર્ષ 2026 સુધીમાં ભારતમાં અલ્ટ્રા હાઇ-નેટવર્થ ઇન્ડિવિઝયુઅલની સંખ્યા 39 ટકા વધીને 19,006 થવાનો અંદાજ મૂક્યો છે, જેની સંખ્યા વર્ષ 2016માં માત્ર 7,401 હતી. નિષ્ણાંતોનું કહેવુ છે, ભારતમાં અલ્ટ્રા હાઇ-નેટવર્થ ઇન્ડિવિઝયુઅલની સંખ્યામાં વધારો એ ઈક્વિટી બજારો અને ડિજિટલ ક્રાંતિને આભારી છે. ભારતમાં લગભગ 69 ટકા સુપર અમીર વ્યક્તિઓને વર્ષ 2022માં તેમની સંપત્તિમાં 10 ટકાથી વધારે વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.