Abtak Media Google News

વિવિધ ઉપાશ્રય-ધર્મ સ્થાનકોમાં રવિવારે પૂ.સંત-સતિજીઓના શ્રીમુખેથી તીર્થંકર પરમાત્માના ઉપકાર ભાવોનું સ્મરણ

જૈન દર્શનમાં જે જે તીથઁકરો થાય છે તે નવું તીર્થ ઊભું નથી કરતાં પણ માત્ર તીર્થનો પુનરુધ્ધાર કરે છે.પ્રભુ મહાવીર સ્વામી પણ અનંતા તીથઁકરોની પરંપરાને અનુસર્યા. અત્યારે વિશ્વમાં મહાવીરના નામે અનેક લોકો પંથ,વાડા અને પોતાનો અલગ ચોકો જમાવવાનો પ્રયત્ન કરે છે તે દરેક માટે આ વાત ખૂબ જ મનનીય છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જે ઉપદેશ આ ચોવીસીના પ્રથમ તીથઁકર આદીનાથ ઋષભદેવ ભગવાને આપેલો તે જ ઉપદેશ ચોવીસમાં તીથઁકર પ્રભુ મહાવીર સ્વામી આપે છે એટલું જ નહીં પરંતુ આવતી ચોવીસીના દરેક તીથઁકર પરમાત્મા પણ આ જ  ઉપદેશ આપશે એટલે જ જિનવાણીને ત્રિકાલાબાધિત કહેવાય છે.આ અહિંસામય ધર્મ જ ધ્રુવ અને શાશ્વત છે.અનંત ઉપકારી ચરમ અને પરમ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ 30 માં વર્ષે દીક્ષા અંગીકાર કરી.સાડા બાર વર્ષ અને એક પખવાડીયુ પ્રભુ મૌન રહી આર્ય તેમજ અનાર્ય ક્ષેત્રોમાં  વિચરણ કરી અજબ – ગજબની સાધના – આરાધના કરી.

કડાઝૂડ અને કઠોર સાધનાની ફલશ્રુતિ રૂપે શ્યામક ગાથાપતિની સુથાર શાળામાં ઋજુવાલિકા નદીના ઉત્તર તટ પર ગોદુ આસને વૈશાખ સુદ દશમના પ્રભુને  કેવળજ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારે ધર્મ દેશના અર્થાત્ ઉપદેશ આપવાનું ચાલુ કર્યું પરંતુ પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ કારણકે માત્ર દેવોની જ ઉપસ્થિતિ હતી.અવ્રતી હોવાને કારણે કોઇ જીવાત્માએ વ્રત – પચ્ચખાણ અંગીકાર કર્યા નહીં,જેને અભાવિત પરિષદ કહેવાય છે.આ ઘટના જૈન દર્શનમાં આશ્ચર્યકારક ઘટના એટલે કે શાસ્ત્રની પરીભાષામાં અચ્છેરા તરીકે નોંધાણું.બીજે દિવસે વૈશાખ સુદ અગીયારસના પાવન દિવસે પ્રભુએ દેશના – સદ્દબોધ આપ્યો. પાવાપુરીના પુનિત પ્રાંગણે પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ ઈન્દ્રભુતિ આદિ અગિયાર બ્રાહ્મણો પોતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષિત થયા.અનેક આત્માઓએ બાર વ્રત અંગીકાર કર્યા. આ જ દિવસે તારક તીથઁકર પ્રભુએ તીર્થની સ્થાપના કરી એટલે કે સાધુ,સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા.

પ્રભુના શાસનમાં 14000 શ્રમણો,36000 શ્રમણીઓ,159000 શ્રાવકો તથા 318000 શ્રાવિકાઓ હતી.પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના શ્રી આચારાંગ સૂત્રમાં ખૂબ સુંદર વાત કરી કે જગતના દરેક જીવો સાથે પોતાના આત્મા સમાન વ્યવહાર રાખવો,જેવી રીતે અનંતા તીથઁકર ભગવંતો રાખતા હતા.ગૌતમ ગણધર હોય કે ગોશાલક,ચંદન બાળા હોય કે પછી ચંડ કૌશીક સપે હોય.

પ્રભુએ ફરમાવ્યુ કે…અર્થાત્ પ્રત્યેક જીવને સુખ પ્રિય છે. દરેક જીવોને જીવન પ્રિય છે,મરવુ કોઈને ગમતું નથી.ગણધર ભગવંતોએ પ્રભુની આગમરૂપી અમૃતવાણીની ગૂંથણી કરી આગમ – શાસ્ત્રો રૂપે આપણા સુધી પહોંચાડી અનંત ઉપકાર કર્યો. વૈદિક પરંપરામાં જે સ્થાન વેદોનું છે,પારસી ધર્મમાં જે સ્થાન અવેસ્તાનું છે,ઈસાઈ ધર્મમાં જે સ્થાન બાઈબલનું છે,ઈસ્લામ ધર્મમાં જે સ્થાન કુરાનનું છે,તેવી રીતે જૈન ધર્મમાં આગમ – શાસ્ત્રોનું અનેરુ સ્થાન છે.

આગમ એ અરિહંત તીથઁકર પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે.એટલે જ કહેવાય છે આગમ એટલે જ અરિહંત. પ્રભુની અનંતી કૃપાથી જ વર્તમાનમાં આપણી પાસે આગમ અને અણગાર,સંતો અને શાસ્ત્રો રૂપી મહામૂલી મોંઘેરી મૂડી છે.  વૈશાખ સુદ અગિયારસના જિન શાસનનો 2579 મો સ્થાપના દિવસ છે તથા ઉપકારી 11 ગણધર ભગવંતોનો દિક્ષા દિવસ પણ છે.

સંકલન : મનોજ ડેલીવાળા
મો.98241 14439

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.