Abtak Media Google News

ડુંગળીના ભાવ તળીયે જતા રાજય સરકાર દ્વારા   પ્રતિ કિલો બે રૂપીયાની સહાય અપાય હતી

સૌરાષ્ટ્રમાં ડુંગળી પકવતા  31674 ખેડુતોને ડુંગળી વેચાણ સહાય પેટે   રાજય સરકાર દ્વારા   69 કરોડ રૂપીયાની ચૂકવણી કરવામાં આવી છે. તમામ ખેડુતોના બેંક ખાતામાં  સહાયની  રકમ જમા કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ  માર્કેટીંગ યાર્ડમાંં ખેડૂત દ્વારા વેચાણ થતી ડુંગળી માટે પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે. જે અંતર્ગત ડુંગળી વેચનારા 31,674 ખેડૂતોને અંદાજે રૂ. 69.27 કરોડની માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે તેમ કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ખેડૂત દીઠ મહત્તમ 25 હજાર કિલો ડુંગળીના વેચાણ સુધી મહત્તમ રૂ.50 હજારની આર્થિક સહાય મળવાપાત્ર છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.100 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરેરાશ કરતાં વધુ વાવેતરના પરિણાણે ડુંગળીનું ઉત્પાદન વધતાં સૌરાષ્ટ્ર વિસ્તારની વિવિધ યાર્ડમાં ઓમાં ડુંગળીની ભારે માત્રામાં આવક થઇ હતી. જેને કારણે માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના વેચાણ ભાવ ઘટ્યા હતા.

કૃષિ મંત્રી એ કહ્યું હતું કે, પોષણક્ષમ ભાવના અભાવે, ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવા માટે અનેક રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દાખવતા સૌરાષ્ટ્ર વિસ્તારની એ.પી.એમ.સીમાં તા. 01/04/2022 થી તા. 31/05/2022 દરમ્યાન ડુંગળીનુ વેચાણ કરનાર ખેડૂતોને સહાય આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો હતો.

પાત્રતા ધરાવતા ખેડૂતોને અંદાજે રૂ. 69.27 કરોડની માતબર રકમની સહાય ડીબીટી દ્વારા બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. ખેડૂતોએ રાજ્ય સરકારની આ સહાયથી લાભાન્વિત થતાં આનંદની લાગણી અનુભવતાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ કૃષિ મંત્રી એ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.