Abtak Media Google News

કોંગો ગણરાજ્યમાં સૈન્યની ભરતી માટે સ્ટેડિયમમાં એકત્ર થયેલા યુવાનોમાં ભાગદોડ મચી જતા 37 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, સેનાના ઓરનાડો સ્ટેડિયમમાં મોટાપાયે સૈન્ય ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, જેના કારણે ભારે ભીડ થઈ હતી. આ દરમિયાન કોઈક કારણોસર અચાનક નાસભાગ થવા લાગી, જેમાં ચગદાઈ જવાના કારણે 37 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

માત્ર 1500 જવાનોની ભરતી માટે હજારો યુવાનો ઉમટી પડ્યા, અફરાતફરી મચી ગઇ

બચી ગયેલા એક યુવા સ્રાતક બ્રૈંડન ત્સેતોઉએ કહ્યું કે,ગઇકાલે સવારે તે સ્ટેડિયમની સામે લાઈનમાં ઉભો હતો. સેનામાં ભરતીનો  છેલ્લો દિવસ હોવાથી અમે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે મોડી રાત સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા મુજબ કેટલાક લોકોએ બળજબરીથી અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે નાસભાગ મચી, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઈજાગ્રસ્ત થયા, જેની અમે નિંદા કરી રહ્યા છીએ.

વડાપ્રધાન કાર્યાલયે પણ નિવેદન બહાર પાડી ઘટનામાં 37 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. તો બીજીતરફ સરકારી વકીલ નગાકાલાએ કહ્યું કે, હાલ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે અને મોડી રાત સુધી કાર્યક્રમ કેમ ચાલી રહ્યો હતો, તેની પુછપરછ કરાશે. અહીં સેના ભરતી કાર્યક્રમ દરમિયાન ભરતી કેન્દ્રો પર ગત સપ્તાહથી દરરોજ લાંબી લાઈનો થતી હતી. ઉપરાંત યુવા લોકો પણ સેનામાં સામેલ થવાની માંગ કરી રહ્યા છે. અહીં લગભગ દૈનિક 700 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે સેના દ્વારા માત્ર 1500 ભરતી જ બહાર પડાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.