Abtak Media Google News

જામનગરના રાજવી પરિવારની જામજોધપુર પંથકમાં સડોદર ગામે આવેલી વાડીમાંથી બે દિવસ પૂર્વે ચોર, ટપક પધ્ધતિ સિંચાઇની પાઇપ લાઇનના ૧૭ બંડલની ચોરી કરી ગયા હતા. જેની શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામે સીમ વિસ્તારમાં આવેલી રાજવી પરિવારની વાડીમાંથી ચોરીની ઘટના સામે આવી છે. જામ રાજવી પરિવારના શત્રુશૈલ્યસિંહ જાડેજાની ફુલવાડી તરીકે ઓળખાતી વાડીમાં કોઇ અજાણ્યા તસ્કરો પ્રવેશ્યા હતાં. ખેતીની જમીનમાં તથા દરવાજા વગરની ખુલી ઓરડીમાં રાખવામાં આવેલી ટપક પધ્ધતિ સિંચાઇ પાઇપ લાઇનના ૧૭ બંડલની ચોરી કરી તસ્કરો ફરાર તઈ ગયા હતાં. આશરે ૭૫૦૦ મીટરની લંબાઇ ધરાવતી અને ૩૦,૦૦૦ની કિંમતની ટપક પધ્ધતિની પાઇપ લાઇનની ચોરી થઇ જતાં પોરબંદર જિલ્લાના વડાળા રાણા ગામે અજય બાબુભાઇ મોઢવાડીયાએ શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જામ રાજવી પરિવારના જામનગરમાં આવેલા શત્રુશૈલ્યસિંહજી હસ્તકના મહેલમાં સાતેક વર્ષ પુર્વે અતિ કિંમતી એન્ટીક ચીજ-વસ્તુઓની પણ ચોરી થઇ હતી જો કે જે-તે સમયે આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.