Abtak Media Google News

જનસંઘ – (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સંગઠનાત્મક-સંખ્યાત્મક શક્તિ સાથે સૌથી મોટા રાષ્ટ્રવાદી સંગઠન તરીકે ઇન્દિરા ગાંધીની સામે લડત આપી દેશને કોંગ્રેસની સરમુખત્યાર ચુંગાલમાંથી મુક્તિ અપાવી લોકશાહીનું રક્ષણ કર્યું હતું : રાજુભાઇ ધ્રુવ

૨૫ જૂન, ૧૯૭૫ની અર્ધ રાત્રીએ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનાં કહેવાથી તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદએ ભારતીય સંવિધાન ધારા ૩૫૨ અંતર્ગત કટોકટી કાળ (આપાતકાળ)ની ઘોષણા કરી હતી. ભારતીય ઈતિહાસમાં ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી લદાયેલા ૨૧ મહિનાઓનાં કટોકટી કાળ અંગે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આજનો દિવસ સ્વતંત્ર અને આધુનિક ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાયો છે. આ દિવસે ભારતમાં લોકશાહીનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલી કટોકટીને કારણે દેશને અત્યંત આર્થિક, સામાજિક, રાજકીય સહિત અનેક પ્રકારની નુકસાની ભોગવી પડી હતી. ઈન્દિરા ગાંધીનાં આપખુદશાહી વલણને કારણે કટોકટી દરમિયાન આપણા દેશનો વિકાસ દસકો પાછળ ચાલ્યો ગયો હતો. લાખો નિર્દોષ લોકો પર અત્યાચારો થયા હતા. આટલું જ નહીં પરંતુ આઝાદી બાદ ભારત દેશ કોંગ્રેસનો ગુલામ હોય એ મુજબ અખબારો પાસેથી તમામ સ્વતંત્રતા છીનવી લેતી સેન્સરશીપ લગાવવામાં આવી હતી. પ્રજા અને પ્રેસને પોતાના તઘલગી નિર્ણયથી રંજાડવાનાં પરિણામ સ્વરૂપે કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોકસભાની ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

તત્કાલીન જનસંઘ (આજના ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સંગઠનાત્મક-સંખ્યાત્મક તાકાત-શક્તિ સાથે ઈન્દિરાજી તેમજ કોંગ્રેસની સામે જોરદાર લડાઈ લડી દેશને કોંગ્રેસની સરમુખત્યારી ચુંગાલમાંથી મુક્તિ અપાવી હતી. સરમુખત્યારશાહી માનસિકતાવાળા  ઈન્દિરા ગાંધીએ જનસંઘ અને આરએસએસના એક લાખ બાર હજાર નેતાઓ, કાર્યકરોની મિસા નામના કાળા કાયદા હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલ્યા હતા. નિર્લજ્જપણે સત્તાનાં બેશરમીભર્યા ગેરઉપયોગની આ પરાકાષ્ટા હતી. જેની સમક્ષ દેશ આખામાં પોણા બે વરસ સુધી સત્યાગ્રહની લડત ચલાવવામાં આવી. હજારો, લાખો લોકોએ ધરપકડ વહોરી લીધી. આરએસએસના ૨૩૦૧૫ કાર્યકરોને મિસા હેઠળ અટકાયતમાં લેવાયા, સત્યાગ્રહ બદલ ૪૪૯૬૫ કાર્યકરોની ધરપકડ કરાઈ. લાલકૃષ્ણ અડવાણીજી તેમના એક પુસ્તકમાં નોંધે છે કે, કુલ ૧૦૫૦૦૦ અટકાયતીઓમાંથી ૨૫૦૦૦ની તો કટોકટી લાદ્યાના પ્રથમ સપ્તાહમાં જ અને બીજા ૮૦ હજારની સત્યાગ્રહ દરમિયાન ધરપકડ કરાઈ હતી. આમાંથી ૭૦ સ્વયંસેવકો કેદખાનામાં મૃત્યુને ભેટ્યા પરંતુ દમનના દોર સામે તેઓ ઝૂક્યા નહોતા. સ્વતંત્રતા માટેની આ બીજી લડત હતી. દેશભરમાં કટોકટી સામે વિરોધનો દાવાનળ ફાટી નીકળતાં અંતે સરમુખત્યાર ઇન્દિરા ગાંધીને ઘૂંટણીએ પડવું પડ્યું; ૨૧મી માર્ચ ૧૯૭૭ના રોજ તેમણે કટોકટી ઉઠાવી લેવાની જાહેરાત કરી. દેશમાં ફરી એકવાર લોકશાહી પ્રક્રિયાઓ આરંભાઈ, ચૂંટણીઓ યોજાઈ અને ઇન્દિરા ગાંધીનો, કોંગ્રેસનો કારમો પરાજય થયો.

કટોકટીકાળ દરમિયાન દેશની એકતા, અખંડિતા, બંધારણીય હક્કો, લોકશાહી બચવવા જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, અટલ બિહારી વાજપેયી, બાળા સાહેબ દેવરસજી, અડવાણીજી, નાનાજી દેશમુખ, નરેન્દ્રભાઈ મોદી, સહિતના સંખ્યાબંધ આગેવાનો અને અનેક ચળવળકારો પ્રજાધિકારની પુન:સ્થાપનામાં રાષ્ટ્રીય સ્તરે તથા વસંત ગજેન્દ્ર ગડકર, કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, મકરંદભાઈ દેસાઈ, વજુભાઇ વાળા, વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અનેક અગ્રણીઓ નિમિત્ત બન્યા તેઓને આજની ઘડીએ યાદ કરતાં છાતી ગજ ગજ ફૂલે છે. કોંગ્રેસની દેશહિત વિરોધી નીતિઓનો ભાજપ અને આરએસએસએ શરૂઆતથી જ વિરોધ કરી ભારતીય પ્રજા અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ કટોકટીની ફકત કડક શબ્દોમાં ટિકા જ નથી કરી પરતું ભાગ્યે જ કોઈ એવા ભાજપનાં મોભી નેતા હશે જેમણે કટોકટી દરમિયાન જેલવાસ ભોગવ્યો કે કોંગ્રેસનો છડેચોક વિરોધ નહી કર્યો હોય. દેશને હાનિ પહોંચાડતી કોંગ્રેસ પાર્ટીના જનહિત વિરોધી નિર્ણયોનો પ્રજાને ભોગ ન બનવા દેતાં કોંગ્રેસ જેવી પાર્ટીઓથી ભારત દેશનું રક્ષણ કરવું એ ભાજપનું પ્રમુખ કર્તવ્ય છે.

૨૫ જૂન ૧૯૭૫નાં દિવસે લદાયેલી કટોકટી આજે પણ ભારતના જનમાનસમાં ‘કાળો દિવસ’ તરીકે અંકિત છે. આજે પણ કટોકટી કાળને અનુભવેલા લોકો કોંગ્રેસથી હતાશ અને નિરાશ છે. સમગ્ર દેશ કટોકટીમાં અનેક યાતનાઓથી પીડાયો હતો. આથી ઈન્દિરા ગાંધીનાં શાસનમાં લદાયેલી કટોકટી બદલ કોંગ્રેસ અને ગાંધી પરિવારે પોતાની ભૂલ સુધારી માફી માગી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.