Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Vlcsnap 2020 05 07 17H21M54S138

ભારત કૃષિપ્રધાન દેશ છે તો તેમાં કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન ઉદ્યોગોની સ્થિતિ વિશે જણાવતાં ખેડૂત એગ્રો એન્જીનીયરીંગ પ્રા.લી. ના મેનેજીંગ ડિરેક્ટર દિનેશભાઇ ખાનપરાએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રના ઉદ્યોગોમાં પ્રથમ પડકાર શ્રમિકોનો છે જે દિન પ્રતિદિન વધી રહ્યો છે.

કૃષિ ક્ષેત્રના ઔદ્યોગિક એકમોમાં ૯૫% ઉદ્યોગો સૂક્ષ્મ ઉદ્યોગ હોય છે તેમાં પણ લોક ડાઉન દરમિયાન પણ આ એકમોએ તેમના કર્મચારીઓને વેતન ચૂકવ્યું છે તો નાણાંકીય હાલાકીનો ભોગ મોટા ભાગના ઉદ્યોગો બન્યા છે. તેમણે પડકારો વિશે વધુમાં જણાવ્યું હતું કે રો મટીરીયલની ઉપલબ્ધતા પણ મોટી સમસ્યા છે કેમકે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની મંજૂરી આપવામાં આવી નથી જેના કારણે રો મટીરીયલ મળતું નથી, ટ્રાન્સપોર્ટેશન બિલકુલ બંધ હાલતમાં છે જેના કારણે પાર્ટ લોડમાં કોઈ પણ છૂટ મળી નથી. તેમણે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન ઉદ્યોગો આર્થિક હાલાકી ભોગવી રહ્યા છે તેવા સમયમાં બેંકોએ ઔદ્યોગિક એકમોને ટર્મ લોનના વ્યાજમાંથી મુક્તિ આપવી જોઈએ તેમજ નવી લોનમાં ન્યૂનતમ વ્યાજદરે લોન આપવી જોઈએ તેમજ ઉપભોક્તાઓને સબસીડીની રકમમાં બધારો કરવો જોઈએ  જેથી ફિનિશ પ્રોડક્ટ્સનું વેચાણ બજારમાં સરળતાથી થઈ શકે. તેમણે અંતમાં એ પણ કહ્યું હતું કે હાલ ઔદ્યોગિક એકમોની પરિસ્થિતિ ખરાબ છે  તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ જે રીતે ચાઈનાએ વિશ્વસનીયતા ગુમાવી છે તેનો ફાયદો ભારતીય ખજખઊ ના ઉદ્યોગને બહોળો મળનાર છે તે બાબત પણ સ્પષ્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.