Abtak Media Google News

ભરૂચના કરમાડની બે કરોડની મિલકતને વકફના પદાધિકારીઓએ વેંચી મારી

વંથલીના કોંગ્રેસ અગ્રણી ઇરફાન શાહના આક્ષેપો: મુખ્યમંત્રીને કરશે રજુઆત

ગુજરાત રાજ્યમાં લઘુમતી સમાજની મસ્જીદ મદ્રસાઓ , કબ્રસ્તાન  અને ખાનકાહો જેવી  ધાર્મીક સંસ્થાઓના ટ્રસ્ટોની દેખરેખ રાખવા વકફ બોર્ડ અસ્તીત્વમાં આવ્યું પરંતુ ખાટલે મોટી ખોટ કે લઘુમતી સમાજની સરળતા ખાતર બનાવવામાં આવેલ વક્ફ બોર્ડમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ફેલાયો છે. તેવો આક્ષેપ મુસ્લીમ અગ્રણી ઈરફાનશાહ એ આક્રોશપૂર્વક કરી વક્ફ બોર્ડના ભ્રષ્ટાચારી તત્વોને ખુલ્લા કરવા વક્ફ હિત રક્ષક સમીતી મેદાને આવી રહી હોવાનું જણાવ્યું છે.

વકફ ટ્રીબ્યુનલ કોર્ટ એ આપેલ ઐતિહાસીક ચુકાદાને આવકારતા અને ભરૂચના કરમાડ વિસ્તારની અંદાજીત બે કરોડની મિલકત વકફના પદાધિકારીઓની મીઠી નઝર અને મીલીભગત થકી બે લાખમાં વેંચી મારવાના ષડયંત્રનો પર્દાફાસ થયો છે. ત્યારે વકફ હિત રક્ષક સમીતીના યુવા અગ્રણી ઈરફાનશાહ સુહરાવર્દી એ જણાવ્યું છે કે વકફ બોર્ડના ભ્રસ્ટાચારી મંડળી એ રાજ્યમાં અનેક જગ્યાએ કાળા કારસ્તાનો આચરેલ છે. વકફની મિલકત એ ઈશ્વરની  મિલકત હોય તેની રક્ષા કરવાને બદલે લાખો કરોડો રૂપિયાની અનેક મિલ્કતો વેચી મારવાનું કારસ્તાન કર્યું છે.  આ ભ્રષ્ટાચારી ટોળકીને ખુલ્લી પાડવાને બદલે રાજ્યના વરિષ્ઠ મુસ્લીમ અગ્રણીઓ અને ત્રણ ત્રણ મુસ્લીમ  ધારાસભ્યોનું ભેદી મૌન સમગ્ર લઘુમતી સમાજને અકળાવી રહ્યું છે.

વધુમાં મુસ્લીમ અગ્રણી ઈરફાનશાહ એ આક્રોશપૂર્વક જણાવ્યું  છે કે , રાજ્યની  કોઈ પણ ધાર્મિક સંસ્થામાં ટ્રષ્ટીઓ વચ્ચે અથવા દરગાહના સેવકો વચ્ચે  મતભેદ ઉભો થાય કે કોઈ વિવાદ ઉદ્દભવે તેવા સંજોગોમાં વકફના પદાધીકારીઓ દ્વારા સુલેહ- સમાધાન કરાવવાને બદલે રાતોરાત ફેરફાર રિપોર્ટ મંજુર કરી તકનો લાભ લઇ પોતાના મળતિયાઓને વહીવટદાર તરીકે ધરાર ઠોકી બેસાડવામાં આવે છે.

ભૂતકાળમાં પણ વકફ બોર્ડનો ર૦૦ કરોડનો ભ્રષ્ટાચાર ચર્ચાસ્પદ

ભૂતકાળમાં વકફ બોર્ડમાં ૨૦૦ કરોડના ભ્રસ્ટાચાર થકી ચર્ચાસ્પદ બની હતી ત્યારે ફરી એકવાર ભ્રસ્ટાચારીઓ એ પોતાનું પોત પ્રકાશ્યું છે.  વકફ બોર્ડ ના પદાધિકારીઓ દ્વારા કાયદાઓ નું છડેચોક ઉલ્લંઘન કરી રાજ્ય સરકારની પ્રતિષ્ઠા ને ઝાંખપ લાગે તેવી જ પ્રવૃર્તીઓ કરવામાં આવી રહી છે.  આ સિવાય તાજેતરમાં જ ચેરમેન દ્વારા અમદાવાદની એક સંસ્થાનો કબજો મેળવવા વિવાદ સર્જાયો હતો, ત્યારે વકફ બોર્ડના સભ્યોને તાત્કાલિક દૂર કરવા માંગણી કરતા અંતમાં જાગૃત  મુસ્લીમ  અગ્રણી ઈરફાનશાહ એ જણાવ્યું છે કે, વકફના પદાધિકારીઓની કોઈ ફરિયાદ હોય તો, અથવા ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હોય તો મોબાઈલ નં. ૯૮૨૪૬ ૨૩૭૮૬  ૯૮૯૮૧ ૭૪૭૯૧ ઉપર માહિતી આપવા અનુરોધ કરાયો છે,  રાજ્યની તમામ માહિતીઓ – પુરાવાઓ એકત્રિત કરી વકફ હિત રક્ષક સમીતી ના બેનર તળે પ્રતિનિધી મંડળ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લઇ ધારદાર રજુઆતો કરવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.