Abtak Media Google News

કોરોના સંબંધિત સમગ્ર પરિસ્થિતિ અંગેની સમીક્ષા કરાઇ:
ગ્રામ્ય સ્તરે આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવા તાકીદ

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ રાદડિયા અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઇ રાદડિયાએ આજે રાજકોટ જિલ્લામાં પ્રવર્તતી કોરોના સંબંધિત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને જિલ્લાભરમાં  ઓક્સિજન-બેડ-રેમડેસીવીરની યોગ્ય વ્યવસ્થા જાળવવા તથા તેના પુરવઠાનું સંતુલન જાળવવા જિલ્લા વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

મંત્રી બાવળિયાએ શહેરી વિસ્તારોમાં કોરોના દર્દીઓનો ધસારો અટકાવવા માટે ગ્રામ્ય સ્તરે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી, તથા ઓક્સિજનના ઉપલબ્ધ જથ્થાનું યોગ્ય વિભાજન કરવા પણ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લાની આજુબાજુના જુનાગઢ-જામનગર -મોરબી જિલ્લાઓમાંથી સારવાર મેળવવા આવતા દરદીઓને પ્રાથમિકતા આપવા પણ મંત્રીએ સૂચન કર્યું હતું. રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર તથા ઓક્સિજનની સંગ્રહખોરી કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવા મંત્રી જયેશભાઇ રાદડિયાએ અધિકારીઓને તાકીદ કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોગ્ય માત્રામાં કોરોનાની દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવવા મંત્રી જયેશ રાદડીયાએ સંબંધિતોને સૂચના આપી હતી. રાજ્ય સરકારે કોરોના સંબંધિત પરિસ્થિતિ અંગે જારી કરેલા પરિપત્રનો અમલ નીચલા સ્તર સુધી થાય તે જોવા મંત્રી રાદડિયાએ ભાર મૂક્યો હતો.

ઓક્સિજન તથા રેમડેસીવીરના ઉપલબ્ધ જથ્થાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પર બંને મંત્રીઓએ ભાર મૂક્યો હતો. નિવાસી અધિક કલેકટર પરિમલ ઇન્ડિયાએ બેઠકના પ્રારંભે ઉપસ્થિત સૌ અધિકારીઓને આવકાર્યા હતા. કલેકટર રેમ્યા મોહને જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિથી બંને મંત્રીઓને વાકેફ કર્યા હતા.

આ બેઠકમાં નોડલ ઓફિસર ડોક્ટર રાહુલ ગુપ્તા, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ,  જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયા, નગરપાલિકાના પ્રાદેશિક નિયામક સ્તુતિ ચારણ, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલના તબીબી અધિક્ષક આર.એસ ત્રિવેદી જુદા જુદા તાલુકાના વિકાસ અધિકારીઓ, તથા અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.