Abtak Media Google News

સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જાગૃત નાગરિક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 દ્વારા અપાયેલ માહિતીના આધારે સમાજ સુરક્ષા તથા જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમ શહેરના બાવરી વાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં પહોંચી હતી અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી તા.05-06-2021ના રોજ યોજાનાર બાળ લગ્ન અટકાવ્યા હતા.

આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થનાબેન શેરશીયાએ જણાવ્યુ હતુ કે, એક જાગૃત નાગરીક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 દ્વારા અમને જામનગર શહેરના બાવરી વાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં તા.05-06-2021ના રોજ યોજાનાર લગ્ન બાળ લગ્ન હોવા અંગેની જાણ કરાઈ હતી. જાણકારીના આધારે અમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીરભાઈ પોરેચા, પ્રોબેશન ઓફિસર મનોજભાઈ વ્યાસ, લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સનાબેન હરણ, ચાઈલ્ડ લાઈન-1098 અને પોલીસની ટીમને સાથે રાખીને બાવરી વાસ, ખાતે તા.01-06-2021ના રોજ પહોંચ્યા હતા. ઘટના સ્થળે તપાસ કરતા વર અને ક્ધયા બંનેની ઉંમર અનુક્રમે 21 વર્ષ અને 15 વર્ષ હોવાનું જણાયું હતું.

જેથી સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે તા.05-06-2021ના રોજ થનારા લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને હાલમાં આ લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.

સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે. અથવા થાય છે તેવી જાણ મળે તો તે બાબતે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2570306), જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2571098), ચાઈલ્ડ હેલ્પ લાઈન (1098) પર આપ લેખિત/ટેલીફોનીક જાણ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.