Abtak Media Google News

એસજીવીપી ગુરૂકુળ રીબડા ખાતે  હજારોની સંખ્યામાં હરિભક્તોએ લીધો લાભ

 

અબતક, રાજકોટ

એસજીવીપી ગુરૂુકુળના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી -અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને શા.ધર્મવત્સલદાસજી સ્વામી અને વેદાન્ત સ્વરૂપદાસજી સ્વામીની આગેવાની નીચે એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે  દિવંગત આત્માઓની પવિત્ર સ્મૃતિમાં તેમજ તેમના મોક્ષ માટે શાસ્ત્રીય આજ્ઞા પ્રમાણે 151 શ્રીમદ્ ભાગવત તથા સત્સંગીજીવન  ગ્રંથની સંહિતા પારાયણ તા.25-12-2021 થી 31-12-2021 દરમ્યાન રાખવામાં આવેલ છે.

સંહિતા પારાયણ પૂર્વે વેદોક્ત વિધિ સાથે કળશ પૂજન કરી 151 પોથીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી..

શોભાયાત્રા કથા સ્થાને પહોચતા શામાધવપ્રિયદાસજી સ્વામીએ મુખ્ય પોથીજીને મસ્તકે ધારણ કરી યથા સ્થાને પધરાવી હતી. ત્યારબાદ રીબડા ગુરૂકુલના વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય કર્યું ત્યારે હજારોની સંખ્યામાં સભામા બેઠેલ હરિભક્તોએ તાલીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા.

આપણો પ્રયાસ ભગવાન આપણને પસંદ કરે એવા સદ્ગુણો મેળવવા હોવા જોઇએ.

આ ધનુર્માસનાં પવિત્ર દિવસોમાં ભક્તિસત્ર અંતર્ગત સત્સંગી જીવન પારાયણ, વિષ્ણુયાગ, રાજોપચાર પૂજન, ગૌપૂજન, મેડિકલ કેમ્પ, સમૂહ મહાપૂજા, શાકોત્સવ વગેરે રાખેલ છે.

કોરોના હજુ ગયો નથી, કોરોનાથી બીવાની જરૂર નથી, પણ ગાફેલતા રાખવી નહીં. કોરોના કાળમાં પોતાનું અને પારકાનું રક્ષણ થાય તેમ વર્તવું.

ગુરૂકુલ પરિસરમાં જ 11 કુંડી પહ વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાન આચાર્ય રામપ્રિયજી અને સાથે ચિંતનભાઈ જોષી, ભગીરથભાઈ ત્રિવેદી વગેરે યજ્ઞની સેવામાં જોડાયેલ છે.

આ યજ્ઞમાં દશમસ્કંદન 4000 શ્લોકના આહુતિ આપવામાં આવેલ છે. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ અને સર્વ મંગલ સ્ત્રોતની નામાવલીથી યજ્ઞ નારાયણની આહુતિ આપવામાં આવશે.

આ સંહિતા પાઠ પારાયણમાં દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય, સંદીપની વિદ્યાલય, પોરબંદર, બ્રહ્મર્ષિ વિદ્યાલય, પેટલાદ, સંસ્કૃત વિદ્યાલય, ડભાણ, વર્તતું વિદ્યાલય, સોલા, સ્વામિનારાયણ વિદ્યાલય, અમદાવાદ, નર્મદા મહા વિદ્યાલય, આનંદાશ્રમ બીલખા વગેરેના 120 ઋષિકુમારો સંહિતા પાઠમાં જોડાયેલા છે.

સભાનું સંચાલન વેદાંત સ્વરૂપદાસજી સ્વામીએ  સુપેરે કર્યું હતું.

નૂતન લીલોતરી ક્રિકેટ મેદાનનું ઓપનીંગ કરાયું

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી,પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને જયહિંદ પત્રના સહતંત્રી જયદેવભાઇ શાહની ઉપસ્થિતિમાં તેમજ દિવ્યાંગ અંધજન ક્રિકેટરોના રમતથી (એસજીવીપી ગુરૂકુલ રીબડા) રાજકોટ ખાતે નુતન  લીલોતરી  ક્રિકેટ મેદાનનું ઓપનીંગ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગ ડીસાથી દેવજીભાઇએ રનીંગ કોમેન્ટરી આપી સૌનૈ ખુશ

કર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમની શરુઆતે જયદેવભાઇ શાહે જણાવ્યું હતુ કે આ લીલોતર ક્રિકેટ મેદાન જોઇને અત્યંત આનંદ થાય છે. આ સંસ્થા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે રસ જાગૃત કરાવે છે, તે જોઇ અત્યંત આનંદ થાય છે.

આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, નવી પેઢીના સદ્રઢ ઘડતર માટે આ ક્રિકેટ મેદાન તૈયાર કરવામાં આવેલ છે. ગુરુકુલના પાયામાં સાયન્સ, સ્પોર્ટસ અને સ્પિરિચ્યુઆલીટી છે. ગુરૂકુલના પ્રણેતા શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલની હરેક ફેકલ્ટીમાં ધર્મનો પાયો નાંખેલ છે.

ખરેખર અમે આ  ક્રિકેટ મેદાનને ભગવાનનું મંદિર માનીએ છીએ અને ખેલાડીઓને ભગવાનના પુજારી માનીએ છીએ. બેટ બોલને અમે ભગવાનના પુજાના સાધનો માનીએ છીએ.

આજે ક્રિકેટ મેદાનનું ઓપનિંગ,જેનાં ભીતરનાં ચક્ષુ જાગૃત છે, એવા દિવ્યાંગ અંધજનોની ક્રિકેટ રમતથી શરૂઆત થઇ તેનો અમને આનંદ છે. આ પ્રસગે મુબઇથી નવિનભાઇ દવે વગેરે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

એસજીવીપી ગુરૂકુલ ખાતે 11 કુંડી મહાવિષ્ણુયાગનો પ્રારંભ

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે, પવિત્ર ધનુર્માસના દિવસોમાં ભકિતસત્ર અતર્ગત, 151સંહિતા પારાયણ પ્રસંગે, કોરોના મહામારીના સમયમાં અક્ષરવાસ થયેલ આત્માઓના મોક્ષાર્થે 151 સંહિતા પારાયણ ચાલી રહેલ છે, ત્યારે ગુરુકુલ પરિસરમાં ઘેઘુર વડની સમીપમાં 11 કુંડી મહાવિષ્ણુયાગના  પ્રારંભે,

વેદોકત વિધિ સાથે અરણી મંથન કરી અગ્નિદેવને પ્રગટ કરવામાં આવેલ.

અરણી મંથનની તમામ વૈદિક વિધિ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી તથા સાથે ચિંતંનભાઇ  જોશી તથા ભગીરથભાઇ ત્રિવેદી રહ્યા હતા.

અગ્નિદેવને પ્રગટ કરી એક વાસણમાં રાખી યજ્ઞશાળાને પ્રદક્ષિણા કરી મુખ્ય અગ્નિ કુંડમાં પધરાવેલ. ત્યારબાદ પુરુષસુક્ત,સર્વમંગલ સ્તોત્ર, વિષ્ણુ સહસ્ર નામાવલિથી અગ્નિદેવને ઘીની આહુતિ આપવામાં આવી હતી.મહાવિષ્ણુયાગના પૂર્ણાહૂતિ તા.30 ના રોજ બપોરે 12 વાગ્યે થશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.