Abtak Media Google News

અબતક-રાજકોટ

રાજ્યમાં કુલ ૬,૦૯૭ લોકો કોરોના સંક્રમિત: બે દર્દીઓએ દમ તોડ્યા

મૌસમની સાથે રંગ બદલાતો કોરોના હવે જાણે જેટ ગતિએ કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકારે આઠ મહાનગરપાલિકામાં કડક રાત્રી કરફ્યુ લદાવી કોરોના પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ગઈ કાલે કુલ ૬,૦૯૭ લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં રાત્રી કરફ્યુ લદાવેલા આઠ મહાનગરોમાં જ ૪૫૭૬ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓએ સારવારમાં દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે.

એક દિવસમાં ૧૫૩૯ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. છેલ્લા અઠવાડિયાથી વધતા કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. સતત ત્રીજીવાર 6 હજારથી વધુ કેસ આવ્યા છે. ગઈ કાલે રાજ્યમાં ૬૦૯૭ નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ જ્યારે સુરતમાં પણ કોરોના વકરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગઈ કાલે ૧૫૩૯ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 2 દિવસ મૃત્યુઆંક શૂન્ય રહ્યા બાદ આજે રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં એક-એક દર્દીનું કોરોનાથી મોત નોંધાયું છે.
હાલ રાજ્યભરમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૨,૪૬૯ પર પહોંચી છે. જેમાં ૨૯ દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ૩૨,૪૪૦ દર્દીઓ સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં ૮,૨૫,૭૦૨ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
રાજ્યમાં બીજી તરફ ઓમિક્રોન વેરિયેન્ટના કેસમાં રાહત જોવા મળી છે. ગઈ કાલે ઓમિક્રોન કુલ ૨૮ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે આ વેરિયેન્ટના ૩૯ દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં ૫ કેસ, આણંદમાં ૪ કેસ, રાજકોટમાં ૨ કેસ, ગાંધીનગરમાં ૫ કેસ જ્યારે આ વેરિયેન્ટના સૌથી વધુ ૯ લોકો સંક્રમણમાં ફસાયા છે.
અમદાવાદમાં ત્રીજી લહેરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. રોજે રોજ શહેરમાંથી લગભગ ૨૦૦૦ ની આસપાસ કોરોના પોઝિટિવ કેસો નોંધાય રહ્યા છે. ત્યારે કોરોના બેલગામ થતો અટકાવવા શહેરમાં વધુ ૨૧ વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે ૧૬ વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માંથી મુક્તી આપી દેવામાં આવી છે.ગોદરેજ ગાર્ડન સિટીના તીવોલી ફ્લેટના ૪૮ ઘરો તેમજ કુલ અલગ અલગ ૨૧ વિસ્તારોના ૧૫૨ ઘરોના ૫૮૦ લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.અમદાવાદમા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૭૨ પહોચી ગઈ છે. એ જ રીતે સુરતમાં પણ સતત વધતા જતા કેસની સામે તંત્ર એલર્ટ મૉડ પર આવીને કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યના આઠ મહાનગરોમાં નોંધાયેલા કેસની વિગત
અમદાવાદ :- ૧૮૯૩
સુરત :- ૧૭૭૮
વડોદરા :- ૪૧૦
રાજકોટ :- ૧૯૧
ગાંધીનગર :- ૧૩૧
ભાવનગર :- ૯૩
જામનગર :- ૪૭
જૂનાગઢ :- ૩૩

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.