10 દેશોના 170 કરતાં વધુ બાળકો-યુવાનો દ્વારા ભક્તિસંગીતની પ્રસ્તુતિ
સમાજ કલ્યાણની 160 પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરીને પ્રમુખસ્વામી મહારાજે વિશ્ર્વસ્તરે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પોતાની આધ્યાત્મિક ચેતના દ્વારા રાષ્ટ્રના નૈતિક ઉત્થાન માટે આજીવન પ્રયત્નશીલ તેમની પ્રવૃત્તિઓનો આધાર ભગવાન હતા. ભગવાનની કથા અને અને કીર્તનના તેઓ પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા: કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે.
તેમના આ સંદેશને અનુસરીને વિશ્ર્વસ્તરે બીએપીએસના 20000 સત્સંગ મંડળોમાં વર્ષભર હજારોની સંખ્યામાં ભક્તિસંગીતના કાર્યક્રમો થયા, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો અને ભાવિકોએ લાભ લીધો. તેઓના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘અક્ષર અમૃતમ’ વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી, જેમાં કુલ 2000 કરતાં વધારે કીર્તન, 900 કરતાં વધુ કથા અને 6000થી વધુ ઓડિયો બુક્સ ટ્રેકસ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ નિ:શુલ્ક ઉપલબ્ધ છે
ત્યારે તા.1 જાન્યુઆરીના સાંજે બી. એ. પી. એસ. બાળ-યુવા સંગીતવૃંદ દ્વારા કીર્તનભક્તિની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંજે 5.00 વાગ્યે કાર્યક્રમનો આરંભ થયો, જેમાં પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવનને વર્ણવતાં સુમધુર ભક્તિપદોનું શ્રવણ કરીને સૌ ગુરુભક્તિમાં ગરકાવ થયા હતા. કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે યોગીજી મહારાજ કહેતા કે,‘કીર્તન ભક્તિ એ મારું અંગ’ માટે આ સૌ બાળકો યુવકો યોગીજી મહારાજના અંગ બની ગયા અને આજે તેઓ બહુ રાજી થતા હશે. બાળકો યુવકોમાં ઘણી શક્તિ છે તેને પ્રમુખસ્વામી મહારાજે યોગ્ય દિશામાં વિકસાવી છે.
જગદ્ગુરૂ રામભદ્રાચાર્ય દિવ્યાંગ યુનિવર્સિટીના સ્થાપક અને કુલપતિ પદ્મવિભૂષણ જગદ્ગુરૂ રામભદ્રાચાર્યજીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજની સૌથી સારી વિશેષતા હતી: તેમનું મુખ પ્રસન્નતાનું ઘર છે.
તેમનું હૃદય કરુણાથી ભરેલું છે. તેમનું વાણી અમૃત સ્વરૂપ છે. તેમનું કાર્ય માત્ર પરોપકાર નું જ હતું. પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો હતો કે ભગવાન ભજો અને બીજાને ભજાવો માટે આપણે પણ તેમના જીવનમાંથી આ ગુણની પ્રેરણા લઇએ. હું ભગવાનનો દાસ છું અને ભગવાન મારા સ્વામી છે જો આ વાત જીવનમાં ઉતારી લઈશું તો ચોક્કસ આ જ જન્મે મોક્ષ પ્રાપ્ત થઈ જશે.ડી. વાય. પાટિલ ગ્રુપના પ્રમુખ, પદ્મશ્રી ડો. સંજય પાટિલે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે સમાજને ખુશી અને પ્રેમ આપ્યો છે અને તેઓ ઊર્જાનો પ્રેરણા સ્ત્રોત હતા.ભગવાન અને માતાપિતાના આશીર્વાદ વગર જીવનમાં કોઈ જ સફળતા મળતી નથી, વર્ષના પ્રથમ દિવસે આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને આપ સૌના આશીર્વાદ મળ્યા એટલે ચોક્કસ સફળતા મળશે.અન્ય ઉપસ્થિત મહાનુભાવો રાજેશ માનસિંઘ, મેયર-બિરગંજ મેટ્રોપોલિટન સિટી, નેપાળ, અશોકકુમાર બૈધ્ય, ગુડવિલ એમ્બેસેડર, બિરગંજ મેટ્રોપોલિટન સિટી, નેપાળ, આનંદ અસ્કરાન શર્મા, વિખ્યાત સંગીતકાર, સંદીપ કુલકર્ણી, વિખ્યાત વાંસળીવાદક, પરેશ શાહ, વિખ્યાત સંગીતકાર ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 1 જાન્યુઆરી, રવિવારના રોજ નારી ઉત્કર્ષ મંડપમાં યોજાયેલ કાર્યક્રમમાં ઇન્કમ ટેક્સ બાર એસોસિયશનમાંથી એડવોકેટ ગૌરી ચંદનાનીએ બી. એ પી એસ યુવતી તાલીમ કેન્દ્ર (ત્રણ મહિનાના મહિલા સર્વાંગી વિકાસની તાલીમ) વિષે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પ્રમુખસ્વામી મહારાજના મહિલા ઉત્કર્ષના કાર્યો વિષે વાત કરતાં જણાવ્યું કે જો યુવતીઓ આવી તાલીમમાં ભાગ લેવાનું ચૂકશે, તો તેઓ મોટા લાભાર્થી વંચિત રહી જશે.આગળ જણાવ્યું, મારી સઘળી સિદ્ધિનું શ્રેય ભગવાન સ્વામિનારાયણની કૃપાને આભારી છે. પ્રમુખસ્વામી મહારાજની કરૂણા સમાજના દરેક સ્તરના લોકો પર એકસમાન વરસી હતી.
બીએપીએસ મહિલા પ્રવૃતિના સ્વયંસેવિકા ધારાબેન વૈદ્યે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી ધીરજના ગુણ વિષે વાત કરતાં જણાવ્યું, અક્ષરધામ હુમલા પછી પ્રમુખસ્વામી મહારાજની શાંતિની અપીલ તેમના ધૈર્યનું શિખર છે. જામનગરના ડેન્ટલ કોલેજના ડીન ડો. નયનાબેન પટેલે પ્રમુખસ્વામી મહારાજ નગરના અવિસ્મરણીય અનુભવ વિષે જણાવ્યું કે ‘નારી ઉત્કર્ષ મંડપની વ્યવસ્થા માનવામાં ન આવે તેવી અદભૂત છે. નવા વર્ષે પ્રથમ દિવસે જ આ નગરની મુલાકાતે આ સમગ્ર વર્ષના આધ્યાત્મિક જીવનને ઓપ આપી દીધો છે.’