Abtak Media Google News
  • ડેલીગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટિ, ગિફટ સિટી, અમૂલ, સાબરમતી રિવરફ્રન્ટ સહિતના સ્થળોની મુલાકાત લીધી, સરકારના વિઝનની સરાહના કરી

કેરાલા રાજ્યના ડેલિગેશને ગુજરાતની મુલાકાત લીધી છે. તેઓની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત પૂર્વે આ ડેલિગેશનના સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટિ, ગિફટ સિટી, અમૂલ-આણંદ, સાબરમતી રિવરફ્રન્ટ, બી.આર.ટી.એસ જનમાર્ગ સુવિધા સહિતના સ્થળોની મુલાકાતે ગયા હતા.

ડેલિગેશનના સભ્યોએ ગુજરાતના અમૂલ અને ઇફકો જેવા શ્રેષ્ઠ સહકારિતા મોડેલ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે આદિજાતિ મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓ બનાવટોના વેચાણની વ્યવસ્થાથી મહિલા સશક્તિકરણ અને આર્થિક આધાર, ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉત્તમ સુવિધાઓની મુક્ત મને પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં નંખાયો છે તેની વિસ્તૃત ભૂમિકા ડેલિગેશનને આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસ કેવો હોય અને તેને છેવાડાના, ગરીબ માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેની ઝિણવટભરી કાળજી વડાપ્રધાનએ લીધી છે. નર્મદાનું પાણી છેક ગામડા સુધી પહોંચાડવા સાથે ચોવીસ કલાક વીજળી, ગ્રામ્યકક્ષા સુધી રોડ કનેક્ટિવીટી જેવી માળખાકીય સગવડો ઉપરાંત વાયબ્રન્ટ સમિટના માધ્યમથી ઉદ્યોગોનો વિકાસ, રોજગારીની તકો અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતે આગવી છબિ ઉપસાવી છે.

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, અમૃત સરોવર હોય કે પ્રાકૃતિક ખેતી, રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, સેવ સોઇલ અભિયાન, મિશન લાઇફ જેવા વર્તમાન સમયાનુરૂપ ક્ષેત્રોમાં પણ સસ્ટેઇનેબલ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ વિકાસના ધ્યેય સાથે ગુજરાતમાં યોજનાઓ આકાર પામે છે

તેમણે વડાપ્રધાનએ આપેલા એક ભારત-શ્રેષ્ઠ ભારતના વિચારને સાકાર કરવા દરેક રાજ્યોની લોકહિતની સારી યોજનાઓના પરસ્પર આદાન-પ્રદાન માટે પણ કેરાલા ડેલિગેશન સાથેની વાતચીતમાં હિમાયત કરી હતી.

આ ડેલિગેશનના સભ્યોએ એમ પણ જણાવ્યું કે, ગિફટ સિટી જેવા ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેકસિટી વિશે માત્ર સાંભળ્યું હતું પરંતુ વર્લ્ડકલાસ ફેસેલિટીઝ શું હોય તે અહીં આવીને પ્રત્યક્ષ નિહાળ્યું છે. એટલું જ નહિ, ફિનટેક સર્વિસીસ પ્રોજેક્ટ દ્વારા યુવાનોને રોજગારી અને આર્થિક ક્ષેત્રને વેગ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વગેરેથી પણ તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.

ગુજરાતમાં દરેક પ્રોજેક્ટ સમયબદ્ધ, આયોજનબદ્ધ અને ટ્રાન્સપેરન્સીથી પૂર્ણ થાય છે તથા ગુજરાત વેપાર-ઉદ્યોગ, રોજગાર, ઊર્જા ઉત્પાદન સહિતના ક્ષેત્રો દ્વારા રાષ્ટ્રનિર્માણમાં અગ્રીમ યોગદાન આપે છે તેની પણ સરાહના આ ડેલિગેશને કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.