Abtak Media Google News

કોંગ્રેસ પ્રવકતા ડો. મનીષ દોશી દ્વારા તૈયાર કરાય છે વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ પુસ્તક

” કોંગ્રેસ પક્ષ દ્વારા સતત અઢારમાં વર્ષે પ્રકાશીત કારકિર્દીના ઊંબરે ધોરણ-12 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક નું વિમોચન કરાયું છે.કારકિર્દીના ઊંબરે ધોરણ-12 પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ-10-12 પછી અભ્યાસક્રમની પસંદગી અતિ મહત્વની બની જાય છે. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને સચોટ અને સરળ માર્ગદર્શન માટે કોંગ્રેસ પક્ષના સન્નિષ્ઠ આગેવાન તથા શિક્ષણવિદ્, મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી (એન્જીનીયર) અને તેમના સહયોગી દ્વારા સતત અઢારમાં વર્ષે માર્ગદર્શક પુસ્તક કારકિર્દીના ઊંબરે પ્રસિદ્ધ કરવાનું ભગીરથ કામ કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. આ સુંદર માર્ગદર્શન પુસ્તક પ્રસિદ્ધ કરવા બદલ સૌને અભિનંદન પાઠવું છું. ગ્રામ્ય વિસ્તારની 6,000 જેટલી શાળાઓ મર્જ/બંધ કરવાનો અવિચારી નિર્ણય ગુજરાતની ભાજપ સરકારે કરતા ક્ધયા શિક્ષણનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. 20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો, ભાજપ સરકારે તો શિક્ષણને ઉદ્યોગ વેપાર બનાવી દીધો છે. ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના લોકોના બાળકના ભવિષ્ય માટે ચિંતા કરવાની જગ્યાએ ખાનગી શાળા-કોલેજ સંચાલકોની વકીલાત કરી રહી છે. ખાનગી શાળા કોલેજોમાં ફી ઊંચી વસુલાઈ રહી છે પણ કામ કરતા શિક્ષકો-અધ્યાપકો અને કર્મચારીઓને મોટાભાગની સંસ્થાઓમાં પૂરતો પગાર અપાતો નથી. વાંચે ગુજરાતની જાહેરાત કરતી ભાજપ સરકાર દ્વારા 15 વર્ષથી શાળા-કોલેજ-જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. રમશે ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો/અધ્યાપકોની 15 વર્ષની ભરતી કરવામાં આવી નથી ત્યારે શું આ રીતે રમશે ગુજરાત ? રાજ્યમાં સૌને શિક્ષણ વ્યાજબી ફીમાં મળે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કમનસીબે, રાજ્યની ભાજપ સરકાર તેની પાયાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહી છે. કારકિર્દીના ઊંબરે પુસ્તક અંગે વિદ્યાર્થી/વાલીઓના સૂચનોને આવકારું છું. સર્વે વિદ્યાર્થી ભાઈ/બહેનો ઉજ્જવળ કારકિર્દી દ્વારા ભવિષ્યમાં સફળતાના ઉચ્ચતમ શિખરો સર કરો તેવી શુભકામનાઓ.

કારકિર્દીના ઊંબરે ધોરણ-12 પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે  વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જીવનમાં ઉત્તમ કારકિર્દી માટેના મહત્વના ધોરણ-10 અને 12માં પરીક્ષામાં સફળતા મેળવનાર સૌ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. ગુજરાતમાં તમામ સમાજના વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ માળખાની સુવિધા સાથે ગુણવત્તાસભર શિક્ષણ મળે તે અતિ આવશ્યક છે. ગુજરાતના વાલી-વિદ્યાર્થીઓ અથાક મહેનત-પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરે. રાજ્યની 16 સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-1ની 300 જગ્યા ખાલી છે અને વર્ગ-3 અને વર્ગ-4ની 369 જેટલી જગ્યાઓ ખાલી છે. અધ્યાપકો, લેબ આસીસ્ટન્ટ સહિતની ખાલી જગ્યાઓને કારણે રાજ્યની જુદી-જુદી ઈજનેરી-ફાર્મસી તથા અન્ય ડીગ્રી અને ડીપ્લોમાં કોલેજોમાં વિદ્યાર્થી ગુણવત્તાસભર શિક્ષણ ઉપર ગંભીર અસર પડી રહી છે. ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સચોટ અને સરળ માર્ગદર્શન માટે કારકિર્દીના ઊંબરે પુસ્તક દ્વારા વિદ્યાર્થી ભાઈ-બહેનોને કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો સતત અઢારમા વર્ષે આ સન્નિષ્ઠ પ્રયાસ છે. કારકિર્દીના ઊંબરે પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી તથા સહયોગીઓએ ખુબ જ જહેમત ઉઠાવી છે,

સતત અઢારમાં વર્ષે કારકિર્દીના ઊંબરે ધોરણ 12 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડો. મનિષ દોશી (એન્જીનીયર) એ જણાવ્યું હતું કે, ધોરણ-12 પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ, અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-12 પછી ઉપલબ્ધ 200 થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાસક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે 40 થી વધુ પ્રવેશ પરિક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પણ કારકિર્દીના ઊંબરે પુસ્તકના માધ્યમથી માર્ગદર્શન મેળવે તે માટે વિશેષત: અંગ્રેજી ભાષામાં માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.નવા નવા અભ્યાસક્રમો કે જે રાજ્યમાં ઉપલબ્ધ નથી તેની પણ માહિતી-પ્રવેશ પરિક્ષા અને બને ત્યાં સુધી જુદી જુદી સંસ્થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટો પણ આપવામાં આવી છે. દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વિગત પણ આપવામાં આવી છે. શિક્ષણ માટે એજ્યુકેશન લોન અને સ્કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે. કારકિર્દી સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન માટે આપ પ્રદેશ કાર્યાલય, શહેર – જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો સીધો સંપર્ક કરી શકો છો. કારકિર્દીના ઊંબરે ધોરણ-12 પછી શું? માર્ગદર્શન પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www. gujaratcongress. com  અને www. careerpath.info ઉપર ઉપલબ્ધ થશે. સાથોસાથ પુસ્તકની PDF સરળતાથી મળી રહે તે માટે QR CODE સ્કેન કરીને પણ ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.