Abtak Media Google News

અમદાવાદ જે ડીવીઝનના એસપી પ્રદિપસિંહ જાડેજાની સરાહનીય કામગીરીની પ્રસંશા

ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ભણતરના ભારના કારણે બાળક ઉપર પડેલી વિપરીત અસર અને પોલીસની સમજાવટથી આવેલા ઉત્તમ પરિણામ અંગેનો એક કિસ્સો બહાર આવ્યો છે. હાલના સમયમાં બાળકોની માનસિકતા એ પ્રકારની થઈ ગઈ છે કે, વાલી દ્વારા ભણતરને લઈને અથવા કોઈ કામને લઈને ઠપકો આપે તો નાસીપાસ થઈને ઘર મુકીને જતાં રહે છે. સાથે જ આવી સામાન્ય બાબતમાં બાળકો જીવન ટૂંકાવી દેતા હોવાના અનેક કિસ્સા અગાઉ પ્રકાસમાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં ઈસનપુરમાં પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો.

કિશોરીને માતાએ ઠપકો આપતા ઘર મુકીને જતી રહી હતી. જોકે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં કિશોરીને શોધી કાઢીને તેને સમજાવીને પરિવારને પરત સોંપી હતી. પોલીસની સમજાવટના કારણે કિશોરીએ ભણતર પર પુરેપુરુ ધ્યાન આપ્યું અને ધોરણ 12 બોર્ડની પરિક્ષામાં સારા માર્ક સાથે પાસ થઈ છે.આજથી બે અઢી મહિના પહેલા અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા મહિલા નયનાબેન (નામ બદલ્યું છે) પોતાની જૂનાગઢ રહેતી બહેન સાથે એસીપી  જે ડિવિઝનની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં એસીપી  પ્રદીપસિંહ જાડેજા  ને મળીને પોતાની એકની એક ધોરણ 12માં અભ્યાસ કરતી દિકરી આસી (નામ બદલ્યું છે) વહેલી સવારે શાળાએ જવાના બદલે ઘર છોડીને ભાગી ગઈ હોવાનું જણાવ્યું હતું.

દિકરી ભાગી ગઈ હોવાની બાબતને ગંભીરતાથી લઈને ઈસનપુર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી. એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઇ.  ડી. ડી. ગોહિલ, પી.એસ.આઇ. દીપક લકુમ અને તેમના સ્ટાફની શી-ટીમના મહિલા પોલીસકર્મી શકીલાબેન, માનસીબેન, ફાલ્ગુનીબેન, અનીતાબેન સહિતની ટીમે દિકરીને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. સીસી ટીવી  કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે દિકરીની શોધખોળ હાથ ધરવામાં આવતા મોડી રાત્રે દિકરી મળી આવી હતી.

દિકરી મળી આવતા પોલીસ ટીમ અને તેના કુટુંબીજનોએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસ દ્વારા આસીને વિશ્વાસમાં લઈને સહાનુભૂતિ પૂર્વક પૂછપરછ કરવામાં આવતા દિકરી જણાવ્યું હતું કે, પોતાની માતા દ્વારા અવાર-નવાર ભણવા તેમજ રહેવાની રીતભાત માટે માનસિક ટોર્ચિંગ કરવામાં આવતું હતું. જેનાથી કંટાળીને ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી નિકળ્યા બાદ પોતાના મિત્ર સાથે શહેરની બીઆરટીએસ બસ અને બગીચામાં ફરીને પાછી આવી હોવાની કબૂલાત કરી હતી. દિકરીના માતા અને માસી સહિતના કુટુંબીજનો પોલીસ સ્ટેશન આવતા શી-ટીમ દ્વારા કિશોરીને સમજાવતા પોતાના ઘરે માતા અને માસી સાથે જવા તૈયાર થઈ હતી.

પોલીસે દિકરીને પોતાના માવતર જેમ કહે તેમ કરવા અને ધ્યાન દઈને પરીક્ષા આપવા સમજણ આપતા દિકરી તૈયાર થઈ ગઈ હતી. દિકરી પોતાના પરિવારજનોને મળતા પરિવારજનો ભાવ વિભોર થઇ ગયા હતા. જો દિકરીએ કોઈ અજુગતું પગલું ભર્યું હોત તો શું થાત ? એવું વિચારીને પરિવારજનોને કંપારી છૂટી ગઈ હતી. અમદાવાદ પોલીસની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે મળી આવ્યા બાદ દિકરીને પરિવારજનોની હાજરીમાં સમજાવી હતી. પોલીસની શી-ટીમના મહિલા પોલીસકર્મીઓએ આ દિકરીને પોતાની દીકરી માફક સલાહ આપીને પોતાના પરિવાર જેમ કહે એમ કરવાની, ભણવામાં ધ્યાન આપવાની અને હવે પછી આવી રીતે કોઈ પગલું નહીં ભરવાની સલાહ આપી હતી. સાથે જ દિકરીના પરિવારજનોને પણ દિકરીનું ધ્યાન રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ દિકરીની પરીક્ષા શરૂ થતા માતા-પુત્રી જે ડિવિઝન એસીપી  પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં દિકરીએ પરિક્ષા માટે આશીર્વાદ લઈને ફરીથી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ધોરણ 12 બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થતાં દિકરી 83 ટકા પર્સેન્ટાઇલ સાથે ઉતીર્ણ થઈ હતી. દિકરીનું સારુ પરિણામ આવતા માતા-પુત્રી ફરી એસીપી  જે ડિવિઝન ઓફિસે મીઠાઈના બોક્સ સાથે આવ્યા હતા. દિકરીનું પરિણામ સારૂ આવતા માતાની આંખમાંથી હરખના આંસુ છલકાઈ આવ્યા હતા.

એસીપી  કચેરીના તમામ સ્ટાફે દિકરીને અભિનંદન આપ્યા હતા અને જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પણ આપી હતી. આજના આધુનિક સમયમાં ભણતરના ભારનો તેમજ પરિવારજનોની સતત બાળકોના જીવનમાં દખલગીરીના કારણે નાની ઉંમરના તરુણો ઉપર કેવી વિપરીત અસર લાવે છે. સાથે જ પોલીસની સહાનુભૂતિ ભરેલી કામગીરી બાળકના માનસ ઉપર કેવી સકારાત્મક અસર કરે છે. તેં બાબતને ઉજાગર કરતો આ કિસ્સો સમાજના બાળકો અને તેના કુટુંબીજનો માટે પ્રેરણાદાયક સાબિત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.