Abtak Media Google News
  • જુના નિયમ મુજબના કેટલા વિષયો રદ કરાયા અને કેટલાક નવા ઉમેરાયા: ફિઝિકલ ટેસ્ટના માર્ક નહિ પણ નિયત સમયમાં દોડ પુરી કરવાની રહેશે

પોલીસ ભરતીને રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યા પર ભરતી કરવામાં આવશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો એસઆરપીની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. જેલ મહિલા સિપાહીની 85 સહિત 12 હજાર પોલીસની ભરતી થશે. પીએસઆઇની 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરાઈ છે જો કે,પીએસઆઇની ભરતીના નિયમો ફરેફાર કરાયા છે.

ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. વજન ધ્યાન પર નહીં લેવાય, 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે. બે પેપર રહેશે, એક પેપર 200 માર્કનું અને એમસીક્યું આધારિત રહેશે તો બીજું પેપર 100 માર્કનું રહેશે. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.

સબ-ઈન્સ્પેકટરની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર

સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (1) શારીરિક કસોટી, (2) પ્રિલીમ પરીક્ષા તથા (3) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (1) શારીરિક કસોટી અને (2) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે. પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકશે.

સબ-ઈન્સ્પેકટરની પરીક્ષામાં કેટલા પેપર આપવા પડશે ?

પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રિલીમ પરીક્ષા) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની એમસીક્યું પરીક્ષા હતી. હવે કુલ-3૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-1(GENERAL STUDIES(MCQ)) 0૩ કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર-2(GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને 100 ગુણનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.