Abtak Media Google News

40 હોસ્પીટલ અને સંશોધન કેન્દ્રોમાં સ્ટડી શરૂ થઈ : સંસદમાં ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપ્યો જવાબ

શું દેશભરમાં હાર્ટ એટેકથી મરનારા લોકોની સંખ્યા વધી છે?  શું કોવિડ પછી આ સ્થિતિ સર્જાઈ?  શું મૃત્યુ પામનારાઓમાં યુવાનોની સંખ્યા વધુ છે?  જો એમ હોય તો તેના કારણો શું છે અને સરકાર શું કરી રહી છે. સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.  તેના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ પ્રશ્નો પર ચાલી રહેલા સંશોધન અભ્યાસ વિશે જણાવ્યું.  આ સાથે ગૃહને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

Advertisement

સલેમપુરના સાંસદ રવિન્દ્ર કુશવાહા અને માલદાના સાંસદ ખગેન મુર્મુએ આ સવાલો પર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પાસેથી જવાબ માંગ્યો હતો. પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુના કારણો ઉપર 40 હોસ્પિટલો/સંશોધન કેન્દ્રોનો અભ્યાસ,  18-45 વર્ષની વસ્તીમાં થ્રોમ્બોટિક ઘટનાઓ પર કોવિડ રસીની અસર ઉપર 30 કોવિડ ક્લિનિકલ રજિસ્ટ્રી હોસ્પિટલોમાં અભ્યાસ તેમજ વર્ચ્યુઅલ અને શારીરિક શબપરીક્ષણ દ્વારા યુવાનોમાં અચાનક ન સમજાય તેવા મૃત્યુનું કારણ શોધવા સંશોધન અભ્યાસ ચાલી રહ્યો છે.

ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન અને પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુની ઘણી ઘટનાઓ સામે આવવા લાગી હતી. નવાઈની વાત એ છે કે મૃત્યુ પામનારાઓમાં માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં યુવાનો પણ સામેલ છે. સામાન્ય રીતે સ્થિર જીવનશૈલી, અનિયમિત ખાનપાન, સ્ટ્રેસ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, પ્રદૂષણ વગેરેને હૃદય સંબંધિત સમસ્યાઓનું કારણ કહેવાય છે, પરંતુ હાર્ટ એટેકથી મૃત્યુના વધતા જતા બનાવો વચ્ચે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોનાની રસીના કારણે આવું તો નથી થઈ રહ્યું.

જ્યારે કોરોના વેક્સીન પર સવાલો ઉઠાવવામાં આવ્યા ત્યારે તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ’અમારી પાસે આંકડા છે અને આઇસીએમઆર કેટલાક પ્રશ્નો પર આ વિષયનો અભ્યાસ કરી રહ્યું છે.’  તેમણે એઈમ્સ દિલ્હી દ્વારા હાર્ટ એટેકથી થયેલા મૃત્યુના આંકડાઓની સમીક્ષા વિશે પણ માહિતી આપી હતી.

જો કે, આઇસીએમઆર સંશોધન અભ્યાસનો પ્રથમ રિપોર્ટ હજુ બહાર આવવાનો બાકી હતો.  20 જુલાઈ સુધી આવો કોઈ રિપોર્ટ સામે આવ્યો ન હતો, પરંતુ શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ગૃહમાં માહિતી રજૂ કરી.

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે નેશનલ પ્રોગ્રામ ફોર નોન કમ્યુનિકેબલ ડિસીઝ હેઠળ સરકારે 724 જિલ્લા એનસીડી ક્લિનિક્સ, 210 જિલ્લા કાર્ડિયાક કેર યુનિટ્સ, 326 ડિસ્ટ્રિક્ટ ડે કેર સેન્ટર્સ અને 6,110 સામૂહિક આરોગ્ય કેન્દ્ર એનસીડી ક્લિનિક્સની સ્થાપના કરી છે. આ દિશામાં, કેન્દ્ર સરકાર દ્વારા સુલભ, સસ્તું આરોગ્ય સંભાળ અને સારવારની સાથે માળખાકીય વિકાસની સુવિધા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

હૃદયરોગના દર્દીઓને મેડિકલ કોલેજો, એઈમ્સ જેવી કેન્દ્રીય સંસ્થાઓ, કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોમાં સારવાર અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એઇમ્સ અને ઘણી અદ્યતન આરોગ્ય સંસ્થાઓમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ હૃદયના રોગો અને તેના વિવિધ પાસાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.