Abtak Media Google News

તરણેતરના મેળામાંથી પરત ચોટીલા આવવા બેસાડેલા મુસાફરોના ઝગડામાં દરમિયાનગીરી કરતા યુવાને જીવ ગુમાવ્યો : મહિલા સહિત ત્રણ સામે નોંધાતો ગુનો

અબતક, રણજિતસિંહ ધાંધલ,  ચોટીલા

ચોટીલા નજીક બોલેરો ચાલક યુવાનનું ત્રણ મુસાફરોએ ઈટોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા ની ધટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.જેમાં થાનગઢથી ચોટીલા આવવા બેસેલા એક મહિલા સહિત ત્રણ પેસેન્જરો કારમાં સવાર અન્ય પેસેન્જર સાથે બોલાચાલી કરતા ડ્રાઇવરએ એ બાબતે ત્રણેય પેસેન્જરોને ઉતારી દેતા મામલો બિચક્યો હતો. જેમાં મહિલા સહિત ત્રણે બોલેરોના ચાલકને ઇંટના ઘા ઝીંકી હત્યા કરતા ત્રણ સામે ગુનો નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતરથી પેસેન્જર લઇ આવતા બોલેરોના ચાલકની ઇંટના ઘા ઝીંકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ સનસનીખેજ બનાવમાં પીકઅપ ગાડીના ડ્રાઇવર દેવરાજ સોલંકીએ ભાડુ માંગતા ભાડુ નથી દેવું તેમ કહી ડ્રાઇવરના ભાઇને તેમજ ડ્રાઇવરને માર માર્યો હતો. જેમાં ડ્રાઇવર દેવરાજ ઘુઘાભાઇ સોલંકીને માથામા ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

આ ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. ત્યારે ચોટીલા થાનગઢ રોડ પર પેસેન્જર સાથે માથાકુટ થતાં બોલેરોના ચાલકની ઇંટના ઘા ઝીંકી ધોળા દિવસે ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ચોટીલા પોલીસે આ હત્યાકેસના આરોપીઓને શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.