Abtak Media Google News

ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને ત્રણ વર્ષ સંપન્ન, કાગવડ ખોડલધામ મંદિરે યોજાઈ ઓલ ઇન્ડિયા ક્ધવીનર મીટ: યજ્ઞ અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્રની ધરા પર આજથી ત્રણ વર્ષ પહેલાં જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે ખોડલધામ મંદિરનો પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ રુમઝુમ પગલે મા ખોડલ સહિત ૨૧ દેવી-દેવતા ખોડલધામ મંદિરમાં બિરાજમાન થયા હતા. લેઉવા પટેલ સમાજની સંગઠન શક્તિથી ઉભું થયેલું ખોડલધામ મંદિર ત્રણ વર્ષ પહેલાં રાષ્ટ્રને સમર્પિત થયું ત્યારથી દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યાં છે. ત્યારે ખોડલધામ મંદિરને ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ને મંગળવારના રોજ ખોડલધામ મંદિરે ઓલ ઇન્ડિયા ક્ધવીનર મીટ યોજાઈ હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આયોજિત આ ઓલ ઇન્ડિયા ક્ધવીનર મીટમાં ક્ધવીનરો, સહક્ધવીનરો સહિત ૫ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નરેશભાઈ પટેલે ખોડલધામ ટ્રસ્ટના આગામી પ્રકલ્પો સમાજની વચ્ચે મૂક્યા હતા.

Image 4

ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પરિવાર દ્વારા ઓલ ઇન્ડિયા ક્ધવીનર મીટ, હવન અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. સવારે ૮ કલાકેથી હવન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જિલ્લા ક્ધવીનરો દ્વારા રંગમંચ ખાતે હવન કરાયો હતો. બાદમાં ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. બાદમાં  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સંબોધન કર્યું હતું. ત્યારબાદ વાજતે ગાજતે ધ્વજાજીના સામૈયા કરવામાં આવ્યા હતા અને મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ એડમિન ઓફિસમાં આવેલા કોન્ફરન્સ હોલમાં ચેરમેન નરેશભાઈ પટેલ સાથે તમામ જિલ્લા ક્ધવીનરોની એક બાદ એક મીટિંગ યોજાઈ હતી.

Image 1

ઓલ ઇન્ડિયા ક્ધવીનર મીટ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે હાજર લોકોને સંબોધન કરતાં કહ્યું કે, ત્રણ વર્ષની અંદર મંદિર પરિસરમાં જે રીતે કામ થયું છે તે આપણા બધાના સહિયારા પ્રયાસનું પરિણામ છે. મા ને બિરાજમાન થયાના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ફરીથી પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ ઉડીને આંખે આવે છે. મંદિર પરિસરની સ્વચ્છતા અને સાફ-સફાઈ અંગે વાત કરતાં નરેશભાઈ પટેલે કહ્યું કે, ૨૦૧૭માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ૭૫ લાખની જનમેદની વચ્ચે પણ ક્યાંય કાગળનો ટુકડો જોવા મળ્યો નહતો અને આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે સાથે હોઈએ. આપણા બધાના મન એક છે અને મને ગૌરવ થાય છે કે ખોડલધામને સમાજ પોતાનું ગણે છે.

મંદિર નિર્માણ બાદના ટ્રસ્ટના આગામી વર્ષોમાં શિક્ષણ, કૃષિ અને આરોગ્ય અંગેના પ્રકલ્પો વિષે વાત કરતાં નરેશભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ, ૪૨ એકરમાં પહેલું રોલ મોડેલ રાજકોટ બનાવે તે દિશામાં ઝડપથી કાર્યવાહી આગળ વધે તે માટે ટીમ કાર્યરત છે અને એક વર્ષની અંદર સમાજ માટે ઘણું બધું કામ કરીશું.. આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સેવાની હૂંફ બીજા જિલ્લાઓમાં આપી શકીએ તે અંગે કામ કરી રહ્યા છીએ. આગામી ૨૦૨૨માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૦૧૭ મુજબનો પાંચ દિવસીય અવસર ઉજવવાની ઇચ્છા નરેશભાઈ પટેલે હાજર લોકો સમક્ષ મૂકતા સૌએ આ વાતને વધાવી લીધી હતી. નરેશભાઈ પટેલે પોતાની વાત મૂકતા કહ્યું કે ૨૦૨૨માં પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ફરીથી આપણે ગામે ગામ રંગોળી કરવી છે, માતાજીનો રથ ફેરવવો છે.

ખોડલધામ મંદિરે યોજાયેલી આ ક્ધવીનર મીટમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથી ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ, દાતાઓ, જિલ્લા ક્ધવીનર, તાલુકા ક્ધવીનર, ગ્રામ્ય ક્ધવીનર, સોસાયટી ક્ધવીનર,વોર્ડ ક્ધવીનર,  ખોડલધામ મહિલા સમિતિના સભ્યો, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો, સમાજની સંસ્થાના સભ્યો, તમામ સોશિયલ ગ્રુપના સભ્યો, લેઉવા પટેલ સમાજના અટકથી ચાલતા પરિવારના સભ્યો સહિત કુલ ૫ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.