Abtak Media Google News

રસ્તો ઓળંગતા યુવાન કાળનો કોળીયો બન્યા: છ માસના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી

રાજકોટ-અમદાવાદ હાઇવે સતત બીજા દિવસે રક્તરંજીત થયો છે. ગઈકાલે  માલિયાસણ ચોકડી પાસે બે ટ્રક અને બે કાર વચ્ચે સર્જાયેલા ગોજારા  અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ કુવાડવા નજીક રોડ ક્રોસ કરી રહેલ ચોટીલાના સિરોડા ગામના યુવકને પુરપાટ ઝડપે આવતાં ટ્રક ચાલકે હડફેટે લેતાં તેનું  સારવારમાં મોત નીપજતાં ધોરી માર્ગ જીવલેણ અકસ્માત ઝોન બન્યો એક જ દિવસમાં પાંચ વ્યકિત અકસ્માતમાં કાળનો કોળીયો બન્યા છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ, ચોટીલાના સિરોડા ગામે રહેતાં વિક્રમભાઈ હકાભાઈ ચૌહાણ (ઉ.વ.24) ગઈકાલે સાંજે પોતાના ઘરેથી વાવેતર કરવા માટે તુવેર લેવા માટે ગામની પીકઅપ વાન ભાડે કરી કુવાડવા તરફ જઈ રહ્યા હતાં ત્યારે તેઓ કુવાડવા નજીક આવેલ જીજે-3 હોટલ પાસે ચા પીવા માટે ઉભા રહ્યા હતાં. ત્યારે તેની સાથે રહેલ કૌટુંબિક કાકા ગોરધનભાઇ પહેલાં રોડ ક્રોસ કરી હોટલે પહોંચ્યા હતાં. જે બાદ વિક્રમ ચૌહાણ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલ ટ્રક નં.જીજે-03-બી ડબ્લ્યુ-7652 નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતાં તોતિંગ વ્હીલ યુવકની માથે ફરી વળતાં તે ચગદાઈ ગયો હતો. બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડતાં ટ્રાફિક જામ થયો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ પાંડાવદરા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવકને ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ સારવાર કારગત ન નિવડતાં યુવકનું મોડીરાતે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને આક્રંદ મચાવ્યો હતો.  વિક્રમ ખેતીકામ કરતો અને તેના પિતા સિરોડા ગામમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમજ તેના એક વર્ષ પહેલા જ લગ્ન થયાં હતાં અને સંતાનમાં છ માસનો એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.